Sunday, September 15, 2013

અફઘાનિસ્તાનમાં મોતને ભટેલી જાંબાઝ ભારતીય યુવતીની દિલધડક દાસ્તાન


વર્ષ ૧૯૯૧માં 'નોટ વિધાઉટ માય ડોટર' નામની એક ફિલ્મ રિલીઝ થાય છે અને પહેલા જ અઠવાડિયામાં એ ફિલ્મ પ્રત્યેક અમેરિકના હૃદયમાં વસી જાય છે. જો કે હોલિવૂડની ફિલ્મોમાં સાયન્સ ફિક્શન, સાયકોલોજીકલ થ્રીલર અને સુપરમેનોની અસંખ્ય શ્રેણી ઉપરાંત, માનવીઓની લાગણીઓને સહજતાથી કંડારતી ફિલ્મો આંગળીના વેઢે ગણી ન શકાય એટલી છે, પરંતુ આ ફિલ્મનો વિષય કંઇક ખાસ હતો. મૂળ ઈરાનના રહેવાસી પણ વર્ષોથી અમેરિકામાં સ્થિત એક પુરૂષ સાથે એક અમેરિકન સ્ત્રી લગ્નગ્રંથિમાં જોડાય છે. ત્યારબાદ તે પોતાના પતિ અને નાનકડી બાળકી સાથે બે અઠવાડિયાના ટૂંકા ગાળા માટે ઈરાન જાય છે અને ત્યાં તેને નજરકેદ કરવામાં આવે છે. પોતાના પતિ દ્વારા જ વિશ્વાસઘાત પામેલી અને નાની બાળકી સાથે આ સમગ્ર બંધનમાંથી મુક્ત થવા તે કેટલે હદ સુધીના પ્રયત્નો કરે છે, તેનું દિલધડક આલેખન એ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. 

આજે અચાનક આ ફિલ્મને યાદ કરવાનું કારણ આ કથા કરતા વધુ ચોંકાવનારુ છે. ભારતના કલકત્તા રાજ્યમાં જન્મેલી અને એક અફઘાન બિઝ્નેઝમેન જાનબાઝ ખાન સાથે પરણેલી સુષ્મિતા બેનરજીની અફઘાનિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વાસ્તવમાં વાત એમ છે કે સુષ્મિતા બેનરજી નાટ્યાત્મક રીતે અફઘાનિસ્તાનમાંથી ભાગી છૂટી હતી અને વર્ષ ૧૯૯૫માં તેમણે પોતાના આ અનુભવોની આખી કથા એક પુસ્તક ‘અ કાબુલીવાલાઝ બેંગાલી વાઈફ’સ્વરૂપે લોકો સમક્ષ મૂકી હતી, જે બેસ્ટ સેલર રહી હતી. કેટલાક લોકો હંમેશાં 'ખતરો કે ખિલાડી' ટેગને સાર્થક કરવા જીવનમાં અવનવા પ્રયોગો કરતા રહે છે અને સુષ્મિતા બેનરજી પણ તેમાંની એક હતી. મહામહેનતે અફઘાનિસ્તાનમાંથી ભાગી નીકળેલા સુષ્મિતા થોડા સમય પહેલા ફરી પોતાના પતિ સાથે રહેવા અફઘાનિસ્તાન પાછી ફરી હતી. અફઘાનિસ્તાનમાં સુષ્મિતા સયેદ કમલા તરીકે ઓળખાતી અને હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતી હતી. આ ઉપરાંત તે અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓની કફોડી હાલતને દુનિયા સમક્ષ લાવવા માટે પણ પ્રયત્નશીલ હતી. 

અફઘાનિસ્તાનની સ્થિતિ આપણા સૌથી અજાણ નથી. ત્યાં સ્ત્રીઓની પ્રાણી કરતા પણ ખરાબ હાલત હોય છે એ હકીકતથી પણ આપણે માહિતગાર છીએ અને હવે અફઘાનિસ્તાનનો વધુ એક લોહીથી રંગાયેલો બનાવ બહાર આવ્યો છે. અફઘાનિસ્તાનમાં પોતાના પતિ સાથે સ્થાયી થયેલી સુષ્મિતાના ઘરે તાલિબાન ઉગ્રવાદીઓ આવી પહોંચે છે અને તેના પતિ તથા પરિવારના અન્ય સભ્યોને બાંધી, સુષ્મિતાને ઘરની બહાર લઇ જવામાં આવે છે અને ત્યાં જ એની ગોળી મારી હત્યા કરી દેવાય છે. આ વાત કોઈ પાંચ દસ વર્ષ પહેલાના અફઘાનિસ્તાનમાં બનેલી હત્યાની નથી, આ કિસ્સો વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બર માસનો, ગત સપ્તાહનો જ છે!

સુષ્મિતાના જીવનની સફર અત્યંત કઠોર અને પરિશ્રમી રહી હતી, જે તેણે લખેલા પોતાના પુસ્તકમાંથી ખૂબ સારી રીતેપ્રતિબિંબિત થાય છે. આ ઉપરાંત તેમણે એક મેગેઝિનમાં પોતાના જીવનના એ દિવસોને યાદ કરી, કેટલીક અદભુત વાતો આલેખી હતી. વર્ષ ૧૯૮૯માં પહેલીવાર સુષ્મિતા અફઘાનિસ્તાન ગઈ ત્યારે એક હિંદુ માટે ત્યાંની મુસ્લિમ સ્ત્રીઓની જેમ જીવન ગુજારવું ખૂબ કઠિન હતું. એક સ્ત્રી તરીકે ત્યાં એકલવાયુ જીવન જીવવું પડતુ અને ઘરની બહાર ન જવું તથા પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરૂષ સાથે વાત ન કરવી જેવા અનેક પ્રતિબંધો તેના પર લાદવામાં આવતા. જ્યારે કોઈ સ્ત્રી પોતાના બચપણના સુંદર ‘મહેલ’ને છોડી, એક અજાણી દુનિયામાં પ્રવેશે છે ત્યારે તેનો પતિ જ સૌથી મોટો સહારો હોય છે. અહીં પણ સુષ્મિતા તેના પતિ સાથે અફઘાનિસ્તાન તો પહોંચી, પણ થોડા જ દિવસોમાં તેના પતિ જાનબાઝ ખાન બિઝનેસ અર્થે ફરી ભારત આવવાનું થયું અને સુષ્મિતાના જીવનની રેખા પલટાઈ ગઈ.વળી, બીજી બાજુ જાનબાઝ ફરી અફઘાનિસ્તાન આવી ન શકે એવી પરિસ્થિતિ સર્જાઈ. અલબત્ત, વર્ષ ૧૯૯૩ સુધી પરિસ્થિતિ હજી પણ સહન કરી શકાય એવી હતી, પરંતુ ત્યારબાદ તાલિબાન સત્તા પર આવતાપરિસ્થિતિ ખૂબ વણસી ગઈ. તાલિબાનોને સુષ્મિતાની ડિસ્પેન્સરી વિશે જાણ થતાં જ તેના ઘરે પહોંચી, તેમને ધમકાવવામાં આવી અને કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા. હંમેશાં બુરખામાં રહેવું, રેડિયો ન સાંભળવો, બજારમાંએકલા ન જવું તથા પોતાના પતિ વિના ઘરની બહાર પગ ન મુકવો જેવા અનેક બંધનો તેના પર લાદવામાં આવ્યા. વળી, દરેક સ્ત્રીએ પોતાના ડાબા હાથ પર તેમના પતિના નામનુંછૂંદણું ગોફાવવું ફરજિયાત હતું. તે પોતાના અફઘાનિસ્તાનના કપરા સમયને યાદ કરી, અનેક કિસ્સાઓ વાગોળતા એક ઘટનાનું વર્ણન કરે છેઃ એકવાર મૌલવી એક સ્ત્રીના કહેવાથી તેના બિછાને પડેલા પુત્રની સારવાર કરવા તેના ઘરે ગયા હતા. તાલિબાનોને જાણ થતાં જ, એ સ્ત્રી અને મૌલવી બંનેને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના પછી આખા ગામમાં આતંક ફેલાયો હતો. તાલિબાનો ગામમાં ગમે તે સમયે આવે અને ત્યારે તેમના ખાવા-પીવાથી લઈને બીજી અનેક સુવિધા ગામના લોકોએ કરવાની રહેતી. તાલિબાનો૫૦ની ટુકડીમાં આવતા. સુષ્મિતાએ પણ લગભગ ૫૦ જેટલા પ્રસંગે આ તાલિબાનો માટે જમવાનુ બનાવ્યું હતું. લગભગ દરેક વ્યક્તિના ઘરે હથિયાર રહેતા અને એ જ ત્યાંની ગંભીર સ્થિતિનું ચિત્ર તાદૃશ કરતુંહતું.

આ તમામ પરિસ્થિતિથી છૂટકારો મેળવવા વર્ષ ૧૯૯૪માં સુષ્મિતાએ અફઘાનિસ્તાનમાંથી ભાગવાનું નક્કી કર્યું. એકવીસમી સદીમાં જ્યારે આપણે ચંદ્ર પર રહેવા જવાના સ્વપ્નાઓ સેવતા હોઈએ છીએ ત્યારે અફઘાનિસ્તાનના લોકો આ જ ચંદ્રને જોઈને દિવસોનો અંદાજ લગાવતા હોય છે! કારણ કે ત્યાંના પછાત વિસ્તારોમાં કેલેન્ડરનો પણ ઉપયોગ કરવાની પરવાનગી ન હતી. અફઘાનિસ્તાનમાંથી ભાગી નીકળવા સુષ્મિતાએ તેના પડોશીઓનો સહારો લીધો. તેના પડોશીએ સુષ્મિતાના પતિ હોવાનો ડોળ કરી તેને પાકિસ્તાન સુધી પહોંચાડી, પરંતુ તેમની પાસે પાસપોર્ટ ન હોવાથી ઈસ્લામાબાદનું ઈન્ડિયન હાઈ કમિશન તેમને મદદરૂપ થઈ ન શક્યું. એ દરમિયાન જાનબાઝના પરિવારે સુષ્મિતાને સંપર્ક કર્યો અને તેમનેપાછાભારત મોકલવાની ખાતરી સાથે ફરી અફઘાનિસ્તાનમાં લઈ જવામાં આવ્યા, પરંતુ સુષ્મિતાને ભારત મોકલવાને બદલે એના પર વધુ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. તેમને ‘અનૈતિક સ્ત્રી’ ગણવામાં આવી. આ ઉપરાંત નજરકેદ કરી, તાલિબાનો થકી તેમને વધુ ધમકાવવામાં આવી. હવે સુષ્મિતા જાણતી હતી કે અફઘાનિસ્તાનમાંથી તેણે ભાગવું જ પડશે. ફરી હિંમત કરી તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો અને કાબૂલ નજીક પકડાઈ ગઈ. પંદર તાલિબાનોની ટીમે તેને પકડી અને તેમાંના કેટલાકે તેને મારી નાખવાનું પણ સૂચવ્યું. આમ છતાં, તે એક ભારતીય છે અને પોતાના દેશ પાછા ફરવાનો તેને હક છે એવું સુષ્મિતાએ તાલિબાનોને સમજાવ્યું. તાલિબાનોએ પણ તેની આખી રાત પૂછપરછ કરી. બીજા દિવસે તેને ભારતીય દૂતાવાસમાં મોકલવામાં આવી અને અંતે તે ભારત પહોંચી હતી. કલકત્તા પહોંચીને તે તેના પતિને મળી અને પોતાના પર વીતેલી આ યાતનાઓ વિશે તેણે લખવાનું નક્કી કર્યું હતું.

ભૂતકાળમાં આટલી યાતના વેઠી હોવા છતાં તે ફરી પાછી અફઘાનિસ્તાન જવા કેમ તૈયાર થઈતેવો પ્રશ્ન કદાચ થાયશા માટે તેણે આમ જીવનું જોખમ લીધું હશે? હા, કદાચ રેશનલી વિચારીએ તો આ પગલું ખોટું જ લાગે, પરંતુ ઘણીવાર વસ્તુને સાચી કે ખોટીના ત્રાજવામાં તોલવા કરતા માનવતાના દ્રષ્ટિકોણથી માપવી જોઈએ. શું ક્રૂરપણે કરવામાં આવેલી તેમની હત્યા વાજબી છે? શા માટે હજી પણ સ્ત્રીઓએ સમાજના અનેક બંધનોમાં જકડાઈને બેસી રહેવું પડે છે? આજની ઝડપથી થતી પ્રગતિમાં દુનિયાનો એક છેડો પ્રગતિ માટે હરણફાળ ભરી રહ્યો છે, જ્યારે બીજો એક છેડો હજી પણ રૂઢિચુસ્તતાના બંધનોમાં વધુને વધુ મજબૂતાઈથી ભીંસાતો જાય છે. એક સ્ત્રી, જેણે પોતાની પીડાદાયક કથા પુસ્તકના પાના પર ઉતારી અને સમગ્ર ભારતના લોકોએ પણ તેને સહર્ષ સ્વીકારી, તો હવે શા માટે તેમના મૃત્યુની, હત્યાની વ્યથા માત્ર એક સમાચારની બાબત બનીને રહી ગઈ છે? કયા વિશ્વમાં આપણે જીવી રહ્યા છે અને કઈ પ્રગતિને હોંશભેર ઊજવી રહ્યા છે? સવાલોથી ઘેરાયેલા રણપ્રદેશમાં જ્યારે મુસાફરી કરીએ ત્યારે ઝાંઝવાના જળની જેમ માત્ર જવાબો મળ્યાનો આભાસ થતો હોય છે, વાસ્તવમાં આ સવાલો માત્ર સવાલો જ બની રહે છે અને આવી ઘટનાઓ ૨૪ કલાક ચાલતી ન્યૂઝ ચેનલો માટે એક 'મેટર' બનીને જ રહી જતી હોય છે.

૧૦મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે. 

No comments:

Post a Comment