Tuesday, April 22, 2014

મહિલા મતદારોની ઉપેક્ષા કેમ?



હાલમાં થનારી સોળમી લોકસભાનીચૂંટણી ઘણા બધા કારણોસર યાદગાર રહે એમ છે. આ પૈકી એક મુદ્દો ભારતના મુસ્લિમોને ‘વોટ બેન્ક’ ગણી પોતાના પક્ષ તરફ આકર્ષવાનો રહ્યો છે. જે રીતે આપણા કહેવાતા ‘ધર્મનિરપેક્ષ’ રાજકારણીઓ મુસ્લિમોને રીઝવવા માટે એકબીજા સાથેસ્પર્ધામાં ઉતરી રહ્યા છે તે જોઈને પ્રશ્ન થાય કે દેશની સમગ્ર વસ્તીના ૪૯ ટકા જેટલીવસતી ધરાવતી મહિલાઓની આખરે શા માટે અવગણના થઈ રહી છે?એક બાજુ કોંગ્રેસી નેતાઓ ભાજપના પ્રધાનમંત્રી માટેના ઉમેદવારથી મુસ્લિમોને‘રક્ષણ’આપવાનીધરપત આપી રહ્યા છે તો બીજી બાજુ ભાજપ પણ મુસ્લિમોને મનાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. જ્યારે પરિવર્તનની હવા ચલાવનાર આમ આદમી પાર્ટીએ પણ સૌથી વધુ સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે પ્રત્યેક પક્ષે મુસ્લિમોને પોતાના ‘ટાર્ગેટ’ બનાવ્યા છે ત્યારે મહિલાઓના મુદ્દાઓ અને સમસ્યાઓને શા માટે ગૌણ ગણવામાં આવી રહ્યા છે?શા માટે મહિલાઓ આ ચૂંટણીના મુખ્ય પ્રવાહમાં સ્થાન નથી પામી શકી?

આ પ્રશ્નો તરફ જતાં પહેલા દરેક પક્ષોએ જાહેર કરેલાચૂંટણી ઢંઢેરા (મેનિફેસ્ટો) પર નજર કરીએ તો કોંગ્રેસે મહિલાઓના સુરક્ષાના મુદ્દાને મહત્ત્વ આપી દરેક પોલીસ સ્ટેશનમાં ૨૫ ટકા મહિલા સ્ટાફની ભરતી જેવા કેટલાક મુદ્દાઓને પોતાના મેનિફેસ્ટોમાં સમાવ્યા છે. પરંતુ કોંગ્રેસના જ વર્ષ ૨૦૦૯ના મેનિફેસ્ટોમાં કરાયેલા એક દાવા પ્રમાણે સોળમી લોકસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર માટે કોંગ્રેસેએક તૃતીયાંશ સીટ અનામત રાખવાની જોગવાઈ કરી હતી, પરંતુ ૯ એપ્રિલ સુધીના એસોસિએશન ફોર ડેમોક્રિટિક રીફોર્મ(એડીઆર)ના સરવે પ્રમાણે આ લોકસભાની ચૂંટણીમાં વિવિધ પક્ષો અને અપક્ષ મળીને કુલ ઉમેદવારો પૈકીમાત્ર ૭.૩ ટકાજ મહિલાઓછે! અહીં નોંધનીય મુદ્દો એ છે કે હત્યા, બળાત્કાર જેવા ગંભીર આરોપો માટે દોષિત હોવા છતાં ટિકિટ મેળવનાર ઉમેદવારોની સંખ્યા પણ મહિલાઓની કુલ ઉમેદવારી કરતાં વધુ એટલે કે ૧૦ ટકા જેટલી છે!આનો અર્થ એ થયો કે દર ૧૫૬ ઉમેદવારોમાંથી લગભગ ૧૦ જેટલા ઉમેદવારો પર ગુનાના ગંભીર આરોપો છે. 

આ સાથે જ ભાજપે પણ તેના ચૂંટણી માટેના ઢંઢેરામાં સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા સીટ અનામત રાખવાની વાત જાહેર કરી છે. ઉપરાંત, પુત્રીના જન્મ સમયે તેની સુરક્ષા અને બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને યોગ્ય ન્યાય મળે એ માટે પણ રાષ્ટ્રીય સ્તરે આંદોલનો ચલાવવાના વચનો તેમણે આપ્યા છે. પણ જો આ જ પક્ષોના અગાઉના મેનિફેસ્ટો ધ્યાનમાં લઈએ તો બંને પક્ષોએ મહિલા આરક્ષણ બિલને સંસદમાં પસાર કરાવવાનું વચન આપ્યું હતું, પરંતુ હજી સુધી આ બિલ વિશે કોઈ મજબૂત પગલા લેવામાં આવ્યા નથી.અહીં વિચારવાલાયક બાબત એ છે કે પક્ષોના મેનિફેસ્ટોમાં સમાવિષ્ટ મુદ્દાઓનો વિશ્વાસ કરી મત આપવાનો નિર્ણય કરવો કેટલા અંશે યોગ્ય છે? 

મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ભલે કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો ન હોય, પરંતુ આ રાજકીય રમતમાં મુખ્ય એવા ત્રણેય પક્ષોએ થોડા ઘણા અંશે મહિલાઓની તરફેણ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. પ્રત્યેકપક્ષે મહિલાઓના હકો અને વિકાસ માટેની વિવિધ યોજનાઓ ઘડવાના વાયદા કર્યા છે. આ સાથે જ ત્રણેય પક્ષોએ મહિલા આરક્ષણ બિલને સંસદમાં પસાર કરાવવા માટે પણ હામી ભરી છે, જેમાં મહિલાઓ માટે સંસદ તથા રાજ્યોની વિધાનસભામાં ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે કોર્ટની કાર્યવાહીને ઝડપી બનાવવાના મુદ્દાને પણ તેમાં સમાવવામાં આવ્યો છે.

જોકે પક્ષોની હજી સુધીની રૂપરેખા પરથી તથા લોકસભાના જૂના ઢંઢેરામાં સમાવિષ્ટ મુદ્દાઓનાજૂજ પ્રમાણમાં થયેલા અમલને આધારે આ વર્ષે કરવામાં આવેલા તમામ વાયદાઓના અમલ પર શંકા થાય એ સ્વાભાવિક છે.સુપ્રિમ કોર્ટના વકીલ કરૂણા નંદી આ વિશે જણાવે છે કે, “મહિલાઓના મુદ્દાઓ વિશે હંમેશાં દુર્લક્ષ સેવાયું છે. ભૂતકાળની ચૂંટણીના ઢંઢેરાઓમાં પણ મહિલાઓના હકોને લઈને ઘણા મુદ્દોઓને સમાવવામાં આવ્યા હતા અને આ વખતે પણ તેના વિશે ઘણા નિવેદનો અને વચનો આપવામાં આવ્યા છે, પરંતુ તેના અમલ માટેનું વલણ હજીય શંકાસ્પદ છે.” જોકે દિલ્હી ગેંગરેપ પછી ગુનાહિત કાયદાઓમાં સુધારા થયા હોવાનું નંદી સ્વીકારે છે અને ઉમેરે છે કે, “પરંતુ આટલો જ બદલાવ પૂરતો નથી. મહિલાઓની સુરક્ષા માટે હજી ઘણા પરિવર્તનોની આવશ્યકતા છે.” સરકાર તથા અન્ય રાજકીય પક્ષોના મહિલા પ્રત્યેના આ વલણથી ઉદભવેલા અસંતોષને કારણે સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલાના વિકાસ અર્થે સક્રિય કાર્યકર્તાઓ, પત્રકારો, અર્થશાસ્ત્રીઓ તથા વકીલો ‘વુમનિફેસ્ટો’ની હિમાયત કરી રહ્યા છે. 

વાસ્તવમાં વુમનિફેસ્ટોના પાયા વર્ષ ૨૦૧૨માં દિલ્હીમાં થયેલા સામુહિક બળાત્કારના વિરોધરૂપે નંખાયા હતા. એક મહિલા પર આચરવામાં આવેલી આ રીતની ક્રૂર હિંસાથી સમગ્ર દેશમાં મહિલાઓની આબરૂ અને સુરક્ષા માટે ઘણાઉગ્ર વિરોધી દેખાવો કરવામાં આવ્યા હતા.આવા જ એક વિરોધ પ્રદર્શન દરમિયાન સમગ્ર દેશના પુરુષો અને મહિલાઓએ રસ્તા પર ઉતરી રાજકારણીઓ અને સરકાર માટે ‘ઈનફ’(હવે બસ કરો!)ની ગૂંજ લગાવી હતી. આ વિરોધનાપગલે ‘આવાઝ’ નામની સંસ્થાએ સરકાર સામે મહિલાઓ માટે આવશ્યક કેટલાક મુદ્દાઓની માગ કરવાવુમનિફેસ્ટોની સમગ્ર રૂપરેખા તૈયાર કરી.કરૂણા નંદી વુમનિફેસ્ટો વિશે જણાવતાં કહે છે કે,“વુમનિફેસ્ટોમાં શિક્ષણ, કાયદો, પોલીસ તથા ન્યાયપ્રણાલી અને હિંસાનો ભોગ બનેલી મહિલાને સુરક્ષા જેવા મહત્ત્વના છ મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે, જેથી આ સમસ્યાઓમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકાય. લોકો હવે વધુ ધીરજ રાખી શકે એમ નથી. આથી દરેક પક્ષે વુમનિફેસ્ટો પ્રત્યે ગંભીરતા દાખવવી પડશે અને તો જ મતદાતાઓ તેમને મત આપવા યોગ્ય ગણશે.”

આપણા દેશમાં મહિલાઓ પર થયેલા ગુનાઓના ૨.૩૪ લાખ કેસો પૈકી એક લાખ જેટલા કેસો હિંસાને લગતા છે. આ સિવાય ૩૮,૦૦૦ કેસો અપહરણ, ૨૫,૦૦૦ કેસો બળાત્કાર તથા ૩૮,૦૦૦ કેસો ઘરેલું હિંસાને લગતા છે. આ સ્થિતિ જોઈ દેશમાં મહિલાઓની સુરક્ષા શા માટે જરૂરી છે એ સ્પષ્ટ થાય છે, પણ એ માટે જરૂરી કાયદા અને તેના ચુસ્ત અમલની આવશ્યકતા પણ કેટલી છે એનો અંદાજ લગાવી શકાય છે. હાલની સ્થિતિમાં વુમનિફેસ્ટો એકમાત્ર પ્રમાણ છે, જેના આધારે મહિલાઓની સુરક્ષાને લઈને જે તે પક્ષની ગંભીરતા ચકાસી શકાય. હજી સુધી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જ વુમનિફેસ્ટો માટે સંમતિ દર્શાવી છે. જ્યારે અન્ય પક્ષોએ વુમનિફેસ્ટોના મહિલા આરક્ષણ બિલ અને સુરક્ષાના અમુક મુદ્દાઓનું જ સમર્થન કર્યું છે. 

વુમનિફેસ્ટોમાં સમાવિષ્ટ છ મુદ્દા

આપણા દેશની કુલ વસતીના ૪૯ ટકા જેટલી વસતી મહિલાઓની છે અને તેના કારણે જ તાતા ગ્રુપના પ્રયાસ થકી ‘પાવર ઓફ ૪૯’ નામનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ‘જાગો રે’ જેવી જાહેરાતોથી મહિલાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, પરંતુ મહિલાઓ કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપી પોતાનો મત કેળવે અને યોગ્ય નેતાને મત આપે એ પ્રાથમિક મુદ્દો છે. આથી વુમનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવેલા મુદ્દાઓ અને જે તે પક્ષના તે અંગેના વલણને આધારે મહિલાઓ પોતાનો મત નક્કી કરી શકે છે. હાલના બ્રુકિંગ ઈન્ડિયાના એક સરવે પ્રમાણે ૧૯૬૦ના દાયકામાં દર હજાર પુરુષોએ મહિલા મતદાતાની સંખ્યા ૭૧૫ જેટલી હતી, જે ૨૦૦૦ના દાયકામાં વધીને ૮૮૩ જેટલી થઈ છે. મહિલાઓની જાગૃતતા વધી છે એ સાથે તેમના મતનું મૂલ્ય પણ વધ્યું છે. આથી તેઓ પોતાનો એક વ્યક્તિગત મત કેળવે તે જરૂરી છે. આ માટે સૌપ્રથમ વુમનિફેસ્ટોમાં સમાવિષ્ટ મુદ્દાઓ વિશે જાણવું જરૂરી છે:

સમાનતા માટે શિક્ષણ

જાતીય ભેદભાવ અને હિંસાત્મક વલણને દૂર કરવા લાંબા ગાળાના શિક્ષણ વિષયક પ્રોગ્રામને અમલમાં મૂકવો, જેના કારણે ગ્રામ્ય અને શહેરી એમ બંને વિસ્તારના સ્ત્રી, પુરુષો, યુવક અને યુવતીઓ સુધી સરળતાથી પહોંચી શકાય.

કાયદાઓનો અમલ 

મહિલાઓ સામે આચરવામાં આવતા હિંસાત્મક વલણને નાબૂદ કરવા એક વિસ્તૃત યોજના અમલમાં મૂકવી અને આ માટે જરૂરી ફંડ પણ ઊભું કરવું. ઉપરાંત દર દસ લાખની વસતીએ ૪૦ જેટલા ન્યાયાધીશોનીનિમણૂંક કરવી અને મહિલાઓ વિરુદ્ધ થયેલા હિંસાત્મક બનાવોના કેસોની કાર્યવાહી ઝડપથી થાય એ માટેનીપણ જોગવાઈઓ કરવામાં આવી છે.

મહિલાઓને સત્તાનો અધિકાર

લોકસભામાં મહિલા આરક્ષણ બિલને પસાર થવા દઈ રાજકીય રીતે મહિલાઓનું સશક્તિકરણ કરવું. 

પોલીસની ભરતીમાં ફેરફાર 

જાતિને આધારે પોલીસની ભરતી, કારકિર્દી દરમિયાન બઢતી અને પગારધોરણમાં સુધારો કરવામાં આવે તથા બળાત્કાર સંબંધિત ખાસ એક ટુકડીની રચના કરવામાં આવે, જેને કારણે કટોકટીના સમયે બચાવ આધારિત કાર્યો કરી શકાય.

નિશ્ચિત ન્યાયપ્રક્રિયા

મહિલાઓ તથા જાતીય લઘુમતીઓને (sexual minorities) થતાં ભેદભાવો અને તેમના પ્રત્યે સેવાતા હિંસાત્મક વલણને નાબૂદ કરવા માટે કાયદામાં જરૂરી સુધારા કરવા જોઈએ.

આર્થિક વિકાસ

મહિલાઓ માટે પ્રતિષ્ઠિત અને સુરક્ષિત રોજગારની તકો સુનિશ્ચિત કરવી અને સરખા કાર્યો માટે પગારધોરણ સમાન રાખવું.

No comments:

Post a Comment