Wednesday, September 4, 2013

એ.આર.રહેમાનના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાથેનો એક્સક્લુસિવ ઈન્ટરવ્યુ


આજે, પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન છે, ત્યારે એક મ્યુઝિક ચેનલ પર કોક સ્ટુડિયો નામના કાર્યક્રમમાં ગુરુ-શિષ્યની એક નવી જ જુગલબંધી યોજવામાં આવી હતી. આ ગુરુ એટલે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન, જેમને એમ તો કોઈ પરિચયની આવશ્કતા નથી, આમ છતાં એક ગુરુ તરીકે ઓળખ આપીએ તો એ.આર.રહેમાન, હરિહરન, સોનુ નિગમ અને શિલ્પા રાવ જેવા અનેક ઉત્તમ સંગીતકારો એમના શિષ્યો રહી ચુક્યા છે.આ કાર્યક્રમમાં એ.આર.રહેમાન અને ઉસ્તાદ ગુલામ મુસ્તફાના અન્ય ચાર પુત્રો તથા એક પૌત્રએ એક અદભુત સંગીતમય સંધ્યાનું સર્જન કર્યું હતું.અલ્લાહની દુઆ છે કે મારા દરેક શિષ્યો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. આ શબ્દો રામપુર-સહસ્વાન-ગ્વાલિયર જેવા પ્રતિષ્ઠિત ઘરાનામાં જન્મેલા અને ૮૨ વર્ષની વયે પણ સંગીતની ઉત્તમ આરાધના કરનાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના છે. સંગીત પ્રત્યેના અદ્ધિતીય લગાવ અને યોગદાન બદલ તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવી સર્વશ્રેષ્ઠ પદવીઓથી નવાજવામાં આવ્યા છે. જુનિયર તાનસેનનું બિરુદ મેળવનાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાને માત્ર આપણા દેશમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણી નામના મેળવી છે. તેમણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ પોતાનું અદભુત પ્રદાન આપ્યું છે. આવા ઉત્તમ સંગીતકાર સાથે ઈ-મેઈલથી થયેલી કેટલીક વાતચીતના અંશો અહીં રજૂ કર્યા છે:

ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિશિયન તરીકેઅત્યાર સુધીની તમારી સફર કેવી રહી?
જે વ્યક્તિએ એની જિંદગીના પહેલા શ્વાસથી લઈને હજી સુધી માત્રસંગીતથી શ્વાસ લીધો હોય, તે વ્યક્તિની સ્વાભાવિક રીતે જ એક સંગીતકાર તરીકેની આખી સફર ખૂબ રસપ્રદ, સુંદર અને એજ્યુકેશનલ રહી છે એમ નિઃશંકપણે કહીશકો. હું માનું છું કે સંગીત એ હંમેશાં આત્માનો ખોરાક છે. વળી, પ્રસિદ્ધ રામપુર-સહસ્વાન-ગ્વાલિયર ઘરાનાના એક શાસ્ત્રીય મ્યુઝિશિયન તરીકે મ્યુઝિકલ પરફોર્મન્સ અને તેની તાલીમ આપવી એને હું મારી હંમેશાં મારી એક ફરજ સમજુ છું. 
    
સંગીતની સાધનામાં ઊંડે સુધી જવા માટે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેટલું લાભદાયી હતું?
મહાન સંગીતકારોથી સમૃદ્ધ એવા સાંસ્કૃતિક પરિવાર માટે કોઈને પણ ગર્વ થઇ આવે. સ્વાભાવિક રીતે જ  સર્વશ્રેષ્ઠ સંગીતકારો કે જેમને હું નાનપણથી સાંભળું છું અને જેમની પાસેથી જ મેં સંગીતની તાલીમ લીધી છે, તેમણે મને સંગીત ક્ષેત્રે આગળ વધવા ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મારે ઘરની બહાર સંગીતની તાલીમ લેવા કશે પણ જવું પડ્યું નથી. મારા ઘરે જ સંગીતનો એક અગાધ દરિયો ભર્યો પડ્યો હતો.

તમે સંગીતને કઈ રીતે વ્યાખ્યાયિત કરો?
મારા માટે સંગીત એ આરાધના છે. પ્રત્યેક વ્યક્તિ સંગીતને આધ્યાત્મિક ગણે છે અને હું પણ તેમાં સંમત છું, પરંતુ હું માનવ શરીરને હંમેશાં ગાત્ર વીણા તરીકે કલ્પું છું. જો ઈન્સ્ટ્રુમેન્ટ આધ્યાત્મિક હોય તો તેમાંથી નીકળતો ધ્વનિ સ્વાભાવિક રીતે આધ્યાત્મિક જ હોય છે.

તમે સંગીતને જીવન સાથે કઈ રીતે સાંકળો છો?
હું માનવ શરીરને સ્વર તથા આત્માને લય સાથે સાંકળું છું.

આટલી મોટી ઉંમરે પણ સંગીત કઈ રીતે તમને જીવંત રાખે છે?
હું માનું છું કે સંગીત એ મેડિટેશન માટેનું ઉત્તમ માધ્યમ છે. શુદ્ધતાથી ગવાયેલું સંગીત જો શ્રોતાઓને આનંદ અને શાંતિ આપી શકે તો સંગીતકારોને પણ તે એટલી જ શાતા આપે છે. મારા માટે સંગીત વિના જીવનની કલ્પના અશક્ય છે. સંગીત જ જીવન છે અને જીવન જ સંગીત છે.

સંગીતની અદભુત સફરની શરૂઆત કરવા સામાન્ય માણસે શું કરવું જોઈએ?
અલ્લાહની ઈચ્છાથી જીવનની શરૂઆત થાય છે. એક સંગીતકારની રચના પણ તેની જ ઇચ્છાથી થાય છે. એક બહુ જૂની કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ અને હું પણ એ જ પ્રમાણે દિવસના ૧૪થી ૧૬ કલાકો સુધી સતત રિયાઝ કરતો હતો. માણસે હંમેશાં અલ્લાહના શરણે થઇ જવું જોઈએ. તમારો અલ્લાહ તમારી સામે જ બેઠો હોય અને તમને સંગીત માટેના આશિષ આપતો હોય એ પ્રમાણે પ્રેક્ટિસ કરવી જોઈએ.

આજની બોલિવૂડ ફિલ્મોના સંગીત વિશે તમે શું માનો છો?
સંગીત એ સંગીત છે અને સંગીત એ એક યુનિવર્સલ ભાષા છે. હું સંગીતનો એક શ્રેષ્ઠ વિદ્યાર્થી છું. હું હંમેશાં કોઈ પણ સંગીતને સાંભળ્યા પછી તેમાં રહેલી સારપને વધુ પ્રાધાન્ય આપુ છું.

શાસ્ત્રીય સંગીતને યુવાનોમાં કઈ રીતે વધુ પ્રચલિત બનાવી શકાય?
આમારા પૂર્વજો દરબારી સંગીતકારો હતા તથા તેઓ રાજાઓ અને નવાબોના ગુરુ હતા. તેમને રાજાઓ તથા નવાબો તરફથી હંમેશાં ઉત્તેજન મળતું. જ્યારે આજે શાસ્ત્રીય સંગીતને યુવાનોમાં પ્રચલિત કરવા માટે આપણી સરકારે પહેલ કરવી જોઈએ. ૨૪ કલાક પ્રસારિત થતી ઇન્ડિયન મ્યુઝિક ચેનલની શરૂઆત કરવી જોઈએ. વળી, શાળાકીય અભ્યાસક્રમમાં પણ સંગીતનો સમાવેશ કરવો જોઈએ.

જીવનના અલગ અલગ તબક્કામાં સંગીત કઈ રીતે મહત્ત્વનું છે?
સંગીત માનસિક શાંતિ આપે છે. તે મન પર ચિંતનાત્મક અસર છોડી જાય છે. સવારના શાંત વાતાવરણમાં તાનપુરાનો નાદ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. સંગીતનો ઉપયોગ મેડિકલ થેરાપી તરીકે કરવામાં આવી રહ્યો છે અને એ પ્રયોગ વાસ્તવમાં સફળ પણ નીવડ્યો છે.

તમે તમારી સફળતાને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો?
હું આજની તારીખમાં પણ રોજ કંઇકને કંઇક નવું શીખતો રહું છું અને હું માનું છું કે મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.

તમારી શ્રેષ્ઠ ગુરુદક્ષિણા શું હોઈ શકે?
અમારા પૂર્વર્જોએ ઘણા શિષ્યોને પોતાના ઘરે રાખી, સંગીત વિદ્યા આપી છે. પહેલાના સમયમાં ગુરુઓ શિષ્યોને તેમના ઘરે પોતાના બાળકોની જેમ જ રાખતા અને તેમના જરૂરિયાતની મૂળભૂત વસ્તુઓ જેવી કે ખોરાક, કપડાં, આશ્રય અને આ બધાથી ઉત્તમ, સંગીત વિદ્યા પૂરી પાડતાહતા. હું વર્ષ ૧૯૬૨થી મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં રહું છું અને મુંબઈ જ મારી કર્મભૂમિ છે. હું ઉત્તમ શિષ્યોને સંગીતની તાલીમ આપવા ઈચ્છું અને એ માટે મહારાષ્ટ્ર સરકાર પાસે એક જમીનની માગણી પણ કરી છે. એ જમીન પર હું માત્ર મુંબઈ કે મહારાષ્ટ્રના નહીં, વિશ્વભરના તમામ સંગીત ઈચ્છુક વ્યક્તિઓને આ વિદ્યા આપવા માગુ છું.

કોઈ પણ વિદ્યાર્થીને તાલીમ આપતા પહેલા તમે એનામાં કયો ગુણ જુઓ છો?
મારા દરેક શિષ્યને તાલીમ આપતા પહેલા હું તેના સંગીત પ્રત્યેના આત્મસમર્પણનું બારીકાઈથી અવલોકન કરું છું.

આજના યુવામિત્રોને શું સંદેશો આપવા માગો છો?
યુવાનો માટે માત્ર એક જ સંદેશો હું આપવા માગુ છું, હંમેશાં તમારા માતા-પિતાને, વડીલોને, ગુરુને તથા આપણા દેશને પ્રેમ અને આદર આપો.

તમારો પ્રિય રાગ કયો છે? શા માટે?
હું સંગીતને ખૂબ પૂજું છું, આમ છતાં આપણા રાગો સમય અને ઋતુને આધારિત હોવાથી મારા રાગોની પસંદગી બદલાતી રહે છે.

સંગીતમાં રિયાઝનું શું મહત્ત્વ છે?
રિયાઝ સંગીતમાં અત્યંત આવશ્યક છે. રિયાઝ્થી પરફોર્મન્સ સરળ અને ઉત્તમ બને છે.

કોક સ્ટુડિયોમાં તમારા શિષ્ય એ.આર.રહેમાન સાથેનો અનુભવ કેવો રહ્યો?
મેં અને રહેમાને પહેલી વખત જ કોક સ્ટુડિયોનો અનુભવ લીધો. એ આખો અનુભવ ખૂબ સુંદર હતો. એ ઉત્તમ સમય હતો કારણ કે મેં ત્રણ જનરેશનના કોન્સેપ્ટની મદદથી મારા પાંચ પુત્ર જેમાં મારો શિષ્ય રહેમાન, મુરતુઝા મુસ્તફા, કાદિર મુસ્તફા, રબ્બાની મુસ્તફા, હસન મુસ્તફા અને આ ઉપરાંત મારા તેર વર્ષના ખૂબ હોશિયાર પૌત્ર ફૈઝ મુસ્તફાની સાથે શ્રેષ્ઠ સંગીત આપવાનો પ્રયાસ અમે કર્યો હતો.

એ.આર.રહેમાન જેવા તમારા શિષ્યને જ્યારે સમગ્ર વિશ્વમાં આટલી નામના મળે છે ત્યારે તમને કેવી લાગણી થાય છે?
અન્ય કોઈ પણ ગુરુ કે પિતાની જેમ જ મને રહેમાન માટે ખૂબ જ ગર્વની લાગણી થાય છે. સમગ્ર વિશ્વમાંથી એને જે રીતનો સ્નેહ અને હૂંફાળો પ્રતિસાદ મળી રહ્યો છે એના માટે હું ખૂબ ખુશ છું. રહેમાન આ તમામ સિદ્ધિને લાયક છે. એ ખૂબ જ ટેલેન્ટેડ અને ઉમદા સંગીતકાર છે.

તમારા મત અનુસાર ગુરુની શું ફરજ હોય છે?
ગુરુએ શિષ્યોને સંપૂર્ણ પ્રતિબદ્ધતાના પાઠ ભણાવવા જોઈએ. શિષ્યો જીવનમાં સાચા રસ્તે ચાલે એ માટે તેમના માર્ગદર્શક બનવું જોઈએ.

અંતે, તમારી હજી કોઈ એક ખ્વાહિશ છે જે પૂરી થવાની બાકી હોય?

મ્યુઝિક! કોઈ પણ વ્યક્તિ સંગીતને સંપૂર્ણ પામી શકતું નથી. સંગીત એ એક વિશાળ દરિયો છે, જેટલા ઊંડા તમે જાઓ એટલું જ અંતર ફરી કાપવાનું બાકી રહે.

૩ સપ્ટેમ્બર , ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment