Monday, June 24, 2013

કાજલ ઓઝા વૈદ્ય : 'હું મહત્તમ રીતે પોતાને ‘દ્રૌપદી’ સાથે સાંકળી શકું છું'



કાજલ ઓઝા વૈદ્ય- જેટલું મોટું નામ એટલી જ ઊંચી એમની પ્રતિષ્ઠા અને એટલું જ ઉચ્ચ એમનું વ્યક્તિત્વ. ગુજરાતી સાહિત્યમાં લેખન ક્ષેત્રે સ્ત્રીઓને એક અલગ જ સ્થાને પહોંચાડનાર કાજલ ઓઝા વૈદ્ય માત્ર નવી પેઢીને જ નહીં પણ ઉંમરના વિવિધ તબક્કાને ઘડવા માટે પોતાની કલમ સુસજ્જ કરે છે. એક મજબૂત, સ્પષ્ટ અને પ્રભાવશાળી વક્તા એવા કાજલ ઓઝા વૈદ્ય સરળ અને ડાઉન ટુ અર્થ છે. હાલમાં તેઓ ચાર અલગ અલગ દૈનિક અખબારોમાં કોલમ અને ચિત્રલેખામાં નવલકથા લખે છે. અત્યાર સુધીમાં એમના 52 જેટલા પુસ્તકો બહાર પડી ચુક્યા છે જેમાંથી ચાર પુસ્તકો ઓડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. તેઓએ લગભગ બધા જ ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. તેમને નાટકો, ગુજરાતી અને હિન્દી ફિલ્મમાં સંવાદો અને ધારાવાહિકોમાં પણ પોતાનું પ્રદાન કર્યું છે. આ પૈકી ‘એક ડાળના પંખી’ નામની ધારાવાહિકે ૧૬૦૦ જેટલા એપિસોડ્સ પૂરા કરી એક નવો જ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. વળી, ‘પરફેક્ટ હસબન્ડ’ નામના નાટકને માર્શલ એકેડમી દ્વારા બેસ્ટ કોમેડી પ્લે ઓફ ધ યરનો પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત, તેઓ એક રેડિયો ચેનલ પર આરજે તરીકે પણ કાર્યરત છે. એવોર્ડ્સ અને એમના કાર્યોનો વિસ્તાર ખૂબ મોટો છે. તેમની સાથે થયેલી લાંબી વાતચીતના કેટલાક અંશો અહીં  રજૂ કાર્ય છે:

૧.'કાજલ ઓઝા વૈદ્ય' કઈ રીતે બન્યા?
સાચું કહું તો મેં વિચાર્યું નહોતું કે હું લેખિકા બનીશ. હું માત્ર એક ગૃહિણી બનવા ઈચ્છતી હતી. પણ સંજોગો એવા આવ્યા કે મારે કમાવું પડ્યું. ઘર ચલાવવા, મારા ઉત્તરજીવન માટે મારે કંઇક કરવાની ફરજ પડી અને ત્યાંથી વિચારોની શ્રુંખલા શરુ થઇ જે છેલ્લા સાત વર્ષથી 52 પુસ્તકોમાં પરિણમી.

૨. તમારા પુસ્તકોમાં દરેક સંબંધ વિશે ઘણી નજીવી વાતો પર પ્રકાશ નાખવામાં આવતો હોય છે. સંબંધ વિશે તમારું શું માનવું છે?
તમારા જીવનમાં શાંતિની પળો માણવા સંબંધો ખૂબ જરૂરી હોય છે. જે વ્યક્તિ એવું કહે છે કે મને કોઈની જરૂર નથી એને ખરેખર સૌથી વધારે માણસોની જરૂર હોય છે. જીવનમાં ટકી રહેવા માટે સંબંધ અનિવાર્ય છે અને હું એવું માનું છું કે કેટલાક સંબંધો જીવનમાં એવા હોય કે જે તમારી તાકાત બની રહે છે. તમે જે કઈ છો એનું કારણ એ સંબંધો છે.

૩. તમે પહેલેથી જ સાહિત્યિક વાતાવરણમાં ઉછરેલા છો. આ સમગ્ર જર્નીમાં તમારા પિતા દિગંત ઓઝા અને લેખક ચંદ્રકાન્ત બક્ષી સિવાય અન્ય કયા ભારતીય અને વિદેશી લેખકોનો તમારા સાહિત્ય પર પ્રભાવ પડ્યો? કેટલો?
આ પૈકી સૌથી પ્રિય લેખક કે સાહિત્યકાર કયા છે? શા માટે?
હા, હું જર્નાલિઝમના બેકગ્રાઉન્ડમાંથી આવું છું. ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિનકાકા(અશ્વિની ભટ્ટ) કે હરકિસન મહેતા સાથે પહેલેથી સંબંધ હતા પણ એમના સિવાય બીજા ઘણા લેખકોને મેં ખૂબ વાંચ્યા છે. મારું વાંચન પુષ્કળ છે. શેલ્ફ પર દેખાતા નાનામાં નાના પુસ્તકથી લઈને બધા જ પ્રકારના પુસ્તકો હું વાંચુ છું. સ્વામી સચ્ચિદાનંદની ગીતાથી લઈને વિદેશી લેખક હ્યુઘ પ્રેથરના પુસ્તકોમાં પણ હું રસ ધરાવ છું. ટુંકમાં, મને શેલ્ફ પર જે જડે અને જે વાંચવા જેવું લાગે એ હું વાંચું છું. પણ આ પૈકી મને અમ્રિતા પ્રીતમ એમની પ્રામાણિકતા માટે ખૂબ જ ગમે છે.

૪. મુંબઈના દરિયાકિનારાથી લઈને ગુજરાતના કોઈ એક ટિપીકલ શહેર સુધીના તમામ દ્રશ્યો તમે આબેહૂબ વર્ણવ્યા છે. આ માટે તમે તૈયારી કેવી રીતે કરો છો? અને આ માટે તમે સંશોધનને કેટલું મહત્ત્વ આપો છો?
હું ખૂબ ટ્રાવેલ કરું છું અને એ સફર દરમિયાન મળતા લોકોના હાવભાવ, એમના ઊઠવામાં, બેસવામાં મને ખૂબ રસ પડે. હું ‘કીન’ ઓબ્સર્વર છું. એટલે મને અવલોકનો કરવાની એક અલગ જ મજા આવે. હું કલાકો સુધી સ્ટેશન પર બેસીને ટ્રેઈનની રાહ જોય શકું અને છતાંય મને સહેજ પણ કંટાળો ન આવે. હું જ્યારે કાર્યક્રમમાં જાઉ ત્યારે એકબીજા સાથે જે વાતો થતી હોય, એકબીજા સાથે કંઇક શેર થતું હોય, આસપાસ શું થઇ રહ્યું છે એ બધું હું ખૂબ એન્જોય કરું. હું જે શહેરમાં જાઉ, જેમકે સુરત આવું ત્યારે અહીનું વાતાવરણ કેવું, લોકોનો ખોરાક કેવો, લોકો કેટલા ફૂડી હોય એવા ઘણા નિરીક્ષણો અને જ્યારે રાજકોટ જાઉ ત્યારે લોકોનો બપોરે કામ ન કરવાનો અભિગમ, આ બધું જ મને ખૂબ અપીલ કરે છે. એટલે મને મૂળભૂત રીતે માણસ જ રસપ્રદ લાગે. જો તમે માણસમાં રસ લેવા લાગો તો આવા વર્ણનો ખૂબ સરળ બની જાય છે. કોઈ પણ વસ્તુનું વર્ણન કરવા માટે મારે પ્રયત્નો નથી કરવા પડતા, પરંતુ મારા માટે એ એક મજાની વસ્તુ બની રહે છે.

૫. તમે સ્ત્રીની મનોવ્યથાને ખૂબ ઊંડાણપૂર્વક રજૂ કરી શકો છો. તમારા એક પ્રવચનમાં તમે કહેલું કે, મારી દરેક નવલકથાના પાત્રોમાં મારો અંશ રહેલો છે કારણકે એ સીધા હૃદયથી નીકળીને લોકોના હૃદય સુધી પહોંચે છે. તો, આ પૈકી કયા પાત્રએ કાજલ ઓઝા વૈદ્યનું પ્રતિબિંબ મહત્તમ અંશે ઝીલ્યું છે?
(સહેજ પણ વિલંબ વગર) દ્રૌપદી. હું મહત્તમ રીતે પોતાને ‘દ્રૌપદી’ સાથે સાંકળી શકું છું.


૬. તમારા એક પ્રવચનમાં "હું મેઈન સ્ટ્રીમમાં જ લખીશ. હું ડરીશ નહીં" એવા તમારા સૂચનો સાંભળવા મળ્યા હતા. એક સ્ત્રી તરીકે લખાણમાં આટલી મક્કમતા અને સ્પષ્ટતા કઈ રીતે ઉદભવી? અને સમાજમાં શું બદલાવ આવ્યો?
હજી સુધી સમાજમાં સ્ત્રીઓના લખાણ માટે એક નિશ્ચિત સ્થાન અને સીમા હતી. સ્ત્રીઓ પોતાના પુસ્તકો લખે, એના એક બે પુસ્તકો હોય અને કંઇક નાની નાની માહિતી હોય. સ્ત્રીઓ અને પુરૂષો માટેના માપદંડ અલગ હતા. પણ હવે સ્ત્રીઓના પુસ્તકો પણ બેસ્ટસેલર થઇ શકે છે એવો એક અભિગમ કેળવાયો અને એથી જ સમાજમાં ઘણો બદલાવ આવ્યો. અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતાની જેમ સ્ત્રીઓના લખાણને પણ એટલા જ વાચકો મળે છે, એમના પુસ્તકોને વેચવાની જરૂર નથી પડતી.

૭. તમારા પુસ્તકો હવે અંગ્રેજીમાં પણ અનુવાદિત થયા છે અને અમિતાભ બચ્ચને "કૃષ્ણાયન"નો પોતાના બ્લોગ પર પણ ઉલ્લેખ કર્યો છે. એક ગુજરાતી સ્ત્રી લેખક માટે આ બાબત કેટલી મહત્ત્વની છે?
મારી સફળતા કરતા હું આ મારી ભાષાની સફળતા ગણું છું અને એ મારા માટે ખૂબ મહત્વની બાબત છે. એક એવી અગત્યની લાગણી થાય છે કે ક્યાંક લેખિકાઓની પણ નોંધ લેવાય છે અને એને લીધે મારી પાછળ બીજી અનેક લેખિકાઓ માટે રસ્તો ખુલ્યો છે એવું હું માનું છું. મેઈન સ્ટ્રીમમાં સ્ત્રીઓ લખી જ નહીં શકે એ આખી એક વિચારસરણી જ ભાંગી પડી છે અને એટલે જ હવે સ્ત્રીઓ જે  વિચારે, ઈચ્છે એ તમામ વસ્તુ મુક્તપણે લખી શકે છે.

૮.એક પ્રતિષ્ઠિત, અગ્રીમ નવલકથાકાર તરીકે વાચકો પ્રત્યે તમારી શું ફરજ હોય છે?
હું ખૂબ પ્રામાણિક છું. જ્યારે પણ કોઈ નવલકથા કે પછી સેમિનારમાં કશુંક લોકોને માર્ગદર્શન આપતી હોઉં ત્યારે હંમેશાં મને એક પ્રશ્ન થાય છે કે શું હું લાયક છું આ બધાને? મારા થકી કોઈ ખોટા વિચારો તો સમાજમાં નથી ફેલાતા ને? દિનપ્રતિદિન મારા વાચકોની સંખ્યા સાથે મારી જવાબદારીઓ પણ વધે છે અને આથી હું મારા શબ્દો માટે ખૂબ સાવચેત રહું છું. મારું કામ નિષ્ઠાપૂર્વક કરવું એને હું મારી જવાબદારી ગણું છું.

૯. લખતી વખતે તમને કોઈ ચોક્કસ માહોલ કે પછી વસ્તુઓની જરૂર રહે છે?
મારી પાસે એવી કોઈ પસંદગી હોતી જ નથી. પણ આમ છતાં, છેલ્લા કેટલાક સમયથી હું જાતે લખતી નથી. પણ હું બોલું અને બે ટાઈપિસ્ટસ એ લખે છે. એટલે ઘણી વાર મારો દીકરો કહે પણ છે કે આ કાજલ ઓઝા વૈદ્ય ‘લિખિત’ નથી પણ ‘બોલિત’ છે.

૧૦. તમારી યોગ-વિયોગ નવલકથામાં સ્કિઝોફ્રેનિયાથી પીડિત એક ટોચની અભિનેત્રી અનુપમા ઘોષનું વર્ણન હતું, જે અલયના પ્રેમનો વિરહ સહી ન શકતા આત્મહત્યા કરે છે અને હાલમાં જ પ્રેમમાં નિષ્ફળ થયા બાદ જીયા ખાનનો  પણ કંઇક આ જ અંત આવ્યો? આ કેટલા અંશે યોગ્ય છે? આત્મહત્યા વિશે તમે શું માનો છો?
આત્મહત્યા કરવાનો પ્રયાસ મેં પણ કર્યો હતો. પણ હું બચી ગઈ, એટલે આજે તમારી સમક્ષ વાતો કરી શકું છું, આ સફળતાને પામી શકું છું. આ પ્રયાસ કર્યા બાદ હું એટલું તો સમજી જ ગઈ કે જે દુનિયા તમે જોઈ નથી, જે વિષે તમને ખ્યાલ જ નથી ત્યાં જઈને સુખી થવાશે એમ વિચારી હાલમાં જીવી રહેલા જીવનનો અંત કરવો એ એક મિથ્ય માન્યતા છે. હું આત્મહત્યાના વિચારને જ બુદ્ધિહીન ગણું છું. ખરેખર જીવવા માટે હિંમત જોઈએ. મરવા માટે હિંમતની જરૂર જ નથી. હું આત્મહત્યાના વિચારમાત્રનું પણ સમર્થન નથી કરતી. એ માત્ર એક નપુંસક વિચાર છે.

૧૧. તમારી એક નવલકથામાં આ વાક્યોનો ઉલ્લેખ થયો છે: "ખરેખર માણસની સ્મૃતિ કરતા એની ખાલી પડેલી જગ્યાનો ખાલીપો વધારે ભયાવહ અને પીડાદાયક હોય છે."તથ્યોને શબ્દોમાં આટલી સ્પષ્ટતા સાથે લખવાની ખુમારી એક ગુજરાતી લેખિકા તરીકે તમને અલગ જ તારવે છે. આ કળા કઈ રીતે વિકસાવી?
હું આ દરેક ક્ષણ જીવી છું અને મને આ તમામ અનુભવો થયા છે. નવલકથાના લગભગ બધા જ શબ્દોને મેં અનુભવ્યા છે. જ્યારે તમે એકલા હોવ ત્યારે કેવો અનુભવ થાય, કોઈ તમને તરછોડે ત્યારે કેવો અનુભવ થાય, જ્યારે તમે સાવ ભાંગી પાડો ત્યારે તમારી સ્થિતિ શું હોય, આ બધું જ હું જીવી છું અને એટલે જ આ તમામ લખાણ ખૂબ ‘ટેન્જીબલ’ છે. તમે દરેક લાગણીઓને સ્પર્શી શકો છો. જિંદગીમાંથી લીધેલા તાણાવાણા વણીને એમાંથી પોત બને છે અને કદાચ એટલે જ આ બધી વસ્તુઓ મારા હૃદયની ખૂબ જ નજીક છે.

૧૨. 'દરેક માનવીમાં એક નવલકથા છુપાયેલી હોય છે'.આ વાક્યમાં તમે કેટલું તથ્ય જુઓ છો?
હા, હું દ્રઢપણે માનું છું. મારા મત પ્રમાણે તો દરેક માનવીમાં એક નહી એક કરતા વધુ નવલકથાઓ રહેલી હોય છે પણ આજના વ્યસ્ત માહોલમાં આપણને કોઈકને શાંતિથી જોવાનો, સાંભળવાનો સમય જ નથી. દરેક વ્યક્તિની બે બાજુઓ હોય છે. એક સારી અને બીજી નરસી. આપણે હંમેશાં નરસી બાજુ જ જોતા આવ્યા છે પરંતુ જ્યારે સારી બાજુએ ધ્યાન આપીશું ત્યારે ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થઇ જશે.

૧૩. લંડનમાં સ્ટ્રીટ મ્યુઝિસિયન કાર્લના મધુર સંગીતથી અભિભુત થઈને, એને ભેટીને રડનાર કાજલ ઓઝા વૈદ્યનું એ કયું સ્વરૂપ હતું?
એ ‘કાજલ ઓઝા વૈદ્ય’નું નહીં, માત્ર ‘કાજલ’નું સ્વરૂપ હતું. દરેક વ્યક્તિમાં બે પ્રકારનું વ્યક્તિત્વ રહેલું હોય છે. એક, જે ક્યારેક જ બહાર નીકળે છે કે પછી એમ કહું કે એને આપણે ક્યારેક જ બહાર નીકળવા દઈએ છીએ. કારણ કે, સમાજમાં આપણી એક પ્રતિષ્ઠા છે. પરંતુ હું જાણતી હતી કે કાર્લ માટે હું તદ્દન અજાણી છું. એ મને જજ નહિ કરશે અને કરે તો પણ મને કંઈ ખાસ ફરક નહીં પડશે. આપણે સૌ આ જ પ્રકારે ઘડાયેલા છીએ. જ્યારે કોઈ આપણને જજ નથી કરતુ ત્યારે એ બીજી વ્યક્તિ બહાર આવે છે. લંડનના એ સમયની હૂંફ હું હજી સુધી અનુભવી શકું છું અને હું ચોક્કસપણે કહી શકું કે એ વ્યક્તિ ખૂબ ઉમદા સ્વભાવની હશે.

૧૪. આજની ટેલીસોપ્સમાં આવતી સ્ત્રીઓ અને તમારી નવલકથામાં વર્ણવાયેલી સ્ત્રીઓમાં આટલો તફાવત શા માટે? નવલકથામાં હોય એવી  સ્ત્રીઓ પર શા માટે કોઈ હીટ ધારાવાહિકો બનતી નથી?
હું ખરેખર આ બધી સિરીયલોને નિરર્થક ગણું છું. આ તો આપણે જોઈએ છીએ એટલે ચાલે છે. નહીંતર આવી ધારાવાહિકોને પ્રોત્સાહન ન જ મળવું જોઈએ. મારી પાસે ઘણી દરખાસ્તો આવે છે પરંતુ મને આવી અયોગ્ય વાતો લખવાનું નથી ગમતું. હું હાલમાં એક માત્ર ધારાવાહિક લખું છું ‘છૂટાછેડા’ જે ઈટીવી ગુજરાતી પર આવે છે અને હું માનું છું કે હું કંઇક અર્થપૂર્ણ કામ કરી રહી છું.

૧૫. ભવિષ્યમાં સંબંધો ઉપરાંત કયા વિષય પર લખવાનું પસંદ કરશો?
હું ચોક્કસપણે ‘દ્રૌપદી’ની જેમ જ અન્ય સ્ત્રીઓ, જેમકે મંદોદરા, શિખંડી, યશોધરા, વૃશાલી( કર્ણની પત્ની) જેવી અનેક સ્ત્રીઓ જેને હંમેશાં અવગણવામાં આવી છે એ વિશે લખવાનું પસંદ કરીશ.

૧૬. આજના યુવા લેખકો ખાસ કરીને લેખિકાઓ માટે કોઈ ખાસ સૂચના કે માર્ગદર્શન?
હું માત્ર એક જ વાત સમજુ છું કે બને એટલા પ્રામાણિક બનો. તમે જે અનુભવો છો એ જ લખો અને એ જ વર્ણવો. લોકોને શું ગમે છે, શું વાંચવું છે એ પ્રમાણે ન લખો. એવા તો ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે જ પણ તમારી લાગણીઓ, તમારા અનુભવો એ માત્ર તમારા છે અને એ, લોકો નિશ્ચિતપણે વાંચશે. તમારા લખાણને વંચાવવા માટે લોકોને કેળવો અને હું નવી પેઢી પાસે પરિવર્તનની આશા રાખું છું. આજના યુવાનો માટે મને બહુ માન  છે.


૧૭. તમારી સૌથી નજીક હોય એવી એક નવલકથા કઈ? શા માટે?
મૌન-રાગ. કારણકે, એમાં સ્ત્રીની લાગણીઓનો સાચો અર્થ ઉજાગર કરવામાં આવ્યો છે. ખૂબ નિખાલસતાથી એક જ સ્ત્રીના ઘણા સ્તરો એમાં વર્ણવ્યા છે. જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ કંઇક નવું એ સ્ત્રી વિશે જાણવા મળતું રહે અને એટલે જ એ મારા માટે રસપ્રદ છે. આ ઉપરાંત, ‘મધ્યબિંદુ’ પણ મને પસંદ છે.

૧૮. હાલમાં ચિત્રલેખામાં પ્રસિદ્ધ થઇ રહેલી નવલકથા 'ધુમ્મસને પેલે પાર' ખૂબ જ થોડા સમયમાં ખૂબ જ લોકપ્રિય બની છે. એ પરથી તમે શું તારણો કાઢો છો? વાંચકો કયા વિષયવસ્તુને મહત્વ આપે છે?
લોકોને પ્રામાણિકતા ગમે છે. અહીં મહત્વનું એ છે કે તમે નવી વાત કરી અને છતાં હકીકતને સ્પર્શીને વાત કરી, લોકોને આ જ વાંચવું ગમે છે. તમે જે લખો છો એ મન સુધી પહોંચવું જોઈએ. લોકોને આદર્શ વાતો નથી ગમતી. લોકો તમારી કથાને, એના પાત્રોને પોતાની સાથે સાંકળી શકે એ પ્રકારનું વર્ણન એમને ગમે છે.

૧૯. અને અંતે, હવે પછીના વર્ષોમાં કાજલ ઓઝા વૈદ્ય પોતાને કયા સ્થાને જોવા માંગે છે?
(એક મુક્ત હાસ્ય સાથે) હું ખરેખર નથી જાણતી. મને જે પ્રેમ, શ્રધ્ધા અને સન્માન વાચકો તરફથી મળ્યા છે એનાથી હું ખૂબ સંતુષ્ટ છું. મને મારી જિંદગીથી હવે બીજા કશાની અપેક્ષા નથી કારણકે, કોઈને પણ આ ઉંમરે જેટલું પણ મળી શકે એના કરતા વધુ મને મળ્યું છે. કોઈ પણ આ ઉંમરે જીવી શકે એનાથી વધુ હું જીવી છું અને આ ઉંમરે કોઈ પણ અનુભવી શકે એના કરતા વધારે સંબંધો મેં અનુભવ્યા છે. બસ, એટલે જ હું તૃપ્ત છું અને આ માટે હું રોજ મારા ઈશ્વરનો આભાર માનું છું.


2૫મી જૂન, ૨૦૧૩ના રોજ આ ઈન્ટરવ્યુ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ " કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.


Saturday, June 22, 2013

વિશ્વમાં આવતા પૂરોમાં સૌથી વધુ મૃતકો ભારતમાં




હિંદુ ધર્મના સૌથી પવિત્ર પુસ્તક શ્રીમદ ભાગવત ગીતાના ૯મા પ્રકરણના આઠમા અધ્યાયમાં લખ્યું છે કે, મે (ઈશ્વરે) આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે અનેએનો વિનાશ પણ મારી ઇચ્છાશક્તિ પ્રમાણે જથશે. આ સમગ્ર સર્જન મારી ઇચ્છાને અનુસરે છે અને એના સર્જન કે વિનાશ માટે હું અને માત્ર હું જ જવાબદાર છુ.આ વાક્યો વાંચતી વખતે ખરેખર મનમાં પ્રશ્ન થાય છે કે ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર ચાર ધામોની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓની દુર્ગતિ માટે પણ શું ખરેખર ઈશ્વર જ જવાબદાર છે કે પછી આપણી સરકાર, તંત્ર અને એની બેદરકારીઓ જવાબદાર છે? આ તમામ પરિસ્થિતિ રાતના ૯ વાગ્યાના બુલેટિનમાં ઘરના સોફા પર બેસીને નિહાળવા જેટલી સામાન્ય છે કે પછી હવે આપણે જાગવાની જરૂર ઉભી થઇ છે? હજારો લોકો અત્યારે આ વિનાશક પૂરના ભોગ બન્યા છે ત્યારે આપણી અનેસરકારની કુરતી આફતો સામે લડી લેવાની ક્ષમતા કેટલી? આવા અનેક પ્રશ્નો હાલનાસંજોગોમાં ઉભા થાયછે.

ત્રણ વર્ષ પહેલા,'એકાએક આવેલા ઘોડાપુરે સમગ્ર ઉત્તર ભારતને મુશ્કેલીમાં મુક્યું' અને 'પૂર, વરસાદ અને ભયંકર વિનાશ ઉત્તર ભારતમાં અંકુશરહિત બન્યો છે.' જેવા સમાચારો તમામ ન્યુઝ ચેનલ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને આજે આ જ સમાચારો ફરી માધ્યમોમાં ચમકી રહ્યા છે.ત્રણ વર્ષ પહેલા, અલમોડા, ચામૌલી, ઉત્તરકાશી અને નૈનિતાલ જેવા સ્થળો વિનાશક પૂરના ભોગ બન્યા હતા જ્યારે આ વખતે રૂદ્રપ્રયાગ કુદરતના પ્રકોપનું સાક્ષી બન્યું છે. આ ભયંકર તારાજીમાં ઘરો, માનવો, આજીવિકા અને જાહેર સગવડોને ક્રમશઃ બરબાદ થતા નિહાળીએ છીએ ત્યારે વિચાર આવે છે કે આપણે કુદરતના પ્રકોપ સામે કેટલા લાચાર બની જઈએ છીએ. પરંતુ એ સાથે ભૂતકાળની આવી જ કેટલીક ઘટનાઓ આંખ સમક્ષ તરવરવા લાગે છે ત્યારે સમજાય છે કે આપણે લાચાર નથી, પણ આપણે નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે, ભૂતકાળની ભૂલોમાંથી કોઈ શીખ લઇ, તારણો કાઢી એ પ્રમાણેના આગોતરા નિર્ણયો કર્યાહોત તો, પૂરગ્રસ્ત જગ્યાએ હજારો લોકોના જીવને આપણે આ જોખમમાંથી ઉગારી શક્યા હોત. પર્યાવરણશાસ્ત્રીઓ, નિષ્ણાતો અને કાર્યકર્તાઓ માને છે કે કો પણ પ્રકારના આયોજન વિનાનો વિકાસ અને નિરંકુશપણે કપા રહેલા જંગલો આવી આપત્તિઓ માટે જવાબદાર છે. જંગલ વિસ્તારના ઘટાડાથી જમીનની માટી લપસણી બની અને જેથી વારંવાર જમીન ધસી પડવાના કિસ્સા વધવા લાગ્યા. ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ, જોશીમઠ અને ચામૌલી જેવા વિસ્તારમાં કોઈ શહેરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ૩ વર્ષ પહેલા ઉત્તરાખંડમાં હાયડેલ પ્રોજેક્ટના અંતર્ગત અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી ત્યારે CAG (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા) દ્વારા ભયંકર વિના અંગેની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ, સ્થાનિક તંત્રએ આ રીપોર્ટની અવગણના કરી હતી. સરકારની આંખો હંમેશાં પ્રકૃતિ એનો પરચો બતાવી દે એ જ વખતે ઉઘડે છે. પ્રકૃતિના વિનાશના અણસાર દેખાવા લાગે ત્યારે અથવા તો વિનાશ ચારે તરફ ફેલાવા લાગે પછી પણ આપણુતંત્રહંમેશાં નિષ્ફળ નીવડ્યું છે. આપણા તંત્રએ કુદરતી આપત્તિઓ સામે લડવાની પૂર્વતૈયારીઓને સદા અવગણી છે, જ્યારે હિમાલય જેવા વિસ્તારમાં, જ્યાં આવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી રહે છે ત્યાં આવી વ્યવસ્થા અગ્રીમ સ્થાને હોવી અત્યંત જરૂરી છે. પરંતુ કમનસીબે, ઉત્તરાખંડમાં ત્રણ ભયંકર વિનાશક પૂર આવવા છતાં આ વર્ષે પણ સ્થિતિ આગલા વર્ષો જેવી જ રહી છે.

સમગ્ર વિશ્વમાં પૂરથી મૃત્યુ પામતા લોકોમાં પાંચમા ભાગ જેટલા લોકો ભારતના હોય છે. ૩૫ રાજ્યોમાંથી ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સરળતાથી આવી કુદરતી આફતોથી અસરગ્રસ્ત થઇ શકે એવા છે. આપણા જમીનના વિશાળ વિસ્તાર પૈકી ૫ ટકા વિસ્તારમાં આવાખૂબ વિનાશકપૂરો આવી શકે છે. જમીનનો ૧.૮૬ કરોડ હેક્ટર જેટલો વિસ્તાર અને ૩૭ લાખ હેક્ટર જેટલી ખેતીલાયક જમીનનો વિસ્તાર દર વર્ષે પૂરથી અસરગ્રસ્ત બને છે. પરંતુ આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ક્યારેય અગાઉથી લેવાતા નથી અને ખરેખર એ ચિંતાનો વિષય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સનાં ડાયરેક્ટર જગન શાહ પ્રમાણે, પૂર વિશેના ડેટા અને એના બચાવકાર્યો માટે ખર્ચવામાં આવતા નાણાનો એમ તો કોઈ સંબંધ નથી પરંતુ અહી એક મહત્ત્વની બાબત એ છે કે સાલ ૧૯૫૦-૫૧માં દૂરના વિશાળ ગ્રામીણ ક્ષેત્રોમાં જમીનની સિંચાઈ અને પૂરના રાહતકાર્ય માટે ૬૮.૫% જેટલી આર્થિક જોગવાઈઓ કરવામાં આવી હતી. સાલ ૧૯૭૦ પછીના વર્ષોમાં જ્યારે ૨૦૦૦-૨૦૧૦માં, એ દશકાની સૌથી મોટી પૂરો આવી હતી ત્યારે આ ખર્ચ ઘટાડીને ૫.૫% કરવામાં આવ્યો હતો. ઇન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)એ બનાવેલા રીપોર્ટ અનુસાર સાલ ૧૯૭૦થી ૨૦૦૮ દરમિયાન  વિકાસશીલ દેશોમાં ૯૫% જેટલા મૃત્યુ પ્રાકૃતિક આપત્તિઓને કારણે થયા હતા.

બારહ આયોગે બે દાયકામાં આવેલા પૂરમાં થયેલા વિનાશની માહિતી પહેલી વાર સંકલિત કરી હતી. એ માહિતી મુજબ, સાલ ૧૯૫૩થી ૧૯૮૦માં ૭૬૪૪.૮ લાખ લોકોની વસ્તી પૂરથી અસરગ્રસ્ત થઇ હતી. આ ઉપરાંતસરેરાશ દર વર્ષે ૯,૮૫,૭૩૧ જેટલા ઘરોને નુકશાન થયું હતું અને આથી કુલ ૨,૭૬,૦૦,૪૫૭ જેટલા ઘરોમાં પૂરને કારણે ભારે હોનારત ફેલાઈ હતી. વળી, સાલ ૧૯૭૭-૭૮માં મહત્તમ ૩૫,૦૭,૨૪૩ જેટલા ઘરો અને ૧૧,૩૧૬ જેટલા સજીવો પૂરના ભોગ બન્યા હતા. સરેરાશ દર વર્ષે ૧૩૮૨ જેટલા માણસો અને ૯૬,૮૧૫ જેટલા ઢોરઢાંખર પૂરને લીધે મૃત્યુ પામ્યા હતા. ધાન્ય અને બીજી કેટલીક જાહેર સુવાધાઓને લગભગ ૯૧૫૩૭.૫૯ કરોડ જેટલું નુકશાન પહોંચ્યું હતું. આ તમામ હકીકતો પરથી એવું કહી શકાય કે, ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા દશકામાં વિકાસાર્થે જેટલા પણ કાર્યો થયા હતા તે આ પૂરના કારણ કે વ્યર્થ નીવડ્યા.

ઉત્તરાખંડ રાજ્યની સરકાર ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DMMC)ને સહાય આપે છે. DMMC અનેક ટ્રેઈનિંગ કાર્યક્રમો, અગમચેતીના પગલાઓ માટેની માહિતી, વિશેષજ્ઞો સાથે સંપર્કઅને સ્થાનિક સંસ્થાઓને આપત્તિજન્ય વાતાવરણમાં રાહતકાર્યો કરવા માટે પહેલેથી તૈયાર કરાવવાની જવાબદારી લે છે. પણ આ તમામ બાબતોને અંતે એક જ વાત વારંવાર પ્રકાશમાં આવે છે કે આવી આફતોથી બચવા ગમે તેટલી યોજનાઓ ઘડવામાં આવે પરંતુ જ્યાં સુધી આપણે આફતો આવ્યા પછી, પ્રતિક્રિયા આપવાના આપણા મૂળભૂત સ્વભાવને પ્રાધાન્ય આપવાનું બંધ કરી, એ સંકટ વિશે અગમચેતીના પગલાં ભરવાને મહત્વ નઆપીશું ત્યાં સુધી હજારો લોકોના જીવ અને અનેક સંપત્તિઆ જ પ્રમાણે બરબાદ થતીરહેશે.  

સાલ ૨૦૦૫માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત બનેલી સંસ્થા જેવી કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(NDMA) અને સુપ્રીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સાલ ૨૦૦૮માંપૂર જેવી કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવા કેટલાક સૂચનો કર્યા હતા. એમણે લાંબા અને ટૂંકાગાળાના બધા જ પરિમાણોનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને કેટલીક ત્વરિત જરૂરિયાતોપર પ્રકાશફેંક્યો હતો. જેમાં ત્રણ અગત્યના મુદ્દા કંઇક આ પ્રમાણે છે,૧) દેશ, રાજ્ય કે તાલુકા કક્ષાના નકશામાં જે ગામ, શહેર, વિસ્તાર અને તાલુકો પૂરની સ્થિતિ માટે વધુ સંવેદનશીલ જણાય તેની પરખ કરવી. ૨) પૂરગ્રસ્ત વિસ્તારના મકાનોને ભવિષ્યમાં પૂર થકી કોઈ સંકટ ન આવે તે માટે સરકારી કાયદા દ્વારા એનું નવીનીકરણ અને ૩) ભીની જમીન અને હવાના ઓછા દબાણવાળા વિસ્તારમાં નવનિર્માણ માટેનાપ્રતિબંધોનું નિયમિત પાલન કરવું.

આમ છતાં, પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પહેલેથી જ સ્પષ્ટ યોજનાઓ અને કાર્યવ્યવસ્થાના ઘડતરનો અભાવ આ તમામ પરિસ્થિતિ માટે મોટા પ્રમાણમાં જવાબદાર છે. ઉપરાંત, પૂરથી અસરગ્રસ્ત હોય એવા વિસ્તારમાં પણ બચાવના પગલાઓ લેવાની યોજના સ્પષ્ટ અને ઝડપી હોતીનથી. વળી, ખાસ કરીને ગ્રામીણ કે દૂરના અવિકસિત શહેરો કે રાજ્યો જ આવા ભયંકર પૂરનો શિકાર વધુ પ્રમાણમાં બને છે. જો દિલ્હીમાંયમુના નદીના પાણીનું સ્તર ઊંચું થાય તો આખી સંસદ હચમચી  ઉઠે છે પરંતુ જયારે કોઈ ગ્રામીણ વિસ્તારમાં આવી કોઈ ઘટના બને ત્યારે એ સમાચારોની ઉપેક્ષા કરવામાં આવે છે અને એ અંગેનું કોઈ નિશ્ચિત આયોજન સમયસર કરવામાં આવતું નથી.

હિમાલય એન્વાયરમેન્ટલ સ્ટડીઝ એન્ડ કન્ઝર્વેશન ઓર્ગેનાઈઝેશનના સ્થાપક અનિલ જોશીનું માનવું છે કે ઉત્તરાખંડમાં આવેલા આ સંકટ પાછળ મુખ્યત્વે શહેરીકરણ, ઉદ્યોગીકરણ અને આપત્તિની યોજનાઓમાં થતી અનૈતિક કામગીરીઓ જવાબદાર છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણીનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો, જંગલ અને હિમક્ષેત્ર ધરાવતો હિમાલય પૂર જેવી આપત્તિ માટે ખૂબ સંવેદનશીલ છે. આથી એના તરફ થોડું વિશેષ ધ્યાન રાખવુંઆવશ્યક છે. આમ છતાં, જંગલ વિસ્તારનો આડેધડ નાશ થતા હિમાલય હવે આવી આપત્તિ માટે વધારે સંવેદનશીલ બન્યું છે. ઉત્તરાખંડ જેવા અનેક રાજ્યોમાંઆવી ઘટનાઓ પહેલા અને પછી પણ કોઈ ચોક્કસ યોજના કે એમાંથી ઝડપથી ઉગારવાની દીર્ધદ્રષ્ટિ હોતી નથી અને કમનસીબે આપણો દેશ અને જે તે રાજ્યઇકોલોજીને બદલે ઇકોનોમીને વધુ પ્રાધાન્ય આપે છે.

જો ભૂતકાળના પૂરો પરથી આપને બોધ લીધો હોત અને નિષ્ણાતોના સૂચનોનો યોગ્ય અમલ કર્યો હોત તો આજે ચાર ધામની પવિત્ર યાત્રાએ ગયેલા હજારો લોકો જેઓ મૃત્યુ પામ્યા છે અને જેઓ વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત નથી એમને આપણે બચાવી શક્યા હોત.


23મી જૂન, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ " સન્ડે ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Tuesday, June 18, 2013

દામિનીને ન્યાય ક્યારે મળશે?






આંસુ કે સંગ ના બહુંગી સખી,
અબ ના મેં ગુમસુમ રહુંગી સખી,
સેહને સે બેહતર કહુંગી સખી,

આમિરખાનના અત્યંત પ્રસિદ્ધ ટી.વી. શો "સત્યમેવ જયતે"ના સ્ત્રીઓ પર થતા અત્યાચારો પર આધારિત એપિસોડમાં, મિનલ જૈનના મધુર અવાજ અને સ્વાનંદ કીરકીરેના મનની લાગણીઓને હચમચાવી જાય એવા "સખી" ગીતના શબ્દો આપણે સાંભળી એનો આસ્વાદ માણ્યો. પરંતુ ત્યારબાદ થોડા જ મહિનાઓ બાદ ડિસેમ્બર ૨૦૧૨માં આખા ભારતને ચોંકાવનાર "દામિની રેપ કેસ"ની ઘટના બની. આવી ઘટના બાદ અચૂક મનમાં પ્રશ્ન થાય છે, શું આવા શબ્દો માત્ર સાંભળીને આસ્વાદ મેળવવા માટે હોય છે?, " જસ્ટિસ ડીલેઈડ ઇસ જસ્ટિસ ડીનાઈડ", "બળાત્કારીઓને સજા કરો", "હેંગ ધ ક્રિમીનલ્સ" જેવાપોસ્ટરો લઈને સમગ્ર દેશ રસ્તાઓ પર તો ઉતર્યો પણ શું એ પછી આવા કિસ્સાઓ થતા બંધ થયા? શું આપણને હજી સુધી ન્યાય મળ્યો? કેટલાક પ્રશ્નો હમેશા નિરુત્તર રહે છે અને આ પ્રશ્નો પણ સદા નિરુત્તર જ રહ્યા છે.

"સખી" ગીતના જ આગળના શબ્દો ,
"તન કે ઘાવ પે મરહમ હયા કા
મન કા ઘાવ હે પ્યાસા દવા કા
સિતમ કે અંધેરો મેં સદીયો  હે  બીલ્ખી
માસૂમ ભોલી વો પ્યારી ખુશી", પોતાનામાં જ એક અસહ્ય પીડાની લાગણી ઉપજાવી જાય છે.

સ્ત્રીઓ પર થતા આ પ્રકારના અમાનુષી અત્યાચારો અને એ પછીના માનસિક અને શારીરિક ઘાવોની દર્દભરી દરેક વાતોને વાચા આપવા "ધ વોલ સ્ટ્રીટ જર્નલ"ના એશિયાના એડિટર પોલ બેકેટ અને દિલ્હીના એક પત્રકાર ક્રિષ્ના પોખરેલે તેમના અન્ય સાથી એડિટરોની સાથે મળીને હાલમાં જ એક ઈ-પુસ્તક"ક્રાઈમ અગેઇનસ્ટ વુમન: થ્રી ટ્રેજડીસ એન્ડ ધ કોલ ફોર રીફોર્મ ઇન ઇન્ડિયા" પ્રસિદ્ધ કર્યું છે.ભારતમાં આ ઈ-પુસ્તકપુસ્તક સ્વરૂપે જુલાઈના મધ્યભાગમાં પ્રકાશિત થશે.

વોલ સ્ટ્રીટ જર્નલની વાત કરીએ તો એ અમેરિકાનું સૌથી મોટું દૈનિક અખબાર છે, જે ૨૩ લાખથી પણ વધુ લોકોમાં દ્વારા વાંચવામાં આવે છે અને ઓનલાઈન ઉપયોગકર્તાની સંખ્યા ૩ કરોડ ૬૦ લાખ કરતા પણ વધુ છે. વોલ સ્ટ્રીટ જર્નલ અને હાર્પર કુલીન્સના પ્રકાશનનું  આ બીજું પુસ્તક છે. આ પહેલા "પોપ ફ્રાન્સિસ: ફ્રોમ ધ એન્ડ ઓફ ધ અર્થ ટુ રોમ" પુસ્તક તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. 

સમગ્ર ભારતમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારનું એક નવું જ પ્રકરણ શરુ કરનાર દિલ્હીના દામિની રેપ કેસને આધારે વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકારોએ આ વિષય પર ઘણું સંશોધન કર્યું. દામિની ઉપરાંત બીજા અન્ય, આ જ પ્રકારના કિસ્સાઓનો પણ સઘન અભ્યાસ કર્યોઅને આ સમગ્ર અભ્યાસ દરમિયાન અનેક દુઃખદ અને લાગણીસભર માહિતી પ્રકાશમાં આવી. કેટલાક બનાવોના પીડિતો તો પહેલી વખત જ પોતાની સાથેથયેલએ ઘટનાઅન્ય કોઈ સામે વ્યક્ત કરી રહ્યા હતા.

આજે જ્યારે આપણે દરેક ક્ષેત્રમાં આટલા પૂરઝડપે આગળ વધી રહ્યા છે ત્યારે સાચે જ મનમાં પ્રશ્ન થાય છે કે માનવીય લાગણી, મૂલ્યો અને વ્યક્તિગત આચારસંહિતાશા માટે ઘટતી જાય છે? રસ્તે ચાલતી યુવતીઓને જાહેરમાં જ સીટી મારવી, દુરાચાર કરવો કે પછી છેડતી કરવી એ હવે એક સામાન્ય બાબત બની ગઈ છે અને વધુ આશ્ચર્ય પમાડે એવી બાબત એ છે કે આપણે આવી બાબતોથી ટેવાય રહ્યા છીએ. માનવીનો સ્વભાવ કોઈ પણ વસ્તુથી એટલો જલ્દી ટેવાવા લાગે છે કે સારા નરસાનું ભાન ભૂલીને સંજોગોને સ્વીકારવા લાગે છે.

આ નવા પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં ભારતમાં થયેલા સ્ત્રી હત્યાચારોના સૌથી પીડાદાયક અને ચોંકાવનાર ત્રણ કિસ્સાઓને વર્ણવ્યા આવ્યા છે. શરૂઆતથી લઈને અંત સુધી તમામ ઘટનાઓને તેમના પરિવાર, પીડિત અને પોલીસની કામગીરી વિશેની તમામ હકીકતોસાથે અહી રજૂ કરવામાં આવી છે. દિલ્હીમાં થયેલા દામિની રેપ કેસમાંની બધી જ હકીકતો અને તેના મૃત્યુ બાદ તેના પરિવારજનોની સ્થિતિ વિશેની કરુણ કથા અહી રજૂ કરાય છે. એક બાજુએ જ્યારે આપણે વિજ્ઞાન અને અવનવી તકનીકોમાં રોજેરોજ કોઈને કોઈ શોધખોળ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સ્ત્રીઓને રોજિંદાક્રમે થતી પજવણી સમાજની વિષમતા દર્શાવે છે. જેનું ચિત્રણ આ પુસ્તક ઘણી સારી રીતે કરવામાં આવ્યું છે. ઘણીવાર આ ઘટનાઓમાં ગંભીર હુમલો પણ સામેલ હોય છે, જેમકે, હાલમાં જ મુંબઈ સ્ટેશન પર ઉતરેલી એક યુવતીના ચહેરા પર કોઈ અજાણતા જ યુવાને એસિડ ફેંક્યું હતું અને થોડા જ દિવસોમાં એ યુવતી મૃત્યુ પામી હતી. અહી પ્રશ્ન આ તમામ ઘટનાઓ ક્યારે અટકશે એ નથી પણ આ ઘટનાપાછળની વિચિત્ર માનસિકતાજન્મી ક્યાંથી એ વધુ અગત્યનો છે. આપણે "ભાઈ, આ તો કળયુગ છે. આ તો થવાનું જ " કહી મનને માનવીએ તો આ વાત કઈકઅંશેસાચી ઠેરવી શકીએ. પરંતુ આજના તાર્કિક યુગમાં આ વાત પચાવવી થોડી અઘરી છે, કારણ કે, જો રામ ભગવાનનો યુગ એ સતયુગ કહેવતો હોય તો સીતામાંતાના થયેલા અપહરણ વિષે શું અભિપ્રાય આપવો? સતયુગમાં જ્યારે આ ઘટના બની શકે તો આજે આપણે કળયુગના નામે આવા કિસ્સાઓને શા માટે ચલાવી લઈએ છીએ?

આવા જ કઈક વિચારો સાથે, આવી ઘટનાઓ પર નિયત્રણ લાવવા માટેના સૂચનો કે જે ભારતમાં થતા આ અમાનુષી અત્યાચારોના ચિત્ર બદલી શકે છે એ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. પત્રકારોએ અહી ઘણા અભ્યાસ બાદ કેટલાક વ્યક્તિઓ અને જૂથો જેવા કે, રાજકારણીઓ અને સામાજિક કાર્યકર્તાઓકાયદોનું પાલન કરાવનાર સત્તાધિકારીઓ અને નાગરિકોને આ તમામ ઘટનાઓને નજીવી ગણવા કરતા આ સમસ્યાની ગંભીરતા સમજી, એને પારખી, એનો હલ લાવવા અંગેના કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. આ ઉપરાંત, દરેક ભારતીયનેપોતાના ઘરમાં રહેલી સ્ત્રીઓ સાથેના વર્તન માટે એક વાર તટસ્થતાથી વિચારવા અંગેના સૂચનો રજૂ કર્યા છે. દિલ્હી ગેંગ રેપ ઉપરાંત, આ પુસ્તકમાં દર્શાવવામાં આવેલા અન્ય બંને કિસ્સાઓ આપણાં રુંવાટાઊભા કરી દે એવા છે. આપણાકાયદામાં સ્ત્રી અને પુરુષના સમાન હકોની વાત કરવામાં આવી છેઅને બીજી તરફ, ભારતમાં કેટલી સરળતાથી સ્ત્રીઓ પર અકલ્પ્યનીય હદ સુધીના અત્યાચારો કરવામાં આવે છે એની સ્પષ્ટ, વિસંગતતસ્વીર આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

ઈ.સ. ૨૦૧૧માં આદિવાસી જાતિના વિસ્તારમાં ખાણકામના વિસ્તારના મુદ્દે એક કેથલિક સન્યાસીની હત્યા કરવામાં આવી હતી, જેની આ પુસ્તકમાં વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત, એક યુવાન સ્ત્રીને છેતરી, એના ત્રણ બાળકો સાથે એને ગામમાં છોડી દેવામાં આવી અને ત્યારપછીના વસમા પરિણામોનું વર્ણન પણ આ પુસ્તકમાં કરાયું છે.

એક અન્ય ઘટના જે આ પુસ્તકમાં વર્ણવામાં આવી છેજે માનવીની અંતિમ હદ સુધીની નિષ્ઠુરતા  અને વિકૃતતાનુ આબેહૂબ વર્ણન કરે છે. દિલ્હીમાં બનેલી આ ઘટનામાં યુવતીનું નામ કાયદેસર બહાર પાડવામાં ન આવે એ માટે અહી ગૂડિયા નામ જ રાખવામાં આવ્યું છેજે દેહ્વ્યપારીઓ દ્વારા એને અપાયું હતું. માતાના મૃત્યુ બાદશાકભાજીની સામાન્ય લારી ચલાવતા પિતા સાથે રહેતી ગૂડિયા અનેક વાર પિતાના મારપીટનો ભોગ બની હતી. એમના સંબધો એટલા બધા વણસી ચુક્યા હતા કેઆખરે ગૂડિયાને અનાથાશ્રમમાં રહેવાનો વારો આવ્યો. ત્રણ વરસ ત્યાં રહ્યા પછીગૂડિયા એના સ્નેહીજનોના ઘરે ફરતી રહી. ત્યારબાદફરી એ એના પિતા જીતેન્દર ગુપ્તા અને તેની નવી સ્ત્રી મિત્ર ગીતા સાથે રહેવા લાગી. ગીતા ગૂડિયાને પૂજા પાંડે કરીને એક મહિલાનેમળવવાના અર્થે ગોવીન્દ્પુરીમાં લઇ ગઈ અને ત્યાં જ એને રાખવામાં આવી. ત્યારબાદ પૂજાના કોઈ એક ભાણેજ સાથે એના લગ્ન માટે એના પર દબાણ કરવામાં આવ્યું અને એ માટે એને ઉત્તર પ્રદેશના કોઈ એક ગામમાં લઈ જવામાં આવીલગ્ન માટે એણે નનૈયો ભરતા પૂજાના જપતિ સંદીપે, એની હાજરીમાં જ ગૂડિયા પર બળાત્કાર કર્યું.બીજા સતત ત્રણ દિવસ સુધી એના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. દિલ્હી પાછા ફર્યા બાદ,૫૦૦ રૂપિયા વ્યક્તિદીઠ રૂપે અન્ય માણસોના હાથમાં પણ ગૂડિયાને સોપવામાં આવી. આથીય વધુ ક્રુરતા ગૂડિયા પર આચરવામાં આવી જે આ પુસ્તકમાં સચોટતાથી લખવામાં આવી છે. કઈ રીતે ગૂડિયા આ તમામ અત્યાચારોમાંથી મુક્ત થઇ અને શું આ તમામ દુષ્ટોને યોગ્ય સજા મળીજેવા તમામ પ્રશ્નોના ઉત્તર આ પુસ્તક વાંચવાથી મળી રહેશે.

આવા અનેક કિસ્સાઓ રોજ અખબારમાં વંચાતા હોય છે, મિત્રોમાં ચર્ચાતા હોય છે અને નિઃસાસા નાખતા હોય છે. પણ એની આગળ શું? એની આગળ વધીને એને નાબૂદ કરવાના પ્રયાસો શા માટે કરતા નથી એ સમાજની બહાર છે. જ્યારે આપણને કોઈ વસ્તુ ખૂંચવા લાગે છે ત્યારે એનો નિકાલ જરૂરી બને છે. એને નજરઅંદાજ કરવાથી માત્ર આપણી આસપાસ ગંદગી ફેલાશે, આપણને જ નુકસાન થશે. આવી ઘટનાઓથી ડરીને, આંખઆડા કાન કરીને આપણે પણ આ ગુનામાં સામેલ થઇ છીએ.  હવે ચૂપ રહીને સહેવાના દિવસો નથી. પરંતુ "યહી સોચ તો બદલની હે"ને આધારે અન્યાય સામે લડત આપવાની છે.




      18મી જૂન, ૨૦૧૩નાં રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "ફિલ્મ ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.