ભાગ-૨
વસુમાં-સુર્યકાંતનું ત્રીજું સંતાન અંજલિ-સુંદર અને મહત્વાકાંક્ષી.એ સંગીતની તાલીમ લઇ રહી હતી અને એ જ દુનિયામાં આગળ અનેક મુકામો હાંસલ કરવા માંગતી હતી.અંજલિ એના ગુરુની પણ પ્રિય શિષ્યા હતી.એ પણ અંજલિને સંગીતના માધ્યમ દ્વારા ખૂબ જ ઊંચા પદ પર જોવા માંગતા હતા. હસતી,
સ્વપ્નોને જીવવા માંગતી અને લયબદ્ધ એવી અંજલિની જિંદગી સાથે રાજેશને ક્યારે પ્રેમ થયો એ કોઈ સમજી શક્યું નહિ.રાજેશ પાક્કો વ્યાપારી હતો. હાથની દરેક આંગળીઓમાં હીરા ને સોનાની વીંટી, ગાળામાં સોનાની જાડી ચેઈન પહેરતા આ વ્યાપારીને અંજલિ એના જીવથીય વધારે વ્હાલી હતી.વૈભવી રાજેશના પરિવારને ઓળખતી અને ખાસ કરીને અઢળક સંપત્તિ વિષે જાણતી હતી એથી અભયને મહોરું બનાવી, અંજલિને લગ્ન માટે દબાણ કર્યું,વસુમા સારો પરિવાર, સંપત્તિ અને રાજેશના અંજલિ તરફના ઝુકાવને લીધે વૈભવીની વાતનો વિરોધ પણ ન કરી શક્યા.સમગ્ર કથામાં વસુમાની બુધ્ધિક્ષમતા અને વિચારશીલતા માટે હું એમને સમ્માનિત કરતી રહી.ઘણી વાતો મને ખુંચતી, પણ એમની એ માટેની ચોખવટ મને ફરી વિચારમાં મૂકી દેતી .પણ અંજલિ વિશેના આ નિર્ણયને હું કોઈ પણ રીતે સ્વીકારી શકી નહિ.આ જ કદાચ લગ્નમાં વધી રહેલા ભંગાણના પ્રમાણનું કારણ છે.લગ્ન એ ભલે બે પરિવારોનું મિલન હોય પરંતુ જે બે વ્યક્તિ દ્વારા એ જોડાણ થાય છે એ જ એકબીજાને સમજી કે જોડી ન શકે તો શું મતલબ કોઈ પણ સંબંધનો! હકીકતમાં હજી સુધીની પેઢીના વિચારો અને માંગણી હાલની પેઢી કરતા તદ્દન અલગ છે અને એટલે જ લગ્ન અને એવા મોટા નિર્ણયો માટે મા બાપ એમના સંતાનોને કાબેલ સમજે એ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ડાયવોર્સને એ પણ માનભરી નજર મળે એ એટલું જ જરૂરી છે.અહી અંજલિ સંગીતની સાથે એના સાથીમિત્રના પ્રેમમાં હતી.પરંતુ એ પોતાનું કરિયર બનાવ્યા વગર અંજલિ સાથે કોઈ પણ બંધનમાં બંધાવા માંગતો ન હતો.પ્રેમના પગથીયે ચઢેલી અને નકારો પામેલી અંજલિ ઘવાઈ હતી અને ઘરના લોકોની સમજાવટથી એણે રાજેશ સાથે લગ્ન કાર્ય અને આ જ જીવનની બીજી સૌથી મોટી ભૂલ ગણાવી શકાય. ખોટા કારણથી શરુ થયેલો કોઈ પણ સંબંધ ક્યાં તો હકીકત જાણ્યા પછી વધુ મજબૂત બને છે ક્યાં તો હમેશા માટે તૂટી જાય છે ને એટલે જ કહે છે ને એક અસત્ય નહિ હમેશા એક સત્ય જ સંબંધને તોડે છે. પણ અંજલિના સંબંધમાં રાજેશનો પ્રેમ, એનો અંજલિ માટેનો લગાવ જ એટલો હતો કે અંજલિનો ભૂતકાળ અચાનક એની સામે વર્ષો પછી આવ્યો અને અંજલિ પણ સમાધાનથી થયેલા આ લગ્નમાંથી બહાર નીકળી એના જુના
પ્રેમીનો હાથ થામવા જઈ જ રહી હતી કે એને આકસ્મિક રીતે આખરે રાજેશનો પ્રેમ સમજાયો અને પછી એ બંને વચ્ચે સાચા અર્થમાં લગ્ન સાર્થક થયા.અહી દરેક પત્રોની સહજતા અને સંજોગોની રમત , કરવા પડતા સમાધાન અને એને પાત્રોની નજરમાં લાવવાની ઢબ ખરેખર પ્રશંસનીય છે.
અલય,
જે હજી તો વસુમાના ગર્ભમાં આકાર લઇ રહ્યો હતો ત્યાં જ સૂર્યકાંત એમનો ઘરસંસાર છોડી ચુક્યા હતા.વસુમાના હૃદયની તડપ,વ્યથા અને અજંપો કદાચ બાકી સૌ સંતાન કરતા અલયે વધુ મહેસુસ કરી હતી અને એટલે જ એ સૂર્યકાંત-એના
પિતાને ભારોભાર નફરત પણ કરતો હતો.અલય સાથે છેલ્લા સાત વર્ષથી શ્રેયા, એની પાડોશી લાગણીતંતુથી બંધાય હતી.એ અને અલય એકબીજામાં ભળી ગયા હતા.અલય બચપણથી ફિલ્મ બનાવવાના સ્વપ્નો સેવી રહ્યો હતો અને એ અનુપમા જેવી સુંદર, ઉમદા અને બહોળા રૂપિયા એક ફિલ્મ માટે લેનાર અભિનેત્રીની વગ ઇન્ડસટ્રીમાં જાણતો હતો અને એટલે જ એકવાર કોઈ પણ રીતે એની સાથે કામ કરવાના સપના જોતો હતો.સૂર્યકાંતના મુંબઈ આગમનથી-આડકતરી રીતે-પણ જાણે બધાની જિંદગીમાં વળાંકો લઇ આવ્યા હતા.સુખદ કે દુખદ એ સંજોગો પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. સૂર્યકાંતની અમેરિકામાં કેન્સરપીડિત પત્ની-સ્મિતા*ના મૃત્યુ બાદ લક્ષ્મી અને રોહિત,પૈકી લક્ષ્મી અને અલયનો ખાસ મિત્ર નીરવની મિત્રતા વિકસી રહી હતી.નીરવ અલયનો મિત્ર અને હમદર્દ બેવ હતો.નીરવ અને અલય બંને માતા-પિતાનો પ્રેમ એકસાથે ન મેળવી શક્યા અને બનેની મનઃસ્થિતિ ક્યાંક ને ક્યાંક સમાન હતી.લક્ષ્મીને મળ્યા બાદ નીરવ જાણે વર્ષોથી કોઈનો સાથ મેળવવાની કલ્પના આબેહૂબ એની સામે હોય એમ એની સાથે વહેવા લાગ્યો. એક રાતે નીરવ, લક્ષ્મી, અલય અને શ્રેયા તાજ હોટેલ પાસે હળવી પળો માણી રહ્યા હતા ત્યાં જ પીધેલી હાલતમાં અલયે અનુમાને જોઈ.જાણે વર્ષોની તપસ્યા આજે પૂરી થઇ હોય એમ અલય એના તરફ ધસ્યો.પુરા હોંશ ખોઈ ચુકેલી અનુપમાને વસ્ત્રોનું પણ ભાન ન હતું.
*સ્મિતા વિષે અહી લખવું મને
વ્યાજબી નથી લાગતું પરંતુ સ્મિતનું સૂર્યકાન્તના જીવનમાં આવવું અને પત્ની બનવું એ
બધી જ વાતો ખૂબ સુંદર અને વ્યવહારિક રીતે રજૂ થઇ છે.
અને અંતે આખી કથાનું સૌથી જીવંત અને દમદાર પાત્ર અને એ છે વસુમા-વસુંધરા સૂર્યકાંત મહેતા. એક મજબૂત સ્ત્રીપાત્ર, જેનામાં અનુભવોએ સંયમ, સ્થિરતા અને ધૈર્ય જેવા ગુણોનો સંચય કર્યો છે. એમના વિષે કઈ પણ લખવા કરતા એમના વિચારોની ઝાંખી હું અહી આપવા લલચાવ છું.આજના લગ્ન- લવ મેરેજ હોય કે અરેન્જડ મેરેજ હું માત્ર એક નામ આપું છું કોમ્પ્રોમાઈઝડ મેરેજ. હા એ સમાધાન સુખદ હોય ત્યાં સુધી બધા જ સંબંધ જળવાય રહે છે પણ મોટે ભાગે એ દુખદ જ હોય છે.આમ થવાનું કારણ શું હોય શકે? કેમ આજે પતિ પત્ની માટે દંપતી કરતા યુગલ શબ્દ જ યોગ્ય લાગે છે? આ થવા પાછળ મને મુખ્ય કારણ સમાજનું જણાય છે.એકબીજા વચ્ચેની સમજ, વિશ્વાસ અને પછી પ્રેમની ઉણપ.સૂર્યકાંત વાસુમાને છોડી ગયા અને ૨૫ વર્ષ થાય છતાં વાસુમાનું વર્તન સૂર્યકાંત તરફનું એકદમ સંયિત હતું.એમના પ્રમાણે “પતિ ઇછાપુર્તીનું સાધન નથી કે નથી આપણી સાથે હાર-જીતની બાજી રમવા માટેનું કોઈ રમકડું,કમાવવા માટે, ઘર ચલાવવા માટે, સમજમાં સ્ટેટસ સાચવી રાખવા માટે પતિ નથી હોતો ” તેઓ આગળ કહે છે કે “પતિ સાથી છે. પતિ એક એવી જરૂરિયાત છે સ્ત્રીના જીવનની, જે એના અપૂર્ણ સ્ત્રીત્વને પૂરું કરે છે.સુખ-દુઃખમાં પકડી શકાય એવો એક હાથ અને એની આંખોમાં જોઇને સંતાપ શમી જાય એવો એક માણસ…… એટલે પતિ!!” સૂર્યકાંત પણ સંજોગોથી લાચાર હતા અને આટલા વર્ષો સુધી વસુમાની યાદોને સહારે જ જીવ્યા એમ કહું તો કશું ખોટું નથી.વસુમાના દરેક નિર્ણય કોઈ ત્રીજા વ્યક્તિની નજરમાં અસહ્ય અને ખોટા જ ઠરે પણ એ પાછળની એમની સમજ અને નાની કે મોટી વાતોનું સ્પષ્ટીકરણ અસાધારણ છે. ભગવત ગીતામાંથી આપણાં દરેક પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ મળી રહે છે પણ વ્યવહારિક જીવનના રોજિંદા કે પછી બદલાયેલા સમયના ગુંચવણભર્યા પ્રશ્નોના ઉત્તરો વસુમાની ધીરજ અને અનુભવો દ્વારા ખૂબ જ સચોટરૂપે દર્શાવ્યા છે.”પુરુષમાત્રને ટકવા માટે એક મજબૂત આધાર જોઈતો હોય છે અને એ આધાર સ્ત્રી આપતી હોય છે. અથવા આધાર વગરનો બેજવાબદાર બનાવી દેતી હોય છે”દર સવારે બગીચામાં કામ કરતા વસુમાના ભજનથી ગુંજતું "શ્રીજી વિલા"
આવા અને બીજા અનેક વિચારો રોજ મેળવતા. દરેક કિસ્સાઓના કેન્દ્રમાં વસુમા જ હોતા અને દરેક સમસ્યાઓનું નિરાકરણ એમના વિચારો થકી જ થતું. અંતમાં
“જસ્ટીસ ડીલેયડ ઇસ જસ્ટીસ ડીનાઈડ”નો બોધ આપતી આ કથાના દરેક આરોહ-અવરોહ અનેક બોધપાઠ આપે છે. ખરેખર વસુમા સાથે સંબંધ જોડવાની તક આપવા બદલ લેખિકાનો દિલથી અભાર વ્યક્ત કરું છું.(સમાપ્ત)
No comments:
Post a Comment