Monday, December 21, 2015

બાજીરાવ મસ્તાની: 'બુદ્ધિજીવી'ઓએ આની આગળ વાંચવું નહીં!



ફિલ્મ શરૂ થાય એ પહેલાં સામાન્ય રીતે અમુક સેકન્ડ્સમાં ડિસ્ક્લેમર રજૂ થઈ જતું હોય છે, પણ આ ફિલ્મમાં દેશના (હા, અને હવે તો વિદેશના પણ) 'બુદ્ધિજીવી'ઓને ધ્યાનમાં રાખીને એકદમ શાંતિથી, એક-એક શબ્દ પર ભાર આપીને ફિલ્મનું ડિસ્ક્લેમર રજૂ કરવામાં આવ્યું હતું અને પછીય જો લોકો ઈતિહાસના પોથા ઉઠલાવવા બેસી જાય ત્યારે સાલું થાય કે દીવાલો સાથે માથું અફાડવું જોઈએ, એ લોકોનું! 

ફિલ્મ વિશે લખતાં પહેલાં બે-ચાર વાતો સ્પષ્ટ કરવી જરૂરી છે. સંજય લીલા ભણસાલીએ ક્યારેય પોતાની ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ઐતિહાસિક તથ્યોને રેફરન્સ તરીકે લઈ શકાય એવી છાતીઠોકીને વાત કરી નથી. સંજય લીલા ભણસાલી એક કવિ છે, એક કલાકાર છે. ઈતિહાસના પાત્રોને મોટા પદડા પર ભવ્યરૂપે રજૂ કરવાની એની એક અલગ આવડત છે અને એમાંય કલાકાર માણસ જો પોતાની કલ્પનાના રંગો ના ભરે તો એનેય પોતાની કૃતિથી સંતોષ ના થાય. આ એક સમજવાની અને એની અનુભૂતિ કરવાની વાત છે. છડે ચોક ઝંડો ફરકાવી એના વિરોધની નહીં. 
બીજી વાત, સંજય લીલા ભણસાલીની ફિલ્મ આંખોને આહલાદકતાનો અનુભવ કરાવે, પણ સાથે હૃદયને પણ લાગણીઓથી ભરી દે. આમાં મગજનો ક્યાંય પણ અવકાશ જ નથી. અમુક ફિલ્મો બસ માણવા માટે હોય છે, ટીકા કરવા માટે નહીં. 

ફિલ્મમાં ચોક્કસપણે આંખે ઊડીને વળગે એવી ખામીઓ છે, પણ એ સામે ફિલ્મની કથા ઘણી સુંદરતાથી આલેખાય છે. ફિલ્મના કેટલાક દૃશ્યો જેવા કે, બાજીરાવ મસ્તાનીની પહેલી મુલાકાત (અને હા, ટુ ઓલ બુદ્ધિજીવીઓ... ઈતિહાસમાં ક્યાંય પણ આ બંનેની મુલાકાત વિશે સ્પષ્ટ વાત કહેવામાં આવી નથી, પણ આ સંજય લીલા ભણસાલીનો એક કાલ્પનિક-વાસ્તવિક સ્પર્શ છે.), બાજીરાવ-કાશીનું પ્રણય દૃશ્ય (એલિગન્ટ, સેન્સ્યુઅલ અને બ્યુટિફુલ!), મસ્તાનીના પ્રેમમાં કાશીને અન્યાય ન થાય એ માટેનો બાજીરાવનો એક સુંદર છતાં સમજદારીભર્યો પત્ર, શીશ મહેલની તકનિક, મસ્તાનીના સન્માન માટે બાજીરાવનો 'વો મહોત્સવ થા, યે મહેફિલ હૈ'નો બચાવ-પ્રેમ, કાશી-બાજીરાવના દીકરા રઘુનાથ માટે લીલા કપડાંથી ઢાંકેલી ભેટ લઈ જતી વખતે બાજીરાવની માતા સાથે મસ્તાનીના થયેલા સંવાદો, કાશીનું એના પતિને અન્ય સ્ત્રી સાથે વહેંચવાનું દર્દ, સાથે બાજીરાવની પણ કાશીથી નામરજીથી દૂર થવાની પીડા અને દીવાઓને ફૂંક મારી બુઝાવવાનું એ દૃશ્ય!!! અને અફકોર્સ ફિ્લ્મનો ક્લાઈમેક્સ, શબ્દ નથી એના માટે... આવી તો કેટકેટલીય ક્ષણો.... 

વાત એમ છે કે આપણે માત્ર વિરોધ કરતાં શીખ્યા છીએ. આજ સુધી મસ્તાની પર કોણે ચર્ચા કરી હતી સરેઆમ? નારીવાદી કુસુમ ચોપરાના મસ્તાની પુસ્તકને બાદ કરીએ તો કોણે 3 કોલમમાં એને જગ્યા પણ આપી હતી? પણ તાજેતરના છાપાં ઉથલાવો તો ઠેર-ઠેર બાજીરાવ મસ્તાની દેખાશે. ફિલ્મનું મહત્ત્વ આ છે... સંજય લીલા ભણસાલીએ ન તો પેશ્વા કે ન તો મરાઠા સલ્તનતનું અપમાન કર્યું છે. વાત મરાઠા-પેશ્વા-મુસલમાનને માટે છે જ નહીં. વાત છે વર્ષોમાં ધર્મ-સમાજના નામે ઘૂંટાતા આવતાં એ પ્રેમીઓની જે આજ સુધી મૌન રીતે સંદેશો આપતાં આવ્યા છે. સંજય લીલા ભણસાલીએ તો ભૂલાયેલી એક એવી પ્રેમ-કહાની લોકો સામે મૂકી છે, જેને મન મૂકીને નિહાળવી-માણવી જોઈએ. ચર્ચા થવી જોઈએ એ કારણની કે એક પુરુષ એના બચપણની મિત્ર એવી પત્નીથી સંતુષ્ટ હોવા છતાં શા માટે મસ્તાનીના પ્રેમમાં પડ્યો? પેશ્વા જેવા મગજના સતેજ, ઉત્તમ યુદ્ધકૌશલ્ય ધરાવતો યૌદ્ધા અને મરાઠાઓ માટે જીવવો એ વીર પુરુષ કેમ મસ્તાની આગળ દિલ હારી જાય છે? શું કારણ હોય છે આવા અદમ્ય પ્રેમ પાછળનું? એક બહુ ઊંચા સ્તરના સંબંધો હોય છે, જેને ધર્મના રંગો અને પરિવાર-સમાજની ઈજ્જતના નામે 'રખેલ', 'અસામાજીક', 'પાપ' જેવા વિવિધ નામોથી દબાવવામાં આવે છે, પણ હકીકત એ છે કે રાધા-કૃષ્ણની જેમ એ પાત્રો અને એમના પ્રેમ પણ અમર થતાં જ રહેશે.

Friday, December 4, 2015


થોડા દિવસ પહેલાં એક કવિતા જોઈ. અસર એવી થઈ કે મનના દરેક ખૂણામાં ત્યારબાદ વખતોવખત એના શબ્દો ઘૂમરાવા લાગ્યા. મનની ઈચ્છા પારખી ફરી એક વાર એ કવિતાને મમળાવી. એ જ અસર... વાસ્તવિક દુનિયા કરતાં કવિતાની એ કાલ્પનિક દુનિયા વધુ સારી લાગે. પ્રશ્ન થાય, હું રહું છું એ દુનિયા વાસ્તવિક છે કે કવિતાની દુનિયા? મન ફરી ફરી એ જ દુનિયામાં જવા માગે અને એને રોકું તો વળી આ વાસ્તવિક દુનિયાના લોકો પાગલ કહેવા લાગે એવી હરકતો થવા લાગે. શક્ય છે આવું? કોઈ કવિતા કલાકો-દિવસો સુધી સતત મગજમાં ઘુમરાતી રહે?
બિલકુલ શક્ય છે અને આ જ વાત તારા વેદને સમજાવે છે 'તમાશા'માં...
કોઈ પણ ફિલ્મની આ પ્રકારની કાવ્યાત્મક શરૂઆત મને યાદ નથી. શરૂઆતથી જ મનની અંદરથી આળસ મરડતો એક અવાજ સંભળાવા લાગે. તમાશા હું પહેલાં જ દિવસે જોઈ આવેલી... કારણ એ જ કે બની બેઠેલા ક્રિટિક્સના રિવ્યુની અસર મારે મારા મન પર થવા દેવી નહોતી. રાતના શોમાં ફિલ્મ જોઈ અને આવીને બધા છાપાંના રિવ્યું વાંચ્યા. નિરાશા થઈ. દિલ પર જાણે લોકોએ ઘા કરી નાખ્યા. ફરી એક વાર દેશના બુદ્ધિજીવીઓ પર શંકા થઈ. બીજા દિવસે પણ રિવ્યુ વાંચ્યા. 'ઈન્ડિયા ટુડે' અને ત્યારબાદ 'એબીપી' ન્યુઝની વેબસાઈટના રિવ્યુથી એક ધરપત થઈ કે ચાલો હજીય આશા છે. પણ પછી મેં મારી જાતને જ સવાલો કર્યા... ઈમ્તિયાઝ અલીની ફિલ્મો માટેનું મારા મનમાં પહેલેથી ઘર કરી ગયેલું આ વળગણ બોલે છે કે પછી રણબીર-દીપિકાનો ચાર્મ? કે પછી એન્જિન્યરિંગથી બીજી ફિલ્ડમાં જવાની વાતની એક સામ્યતાને કારણે હું બાયસ થાઉં છું? જવાબો મેળવવા કોરી સ્લેટ રાખી ફરી એક વાર ફિલ્મ જોઈ અને જવાબો કંઈક આવા મળ્યા...
શરૂઆતથી જ એક એવી કવિતા જોવા મળે, જે દિલ અને દિમાગ પર હાવિ થઈ જાય. મનમાં વર્ષોથી દબાવી રાખેલી લાગણીને આમ છડેચોક નગ્ન થતાં પહેલી વાર જોઈ. વેદની આંખોથી રામાયણ (સ્વેટર-બ્લેટ પહેરેલા રામ, શર્ટમાં લક્ષ્મણ અને હાર્ટમાં આર-એસ ના ટેટુ તથા ગળામાં એન્ગેજમેન્ટના રિંગની માળા પહેરેલી સીતા,'અશોક વાટિકા'નો પીઓ બોક્સ) કદી વાસ્તવિક જીવનમાં ના જોયલી કે વિચારેલી. હા, મનમાં આવા જ નિર્દોષ ચિત્રો નાનપણમાં ચિતરેલા હશે. છેલ્લે ક્યારેય આપણે પોતાના મગજની છબીને આમ ઉઘાડી પદડા પર નિહાળેલી? પિયુશ મિશ્રાના અવાજમાં સ્ટોરી... રામ-સીતાની કહાનીમાં પશ્ચિમની કહાની ભેગી કરી ત્યાં તો કહે ક્યા ફર્ક પડતાં હૈ? બધી સ્ટોરી એક જ હોય છે, બસ એની ટ્રીટમેન્ટ અલગ છે. આવી આવી મોમેન્ટ્સ દિમાગ પર છવાયેલી રહે છે.જ્યારે લોકો એમ પૂછે છે કે ફિલ્મમાં નવું શું છે ત્યારે શું જવાબ આપવો એ જ સમજ ના પડે. એટલું કહેવાનું મન થાય કે દોસ્ત ફિલ્મ ફરી એક વાર જો અને આ વખતે નવું શોધવા નહીં, જે છે એ માણવા જો. પછી નવું જ નવું દેખાશે.
ફિલ્મમાં પંચલાઈન એટલી બધી છે કે ઊભા થઈને તાળી પાડવાનું મન થાય. હા, એ વાત પણ સાચી કે કેટલીક ફ્રેમમાં સંવાદોની ઉણપ લાગી. રણબીર-દીપિકા વચ્ચેના કદાચ બે સંવાદો મને અત્યંત નબળા લાગ્યા, પણ છતાં ફિલ્મના અન્ય સંવાદોની સામે બે કાચી ક્ષણો ભૂલી જવાય એવી છે.
આ ફિલ્મને જ્યારે વેક અપ સિડ કે પછી રોકસ્ટાર- લવ આજકલ, થ્રી ઈડિયટ્સ સાથે સરખાવવામાં આવે છે ત્યારે દુ:ખ થાય છે. અત્યંત દુ:ખ... કેમ? કારણ એ કે હા માનું છું કે ફિલ્મમાં ફરીથી રણબીર દિલને જ અનુસરવાનું કહે છે. જે ગમે, જે કરવું છે એ જ કરવા કહે છે અને આ ફિલ્મોમાં ઉત્તમ શૈલીમાં એ પદડે દર્શાવી જ દીધું છે તો ફરી કેમ? ફરી એટલા માટે કે આ ફિલ્મો પછી નેશન વોન્ટેડ ટુ નો કે દિલની વાત તો સાંભળીએ પણ અવાજ લાવીએ ક્યાંથી? અને તમાશા આ સવાલનો જવાબ છે.
તમાશા એ ફિલ્મોથી આગળ પણ કંઈક કહે છે અને એ છે દિલનો અવાજ કઈ રીતે સાંભળવો... આગળની ફિલ્મોમાં કહી દીધું કે પોતાના પેશનને ઓળખો એને ફોલો કરો. દુનિયા તમારા પગ નીચે હશે.. પણ એક સવાલ... કઈ રીતે? પિયુશ મિશ્રાના અવાજમાં 'ફરેબી', 'ઠગ' જેવા શબ્દો સાંભળીને જો દિલ હલીના જાય તો સમજવું કે આપણી અંદરના બચપણનો એ સાપ સંપૂર્ણપણે મરી ગયો છે. ફિલ્મ દિલની વાતને ફોલો કરવા ઉપરાંત આપણી અંદરના મરી ગયેલા એ બચપણને પાછું ઉઠાડે છે જે આપણને સામાન્યમાંથી અસામાન્ય બનાવવાની શક્તિ ધરાવે છે, જે 'કઈ રીતે'નો જવાબ આપવા સક્ષમ છે.
થિયેટરમાંથી બહાર આવતાં યંગસ્ટર્સને એવું સાંભળતાં જોઉં કે 'કોણ લાવેલું આ ફિલ્મ માટે, પૈસા લો પાછા એની પાસેથી' ત્યારે ઝણઝણાટી થઈ આવે કે આ સમાજે બાળપણની ક્રૂર હત્યા કરી નાખી છે. આ ફિલ્મ એ જ વ્યક્તિ માણી શકે જેણે બાળપણ ક્યાં તો અંદર જીવતું રાખ્યું છે અથવા અર્ધજાગૃત છે. આ વ્યક્તિઓ કદાચ ફિલ્મ જોઈ સમાજના બંધનો તોડી શકવા વિચારશીલ બને અથવા પોપકોર્ન ખાયને ઘર ભેગા થાય, પણ સાલું જેને ફિલ્મ જોયા બાદ પણ પેટનું પાણી ના હલ્યું એના પર સમાજનો કેવો પ્રભાવ પડ્યો કહેવાય? આવો સમાજ? આ માનસિકતા?
ફિલ્મમાં દરેક ફ્રેમને એક ચોક્કસ માપદંડના આધારે ફિલ્માવામાં આવી છે. લાગણીવશ થયા વિના પણ જોઈએ ને તો હૃદય સાલું હચમચી જાય છે. દિલની વાતો સાંભળવા માટે અવાજ તો જોઈએ ને? તમાશા એ અવાજ છે. જો તમને આ અવાજ સંભળાયો તો ઈમ્તિયાઝ અલી કહે છે એમ કે હજુ પણ મોડું નથી થયું, પણ જો આ અવાજ નથી સંભળાતો તો પછી કદાચ દુનિયાની સૌથી અમૂલ્ય ચીજ તમે ગુમાવી ચૂક્યા છો. પણ જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી એ અવાજ કદી મરતો જ નથી. માત્ર દિલને બહેરું બનાવવામાં આવે છે, સમાજના ડરથી.
ખેર, હું તો આ કવિતાના નશામાં હજુ રહેવા માગું છું, પણ સવાલ એ છે કે શું તમે આ નશો માણ્યો છે ખરો? શું સાચા-ખોટા, ગમા-અણગમા અને કહેવાતી 'બુદ્ધિ'ના માપદંડમાં ફસાયા વિના બાળસહજ ભાવે ફિલ્મને માણી છે ખરી? ના માણી હોય તો એક વાર ફરી કોરી સ્લેટ રાખી ફિલ્મ જુઓ, દિલનો અવાજ સંભળાશે. એ અવાજ માત્ર જીવનની દિશા નક્કી કરવા માટેનો નથી એ અવાજને તમારી અંદરના વાસ્તવિક વ્યક્તિને બહાર કાઢવાનો છે, એ અવાજ છે તમારી જિંદગી 'લોકો'ની ચિંતા કર્યા વગર માત્ર તમારી ઈચ્છાએથી જીવવાનો અને એ અવાજ છે દુનિયાની સામેથી મુખોટો કાઢી નવેસરથી જિંદગીને માણવાનો...
તમાશા એક અરીસો છે, જો ધ્યાનથી જોશો તો તમારી છબી ઉઘાડી કરી દેશે. અવાજ તો આવશે જ, એને સ્વીકારવો કે ના સ્વીકારવો એ તમે નક્કી કરી લેજો.

Wednesday, September 30, 2015

મારા દાદાજીનો અસબાબ...



બાકી, શું નવા-જૂની?’, આજે શું ખાધું?’ બસ, આ બે સ્ટાન્ડર્ડ સવાલોથી દાદાજીની વાત શરૂ થતી. તબિયતનું પૂછીએ તો કહે, હાઈ ક્લાસ. બસ, આ જરા આંખની તકલીફ છે. છેલ્લાં એક વર્ષમાં દાદાજી સાથે ફોન પર આટલી વાતો થતી. ઋતુ બદલાઈ એટલે વરસાદ ને ગરમી-ઠંડીનું પૂછી લે. એકાદ વાર એવુંય પૂછે ક્યારે આવાની? હું કહું હમણાં તો નહીં હવે. તો કહે, આવતાં રહેવાનું, મમ્મી-પપ્પાને પણ ગમે. પોતાની વાત નહીં, પણ ગમે તો એમનેય ઘણું.

હું ફ્લાઈંગ રાણીમાં રાત્રે ૧૧ વાગ્યે સુરત પહોંચું. મમ્મી-પાપા આવ્યા હોય સ્ટેશને એટલે ઘરે માત્ર દાદાજી હોય. જેવો દરવાજો ખૂલવાનો અવાજ આવે કે તરત એમના રૂમમાંથી બૂમ મારે, કોણ?’ હું કહું, દાદાજી, અમે છીએ. એટલે કહે, કોણ અમી? એટલે ક્યારેક રૂમમાં જઈને મોઢું બતાવી આવું. પછી સવારે સાથે ચા પીવાનું કહી છૂટા પડીએ. (પણ હું એટલી વહેલી ઊઠતી નહીં.) આવો એક વર્ષથી નિયમિત કાર્યક્રમ.

મારા દાદાજીની યાદો ઘણી, પણ છૂટી છવાયેલી. એમ બોલે ઓછું, પણ પાછી વાતો કરવા ઘણી જોઈએ. જૂનું-જૂનું યાદ પણ બધું. ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા. એ બધું કેટકેલીય વાર સંભળાવી ચૂકેલા. પપ્પાનો, ભાઈ-ભૂમિનો અને મારો મોહ પણ ખરો. મમ્મીને કદી બતાવે નહીં, પણ રૂપા વગર એમનો એક દિવસ જાય પણ નહીં. પોતાનામાં રચ્યા-પચ્યા રહેવાનુંય એટલું જ ગમે. સ્વભાવે શિસ્તબદ્ધ અને એકદમ પર્ટિક્યુલર. એમના હલન-ચલન પરથી સમય નોંધી શકાય એટલા નિયમિત. ઘરમાં ખાસ બોલે નહીં, પણ એમની વસતી જરૂરથી લાગે. કેટલા વાગ્યા જેવા સવાલોથી લઈને બરફનો એક ગાંગરો આપ જેવું કંઈને કઈ ચાલ્યા કરે.

લોકો મળવા આવે એ એમને બહુ ગમતું. સોસાયટીના ફેરિયા, દૂધવાળા બધા જ ઓળખે દાદાજીને. એમની બર્થ ડેના દિવસે એ બધાને અને અમને ડેરી મિલ્ક ચોક્કસપણે મળે. પૈસાનો પણ વ્યસ્થિત હિસાબ રાખે, પણ ક્યારેક મને કંઈક લેવા મોકલે અને ૧૦-૨૦ રૂપિયા બચ્યા હોય તો કહે, લે, 'તું રાખ. દાદાજી ની હશે ને ત્યારે યાદ કરજે.' રોજના પેપરને વ્યસ્થિત ગળી વાળતાં, તારીખ-વાર લખતાં અને પસ્તી પણ એ જ વેચતાં. એમાંથી રૂપિયા આવે એ મને આપતાં. ભાઈ હતો તો એને વધારે આપે. મોટો એટલે. મને ઓછા આપે. પણ કામ પણ એ જ બધા કરતો એટલે એની માયા બહુ વધારે. પણ આજેય જ્યારે વિચારું તો એ જે રૂપિયા મને મળતાં એના જેવી ખુશી મને આજ સુધી ક્યારેય મહિનાની સેલેરી જોતાં થઈ નથી. કદાચ આ એક ક્લીશે છે, પણ આજકાલ સાંભળતા આવેલા આ બધા વાક્યો અને શબ્દોને નજીકથી અનુભવવાનું નસીબે આવ્યું છે. 

મારા દાદાજી જેટલું જીવ્યા એટલું સ્વસ્થ અને આત્મનિર્ભરતાથી જીવ્યા. બાના મૃત્યુ સમયે હું નાની હતી. એમના મૃતદેહને નવડાવવાની વિધિ હતી ત્યારે હું ડરી ગયેલી, રડેલી. હું સ્પર્શ પણ નહોતી કરી શકી. પણ દાદાજીના અંતિમ દરેક શ્વાસની પળોમાં હું હાજર હતી. પહેલી વાર જીવ જવો એટલે શું એ નજરોથી જોયું. માણસની કુદરત આગળની લાચારી જોઈ. મારા દાદાજીની છેલ્લા દિવસ સુધી જાતે ચાલવાની જીજીવિષા જોઈ. એમ કોઈનું પણ સાંભળી ના લે, પણ છેલ્લે મેં એમને ડોકું હલાવી દરેકની વાતો સાંભળતાં જોયા. મારા હાથેથી એમને ચમચીએથી ખવડાવતાં એમના ચહેરાની લાચારીને જોઈ. મરતી વેળાએ શરીરના ગરમાટાથી ઠંડુ પડવાની એ ક્ષણો દરમિયાન એમના ચહેરા પરની નિર્લેપતા જોઈ. પોતાનાને ગુમાવવું શું એનો પહેલી વાર સભાનપણે અનુભવ કર્યો. મારા પાપાની આંખોના પહેલી વારના આંસુ અને ભાઈની ગેરહાજરીનું એમના અંતરમનનું દુ:ખ જોયું. મમ્મીના રોજિંદા જીવનનો એક ખીંટો અચાનક જ તૂટી જતાં જોયો. એમના જીવનમાં પડેલો આ ખાલીપો એમના ચહેરા પર જોયો અને આ બધી લાગણીઓથી દૂર શબવાહિનીમાં શાંત ચહેરે સ્માશાન સુધી જઈ રહેલા મારા દાદાજીના દેહને બહારના ઘોંઘાટમાં સ્થિર-નિશ્ચિંત સૂતેલો પણ જોયો. 

હજુ સુધી સાંભળતાં આવેલા ધાર્યું નહોતું, ખાલીપો જેવા શબ્દો આજે અચાનક અર્થસભર અને પોતીકા લાગવા લાગ્યા. એમ ત્યારે હજારો વાર દાદાજીના રૂમમાં....થી વાક્યો શરૂ થતાં, પણ આજે જ્યારે બોલવાનું આવે કે એ તરફ જોવાનું આવે ત્યારે હજુય આ વાસ્તવિકતાને પચાવી કે સ્વીકારવી કેમ એ સમજાતું નથી. પોતાની વ્યક્તિને ગુમાવવું એટલે શું છે એ કદાચ આટલું નજીકથી ક્યારેય જાણ્યું નહોતું. પણ આજે દાદાજીની આત્માને શાંતિ મળે એવી હરપળે દુઆ થાય છે.


આજે જ્યારે એમના રૂમની સફાઈ કરી ત્યારે બા સાથેના એમના ફોટોગ્રાફ્સ, એમના જરૂરી કાગળ અને એમના રૂટિનની જરૂરી ચીજ-વસ્તુ સિવાય બીજું કંઈ હતું નહીં. એમની ખરી સંપત્તિ અમે હતા. અમારો પરિવાર હતો અને છેલ્લી ઘડી સુધી એ પરિવાર એમની સાથે હતો. એમના છેલ્લાં શ્વાસ સુધી એમને અમે ધરપત આપતાં કહ્યું હતું કે અમારી ચિંતા ના કરતાં. અમે સુખી છીએ. કદાચ એટલે જ એકદમ શાંતિથી અને સ્વસ્થ રીતે એમણે દેહ છોડ્યો હશે!  

Wednesday, April 1, 2015

‘પ્રકૃતિ જીવન ટકાવે તો છે, પણ તેના સંસર્ગે રહેનારને જીવન જીવતા પણ શીખવાડે છે.’

ધ્રુવ ભટ્ટ... આ શબ્દ મેં પહેલી વાર એક વર્ષ પહેલાં સાંભળ્યો હતો, મારા એક ઈન્ટેલિજન્ટ મિત્ર પાસેથી. એ મિત્ર તત્ત્વમસી વાંચીને હું સખત પાગલ થઈ ગયો હતો એમ ઘણી વાર બોલતાં, પણ પુસ્તકનું નામ સાંભળી મને થતું કે હશે કોઈ પુસ્તક... પણ પછી ધ્રુવ ભટ્ટ પોતે સુરત આવ્યા. ૨-૩ દિવસ રહ્યા. એમનું અકૂપાર નાટક સુરતમાં ભજવાયું. ચેતનભાઈને કારણે મને એમની સાથે એ નાટક જોવા મળ્યું અને સાથે દૂરથી, પણ ધ્રુવ ભટ્ટને જોવા મળ્યા. હજી પણ ધ્રુવ ભટ્ટની પ્રતિભાથી હું અજાણ હતી. નાટક શરૂ થયું અને સ્થાનિક ભાષામાં વણાયેલું એ નાટક મને બાંધતું ગયું. સાથે-સાથે ચેતનભાઈ તળપદા શબ્દો સમજાવતાં ગયા. નાટક પત્યું પછી જાણે કોઈ મને બળજબરીથી એ નાટકની દુનિયામાંથી બહાર કાઢતું હોય એમ લાગ્યું. મારે હજી એ દુનિયામાં રહેવું હતું અને હું રહી. મેં અકૂપાર પુસ્તક વાંચી કાઢ્યું. નાટક જેવી જ તીવ્ર લાગણી મનને ઘેરી વળી. પછી મારા એ અતિ પ્રતિભાશાળી મિત્રએ એક વાર ફરી તત્ત્વમસીની વાત કરી. એટલે વખત જતાં એ પુસ્તક હાથમાં લીધું. એ પુસ્તક હાથમાં લીધું ન લીધું, હું નર્મદાના પ્રેમમાં પડી ગઈ. એના કિનારા, એની આસપાસના વિસ્તાર અને જંગલમાં ફરી વળવાની મને તીવ્ર ઝંખના થઈ આવી. ધ્રુવ ભટ્ટને સુરતમાં ન મળ્યાનો પારાવાર અફસોસ પણ થયો. પણ એ અફસોસ એમના પુસ્તકો વાંચી પૂરો કરવાનું નક્કી કર્યું અને એ નિશ્ચયરૂપે હાલમાં સમુદ્રાન્તિકે વાંચ્યું.
એક પુસ્તકથી વાચક શું ઈચ્છે? પ્રેરણા, જ્ઞાન, રીફ્રેશમેન્ટ, માહિતી, આનંદ? પણ જો પુસ્તકમાંથી તમને સ્વની ઓળખ, પસંદ, ઝંખના, એક નવી દુનિયા, પ્રકૃતિની સમજ અને દુનિયાના અનોખા વ્યક્તિઓની ઓળખ મળે તો? બસ, આવું જ કંઈક છે સમુદ્રાન્તિકેના એક એક પાના પર. જેમ જેમ પાનું ફરે તેમ તેમ તમારું મન એક એવી દુનિયા તરફ ખેંચાતું જાય જ્યાં વર્ષોથી જવાની કે ફરવાની તમે ઈચ્છા કરી હોય. સમુદ્રકિનારે બેઠાં, હવા ખાતાં કે રેતીમાં હાથ ફેરવતાં ક્યારેય જો પોતીકાપણાની કે સ્નેહની લાગણી થઈ હોય તો આ પુસ્તકના દરેકે દરેક અક્ષરે તમે પ્રકૃતિને માણી શકશો. આજનો આધુનિક માણસ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી એવો ઘેરાયો છે કે જો એને ૩૬૫ દિવસમાંથી પાંચ-છ દિવસના હળવા વેકેશન દરમિયાન પ્રકૃતિનો આનંદ મળે તો પણ ધન્ય થઈ જાય અને એમાંય હવે ટુરિઝમનો વિકાસ જેવા ભારેખમ શબ્દોને કારણે વિદેશી ફૂડ ચેઈન અને આધુનિક સવલતો વચ્ચે માણસ રહેતો હોય છે. એટલે પ્રકૃતિ સાથે તે સીધો સંબંધ બાંધી શકતો નથી.
આજકાલ એવા સરવે કરવામાં આવે છે કે વ્યક્તિ દિવસની આટલી મિનિટ ફોન ચેક કરવા પાછળ ગાળે છે, આટલા કલાક ઓનલાઈન હોય છે બ્લા... બ્લા... પણ આ પુસ્તક વાંચતી વખતે મને સતત એક વિચાર આવતો કે હું દિવસની, અઠવાડિયાની કેટલી મિનિટ પ્રકૃતિને આપું છું? જવાબમાં શરમ તો આવે જ, પણ સાથે પ્રકૃતિની આપણા માટેની સ્વીકારવૃત્તિનો અહેસાસ થાય તો તેના માટે માન પણ ઉપજી આવે.
સમુદ્રાન્તિકે પુસ્તકના કેટલાક વાક્યો છે, જે પ્રકૃતિ નજીક ખેંચે છે એ લખવાનું મન થાય છે. આ પુસ્તકનો નાયક કહે છે કે, મેં અનુભવ્યું છે કે જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે, તેને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણોનું દાન કરે છે., પ્રકૃતિ જીવન ટકાવે તો છે, પણ તેના સંસર્ગે રહેનારને જીવન જીવતા પણ શીખવાડે છે. આવી તો અનેક વાતો વાંચીને ઊંડા વિચારોમાં ગુમ થનારી મોમેન્ટ્સ મેં ઘણી માણી છે અને સાથે પ્રકૃતિના પ્રેમમાં પણ પડી છું.
મજાની વાત તો એ છે કે ૧૯૯૩માં પહેલા વહેલા પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં આધુનિક માનવી, પ્રકૃતિ સાથે તેનો મેળાપ અને દુનિયાને જોવાની એની બદલાતી દૃષ્ટિની વાસ્તવિકતા આજે પણ એટલી જ યથાર્થ લાગે છે.
મને ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ છે. આ ભાષા માટે હું લડી પણ છું અને સતત લડતી પણ રહીશ, કારણ કે આ ભાષાની જે ખૂબસુરતી હું માણી શકું છું, વાંચી શકું છું એ મને અનહદ ખુશી આપે છે અને ધ્રુવ ભટ્ટના પુસ્તકોમાં માત્ર ભાષાની મજા જ નહીં, પરંતુ તેની અંદરના સત્ત્વને પણ જેમનું તેમ રાખવામાં આવે છે, જે તેમના તમામ પુસ્તકની વિશેષતા છે. બીજી વાત એ કે, પુસ્તક વાંચવાથી એક જોમ આપમેળે આવી જાય. કંઈક કરવાનું, કંઈક લખવાનું ને કંઈક માણવાનું. દરેક પાત્રોની વિશેષતા, તેનું વર્ણન અને કથાનો પ્રવાહ અદભુત હોય છે.

આટલા વર્ષોમાં પુસ્તકોના થોડા ઘણા વાંચન પછી એ તો અનુભવ્યું કે જે પુસ્તકો વાંચ્યા પછી મનના એક ખૂણામાં સ્થાન બનાવતાં હોય તો એવા પુસ્તકના લેખક અને તેના લેખનમાં હકીકતનો વાસ છે. આટલા લાંબા લખાણનો હેતુ બે જ છે. એક, રોજના વ્યસ્ત જીવનમાંથી આ પુસ્તક વાંચવાનો થોડો સમય કાઢો અને બે, પુસ્તક વાંચ્યા પછી, તમે જ એનો બીજો હેતુ મારી સાથે શેર કરશો એની મને ખાતરી છે.  

Saturday, January 3, 2015

રોન્ગ નંબર!!!!!!!!!!!!!!!!


દિવસો પછી આજે ફાયનલી પીકે જોવાનો સમય મળ્યો. પિક્ચરના સેકન્ડ હાફથી જ મન એક વિચારે ચઢ્યું કે આ વિરોધ શાનો? ભગવાન વિશે દર્શાવવા માટે?

વેલ, મને લાગે છે કે દેશના લોકો કદાચ ફિલ્મને સમજ્યા જ નથી. ફિલ્મમાં પીકે રોંગ નંબરની વાત કરે છે. કોઈ ફિરકી લે રહા હૈ…’ આ વિરોધમાં પણ મને એવું જ કંઈક લાગી રહ્યું છે. કારણ કે જો લોકો ફિલ્મ સમજ્યા હોત તો વિરોધ મંદિરોમાં ભગવાનને નામે આધિપત્ય જમાવી ચૂકેલા, ગલી-ગલીએ જોવા મળતાં ધૂતારાનો થયો હતો. પીકેનો નહીં.

આપણે ક્યારે સરળ અને સાદી ભાષાને સમજીશું? આ વાત મને ખરેખર છેલ્લાં કેટલાય મહિનાઓથી પરેશાન કરે છે. આજે સ્થિતિ એવી થઈ છે કે ટ્રેનમાં ટ્રાવેલ કરતાં ભૂલ-ચૂકમાં પણ કોઈ સામે હસાય જાય તો પહેલા એના મનમાં વિચાર એ આવશે કે આ કોણ છે? ઓળખે છે? અરે, દોસ્ત... જસ્ટ સ્માઈલ બેક. બાકીનું પછી જોઈ લેવાશે! નાના બાળક સામે જોઈને હસીએ તો એની માતાને વિચાર આવશે આની નજર તો નહીં લાગે ને? માણસનો માણસ પ્રત્યેનો વિશ્વાસ એટલી હદે હણાયો છે કે તેણે એક પથ્થરનો સહારો લેવો પડે છે.

એક ઔર સવાલ દરમિયાન પ્રશ્ન હતો કે શું કામ લોકો જે એક ઉમ્મીદ પર જીવી રહ્યા છે એને તોડવી? પણ મારો મૂળ પ્રશ્ન છે, ખોટી આશા જ કેમ બાંધવી? જે વ્યક્તિ આત્મહત્યા કરવાનો છે, એને ઈશ્વરની રાહ બતાવીને બીજા બે-ચાર મહિના આગળ વધારી શકાય, પણ અંતે તો ઈશ્વરનો ભ્રમ તૂટશે ને સાથે ઈશ્વરમાં જે થોડી ઘણી શ્રદ્ધા છે એ પણ અને મરશે તે તો અલગ જ. મુશ્કેલીમાં પડેલાને કોઈ ખોટી શ્રદ્ધા કે ખોટા દિલાસાને બદલે શું તેની મુશ્કેલીનો ઉપાય નહીં બતાવી શકાય? માણસ મુશ્કેલીના સમયમાં પણ બીજાને ઈશ્વરના નામે છેતરવાનું જ પસંદ કરે છે?

ફિલ્મની એક વાત ખરેખર પસંદ પડી. મને ઘણીવાર પૂછવામાં આવે છે... ભગવાનમાં માને છે? એટલિસ્ટ હવે મારી પાસે જવાબ છે. હું જેણે આપણને બનાવ્યા એમાં માનું છું.

ફિલ્મમાં સરફરાઝનો જે રાઝ ખૂલે છે, ત્યારે પણ આ જ સરળતાની વાત છે. જોવા જઈએ તો આપણામાં એક અગાઢ શક્તિ રહેલી છે. બસ, આપણે ઉપયોગ ખોટી જગ્યા કરીએ છીએ. જેમ કે, જગ્ગુ કોઈ બાબામાં વિશ્વાસ કરતી નથી અને એમને ખોટા સાબિત કરવા માટે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પણ દિલના એક ખૂણામાં તો એ બાબાની વાત ફર્યા જ કરે છે અને ત્યાં જ રોન્ગ નંબર લાગે છે. આપણે હંમેશાં નકારાત્મકતા પર પોતાની બધી એનર્જી કેન્દ્રિત કરીએ છીએ. શા માટે? જો આ એક સરળ વાત સમજાય તો પછી કોઈ ખોટી ઉમ્મીદ બાંધી આપતાં ભગવાનની જરૂર નહીં પડે. પીકેએ કોઈ મોટી વાત કે ગૂઢ રહસ્ય નહોતું ખોલ્યું. એક સાદી, સરળ પરિસ્થિતિનો ખુલ્લા મગજથી વિચાર કરીને એક સીધો તર્ક આપ્યો, જે સાચો પડ્યો. 

જોકે, એવું જરૂરી પણ નથી કે એ તર્ક સાચો જ પડે હંમેશાં, પણ શું વસ્તુને જટિલ બનાવવાથી એનો ઉપાય જડશે? ના, તો પછી શા માટે નાની બાબતોને પણ આપણે જટિલ બનાવતાં રહીએ છીએ?

બીજી રસપ્રદ વાત એ લાગી કે ધર્મની વિરૂદ્ધ ફિલ્મ છે એમ કરીને તો લોકોએ પીકેને વખોડી જ, પણ સાથે ઓહ માય ગોડ સાથે સરખામણી કરી. પણ ફરીથી આ રોન્ગ નંબર જ થયો ને? આમીર બતાવી રહ્યો છે ચંદ્ર અને આપણે બધા ચર્ચા કરીએ છીએ એની આંગળીની... ભાઈ, વિરોધ કરવાને બદલે એમ વિચારોને કે આ બુદ્ધિશાળી ડિરેક્ટર્સ, રાઈટર્સ અને કલાકારોએ શા માટે ફરી ફરી એકના એક વિષય પર ફિલ્મ બનાવવી પડે છે? શું માન્યતામાં આપણે વાસ્તવિકતા ભૂલી ગયા છીએ? નાનપણની રમત યાદ છે? ટેલિફોન-ટેલિફોન? વર્ષો પહેલા શરૂ થયેલી આ રમતની મૂળ વાત આજે આપણી પાસે કંઈક અલગ જ રીતે નથી ફરી રહી? શું આ રમતનો અંત હવે આવવો નહીં જોઈએ?


જવાબ અધૂરો જ રહેશે, કારણ કે હજુય આપણે રોન્ગ નંબર જ ડાયલ કરી રહ્યા છીએ.