કેટલાય વખતથી મનમાં ઘૂંટાતા આ પાત્રો
આખરે પાના પર ઉતાર્યા છે.યોગ-વિયોગ-કાજલ ઓઝા વૈદ્યના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા
છે. ૩ ભાગમાં વહેચાયેલી આ સમગ્ર કથાના ઉતાર-ચઢાવ જિંદગીના અનેક પાઠો ખૂબ
સાહજીકતાથી શીખવી જાય છે.આથી આવી ઉત્તમ કથાના રીવ્યુને મેં પણ બે ભાગમાં વહેચ્યું
છે.અહી લખેલા તમામ વિચારો વાર્તાના આધારે, મારા અંગત અભિપ્રાય અને સમજ છે.મારા આ
પ્રયાસ થકી માત્ર વાર્તાના હાર્દને લોકો સમક્ષ મૂકું છું.
ભાગ-૧
યોગ-વિયોગ.જાણે આ બે શબ્દમાત્ર પર આખી વાર્તા સંબંધોના તાણાવાણા ગૂંથીને ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે.વાર્તાની શરૂઆત આધેડ વયના વસુંધરા સૂર્યકાંત મહેતા-વસુમાથી થાય છે અને સાચું કહું તો આ પાત્રની આસપાસ જ આખી વાર્તાના અંશો વણી લેવામાં આવ્યા છે,૨૫ વર્ષ સુધી
"ત્યાગતા" કહેવાતા વસુમા સમગ્ર દેશના છાપાઓમાં એમના પતિ એટલે કે સૂર્યકાંત મહેતાને ઘર પાછા વળે એ માટેની જાહેરાત, ઘરના એક પણ સભ્યની જાણ બહાર,આપે છે.વિનંતી કે આજીજી ન કહી શકાય એવી આ જાહેરાતમાં સૂર્યકાંતને પાછા વળવા માત્ર ૪૮ કલાકની મુદત આપવામાં આવી હોય છે.પરંતુ ૪૮ કલાકપછી પોહ્ચેલા સુર્યકાંતનું શ્રાદ્ધ અને ત્યારબાદ એમનું વસુમા જોડે થયેલું મિલન અને વસુમા પાસે શ્રાદ્ધ માટેનો ખુલાસો આ તમામ ઘટનામાં વાસુમાની સ્થિરતા,બુદ્ધિમતા અને નિર્ણયની સત્યાર્થતા ખરેખર કઈક નવી જ શીખ આપી જાય છે. પાત્રોની વાત કરીએ તો, વસુમા એ ૩ દીકરા ને ૧ દીકરીને બચપણથી, પિતાના છોડી ગયા બાદ ખૂબ જ સંસ્કાર અને આત્મસભર રહે એ રીતે ઉછેર્યા. મોટો અભય, ત્યારબાદ અજય તથા અંજલિ અને અલય કે જે હજી તો વસુમાના ગર્ભમાં આકાર લઇ રહ્યો હતો ને સૂર્યકાંત આ પરિવારને છોડી જતા રહ્યા.આ સમગ્ર કથા ૩ ભાગમાં વહેચાયેલી છે. જેથી દરેક યુગલની વ્યક્તિગત વાર્તા સાથે યોગ વિયોગને વર્ણવવાનું પસંદ કરીશ.
વાર્તાના અંત ભાગમાં એક અંશમાં પાત્રો દ્વારા થતી વાતચીતમાં આ સંબંધના પરિણામ વિષે આલેખન કર્યું છે.જેમાં વૈભવી આ ત્રિકોણીય સંબંધનો અંત ત્રણમાંથી એકના કુદરતી મૃત્યુને ગણાવે છે.જયારે આ ત્રણ પૈકી એક આ દુનિયામાંથી વિદાય લેશે ત્યારે કોઈ એક સંબંધ ફરીથી જીવશે.લેખિકાના આ દામ્પત્યના અંત સાથે હું સહમત નથી. માણસ જ પરિસ્થિતિ ઘડે છે અને માણસે જ એ પરિસ્થિતિને એક મુકામે લઇ જવી પડે. અહી આ ત્રિકોણીય સંબંધને પ્લાસ્ટરમાં બંધાયેલા હાથની ઉપમા આપી કહેવામાં આવ્યું છે કે સમયરૂપી પ્લાસ્ટરમાં સંબંધરૂપી હાથ એની જાતે જ સારો થશે જે મારા મંતવ્યથી અયોગ્ય છે.
હવે વાત કરીએ અજયને જાનકીની. અજય એક માત્ર સંતાન હતું જેણે આખી આખી રાત ઘરના ઓટલા પર સૂર્યકાંતની રાહ જોઈ, આંસુ વહાવી રહેલા વસુમાની સંગાથે હતો.એની ઉમર પણ એવી હતી કે એ “મા રડીશ નહિ, રડીશ નહિ મા” સિવાઈ બીજું કશું પણ કહી ન શકતો. પ્રમાણમાં નરમ અને વસુમાના સિદ્ધાંતોને પુરેપુરો જીવનમાં ઉતારનારો અભય, કદાચ આ ભ્રષ્ટ અને અનૈતિક દુનિયામાં એટલે જ સફળ ન થઇ શક્યો.વકીલાતનું ભણ્યો હોવા છતાં, એના સિદ્ધાંતો એને ખાસ કમાણી કરવામાં મદરૂપ નહિ થતા અને એટલે જ જાનકી પણ એક શાળામાં નોકરી કરતી એ વાત વારેવારે આ દંપતી વચ્ચે નિરાશાનું કારણ બનતી. અભય આ નિષ્ફળતા પોતાના પુરુષાર્થ સાથે જોડી ઘણીવાર એક્યની એ પળે અટકી જતો. જાનકી એ વસુમાની છબી હતી. એ આટલી નાજૂક મનઃસ્થિતિમાં અભયને ખૂબ જ કાળજીથી સંભાળતી. વૈભવી જાનકીના અનાથાશ્રમના
ઉછેરને લઈને ઘણીવાર એને ખરી ખોટી સંભળાવતી.અજય એક કેસ માટે અનાથાશ્રમમાં પહોચ્યો અને ત્યાં જ બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઇ અને ત્યારબાદ લગ્નમાં પરિણમી. પણ વૈભવી આ સુંદર સંબંધને ક્યારેય સમજી ન શકી અને જાનકીને ઉતારવા કે નીચે પાડવા કોઈ મોકો ન છોડતી. જાનકી વસુમા પાસેથી સંયમ, સ્થિરતા અને સહનશીલતા જેવા ઘણા ગુણો શીખી હતી અને એ જ આ ઘરમાં એને વૈભવી સિવાઈના તમામ સભ્યોની નજીક લઇ ગઈ હતી. અખબારની જાહેરાત પછી, વસુમાના ૪૮ કલાકની મુદત પૂરી થતા, શ્રાદ્ધથી લઈને સૂર્યકાન્તના પાછા વળવાની તમામ ઘટનામાં તુટતા, વિખેરાતા અજયને જાનકી એ ખૂબ જ શાંતિ અને કુશળતાથી સંભાળ્યો.પરંતુ સતત નિષ્ફળતાનો માર અને વૈભવીના કડવા બોલ એ વધુ સહન કરી શકે એમ ન હતો અને એટલે જ એ સૂર્યકાંત સાથે અમેરિકા જઈ ત્યાં જ આગળની જિંદગી જીવવાનો મહત્ત્વનો નિર્ણય, વસુમા સાથે વાત કર્યા વિના કરી શક્યો.આ આઘાત જાનકી માટે અકલ્પ્ય હતો પણ છતાં વસુમાની સમજ અને હિંમત જાનકીને અજય સાથે અમેરિકા લઇ ગઈ. વસુમાએ જાનકીને અમેરિકામાં ફરીથી જિંદગી શરુ કરી રહેલા અજયને પોતાનાથીય વધુ સાચવવા અંગે સૂચવ્યું હતું. માથી જોડાયેલા અજયને અમેરિકામાં એમનાથી આ અંતર અને “શ્રીજી વિલા” યાદ આવતા ફરીથી નિષ્ફળતાની લાગણી અનુભવા લાગી અને એ સમયે જાનકીએ ફરીથી વાસુમાની દુરંદેશીનો ખ્યાલ આવતા મનોમન પ્રશંશા કરી,અજયને ફરી અંધારામાં જતા ઉગાર્યો.
આ દંપતીની કથા સૌથી સામાન્ય, પણ સિદ્ધાંતોની હારથી મળતી નિષ્ફળતા અને એવા સમયમાં જીવનસાથીને ખરા અર્થમાં સાકાર કરતી સંગીનીને ખૂબ જ સચોટ રીતે રજૂ કરવામાં આવી છે. (ક્રમશ:)
આ દંપતીની કથા સૌથી સામાન્ય, પણ સિદ્ધાંતોની હારથી મળતી નિષ્ફળતા અને એવા સમયમાં જીવનસાથીને ખરા અર્થમાં સાકાર કરતી સંગીનીને ખૂબ જ સચોટ રીતે રજૂ કરવામાં આવી છે. (ક્રમશ:)
No comments:
Post a Comment