Tuesday, September 17, 2013

કલામને પાયલોટ બનવું હતું, પણ...


                                                     
       
ડો.એ.પી.જે. અબ્દુલ કલામના નામથી લગભગ દરેક યુવાન પરિચિત હશે. હકીકતમાં તેઓ એકમાત્ર 'યુવા' છે, જેને આજના યુવાનો પોતાના આદર્શ માનીને યુવાપેઢીનાપંથદર્શકનું બિરુદ રાજીખુશીથી આપે છે. અબ્દુલ કલામના બોલાયેલા શબ્દો કદાચ યુવાપેઢી માટે હંમેશાંથી ખૂબ જ માનવંતા અને આવકારદાયી રહ્યા છે. માત્ર યુવાનો જ નહીં, હવે તો શાળમાં ભણતા ટાબરિયાઓથી લઈને આજે દેશની આવી કપરી સ્થિતિ વિશે મહત્ત્વની ચિંતા વિચારણા કરનારા ચિંતકો પાસે પણ અબ્દુલ કલામને પૂછવા અનેક સવાલો હોય છે. રામેશ્વરમના એક સામાન્ય પરિવારમાં જન્મ લઈ, દેશના રાષ્ટ્રપતિ, ઉપરાંત વિજ્ઞાન ક્ષેત્રે અદ્વિતીય સફળતાઓ મેળવનાર અબ્દુલ કલામના અત્યાર સુધીમાં અનેક પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. વર્ષ ૧૯૯૯માં તેમણે વિંગ્સ ઓફ ફાયર( ગુજરાતીમાં 'અગનપંખ')નામની પોતાની ઓટોબાયોગ્રાફી લખી, જે અનેક યુવાનો માટે માર્ગદર્શક નીવડી. એક લાખ જેટલા વિદ્યાર્થીઓને મળવાના હેતુથી સાયન્ટિફિક એડવાઈઝર જેવા મહત્ત્વના પદ પરથી રાજીનામુ આપનાર અબ્દુલ કલામ ફરી એકવાર પોતાની જિંદગીના અવનવા કિસ્સાઓને વધુ ઊંડાણપૂર્વક રજૂ કરી રહ્યા છે. આ માટે તેમણે હાલમાં જ પોતાની બીજી આત્મકથા 'માય જર્નીઃ ટ્રાન્સફોર્મિંગ ડ્રીમ્સ ઈન્ટુ એક્શન' પુસ્તક સ્વરૂપે લોકો સમક્ષ ખુલ્લી મૂકી છે.

અગનપંખમાં વાગોળાયેલા એમના બચપણના સંસ્મરણો અને સ્વપ્નાઓમાં શ્વાસ પૂરનાર શિક્ષકો વિશે આ પુસ્તકમાં વધુ ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જીવનના મહત્ત્વના તબક્કે તેમને મળેલી નિષ્ફળતાને પણ ખૂબ જ પ્રામાણિકપણે આલેખી છે. જીવનમાં દરેક વ્યક્તિએ એકવાર તો કદી પૂરી ન થાય એવી અંધારી ગુફાનો સામનો કરવો જ પડતો હોય છે, પરંતુ આશાના એક કિરણ સાથેકઈ રીતે એ અંધારી ગુફામાંથીબહાર નીકળવું એ આ પુસ્તકમાં ખૂબ જ આકર્ષક રીતે વર્ણવાયું છે. અબ્દુલ કલામના અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તક પણ યુવાપેઢીને જીવનમાં આગળ વધવા માટે અનેકગણી પ્રેરણા આપે છે. અલબત્ત, આ પુસ્તકમાં વર્ણવાયેલી વાતો વધુ સ્પષ્ટ, રસપ્રદ, વર્ણનાત્મક અને ગહન વિચાર માગી લે તેવી છે. સમગ્ર જીવનમાં અનુભવેલા કિસ્સાઓમાંથી તેમણે કાઢેલા નિચોડને આ પુસ્તકમાં અલગ અલગ પ્રકરણોમાં સમાવવામાં આવ્યા છે. ૧૪૭ પાના ધરાવતા આ પુસ્તકમાં ડો. કલામે બોટ બનાવતા એમના પિતાને નિહાળતા થયેલા અનુભવો, આઠ વર્ષની ઉંમરે ન્યુઝ પેપર વેચવાની સાથે એક વર્ષ કરેલી આકરી મહેનત અને એ સાથે જ ધર્મને લગતા થયેલા અનુભવોની ખૂબ બારીકાઈથી વાતો કરી છે.

આ પુસ્તકના 'વેન આઈ ફેઈલ્ડ' પ્રકરણમાં તે પોતાને મળેલી નિષ્ફળતાઓમાંથી કઈ રીતે બહાર આવ્યા તેનું ખૂબ જ જીવંત વર્ણન કર્યું છે: "મારા ઉતાર ચઢાવથી ભરેલા જીવનમાં મેં ઘણી સફળતાઓનો સ્વાદ ચાખ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણા દેશને આગળ કરવામાં અને તેના વિકાસમાં હું સહભાગી બન્યો છું. દેશના મહત્ત્વના હોદ્દા પર બેસવાની મને તક મળી છે. મેં ઘણી સિદ્ધિઓ મારી પોતાની કાર્યક્ષમતાથી હાંસલ કરી છે, તો કેટલીક મારા બુદ્ધિશાળી સાથીમિત્રોની મદદથી! આમ છતાં, હું માનું છું કે જેમણે જીવનમાં નિષ્ફળતાનો કડવો ઘૂંટ પીધો નહીં હોય, તેઓ સફળ થવા માટેની જ્વલંત મનોકામના સેવી શકતા નથી. મેં જીવનમાં સિક્કાની બંને બાજુ જોઈ છે અને નિષ્ફળતાના કપરા સમયમાં મેં જિંદગીના ઘણા મહત્ત્વના પાઠો પણ શીખ્યા છે."

મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમ.આઈ.ટી)માં તેમના પ્રોફેસર શ્રીનિવાસન સાથેનો કિસ્સો આપણે સૌ જાણીએ છીએ. ટૂંકમાં વર્ણવીએ તો કલામને પ્રોત્સાહન આપવાના હેતુથી એમના શિક્ષકશ્રીનિવાસને કલામે બનાવેલી એર ક્રાફ્ટના ડિઝાઈનની આકરા શબ્દોમાં ટીકા કરી, તેમને એક નિશ્ચિત સમયગાળામાં એ ડિઝાઈન ફરી બનાવવાનું અશક્ય કાર્ય સોપ્યું. શિક્ષકે કહેલા નિરાશાજનક શબ્દોથી આઘાત પામેલા કલામે એ અશક્ય કાર્યને ખૂબ જ બખૂબીથી પાર પાડ્યું. પોતાના શિક્ષક તરફથી મળેલા નિરાશાજનક અભિપ્રાયોને ખંતપૂર્વક વળગેલા રહી કઈ રીતે તેમણે એ નિષ્ફળતાને સફળતામાં બદલી એનું ખૂબ જ રસપ્રદ વર્ણન આ પુસ્તકમાં કરાયું છે. વળી, આ સમગ્ર ઘટનામાંથી તેમણે કાઢેલા નિષ્કર્ષ વિશે વાત કરીએ તો કલામ અનુસાર, "એ દિવસે હું બે પાઠ શીખ્યો. એક, જે શિક્ષકોના મનમાં પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિ માટેના વિચારો હોય તેઓ તેમના સૌથી ઉત્તમ મિત્ર બની રહે છે અને બીજો પાઠ એ કે કાર્ય પૂરું કરવાની અશક્ય સમયમર્યાદા જેવું કશું પણ હોતું જ નથી."

એમ.આઈ.ટી.માંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે બચપણથી પાયલોટ બનવાના સેવેલા સ્વપ્નને અંતિમ ઓપ આપવાના કિસ્સાનું વર્ણન કર્યું છે. દેહરાદૂનમાં એર ફોર્સ સિલેકશન બોર્ડમાં ઇન્ટરવ્યુ આપી, એરફોર્સમાં જોડાવાના સ્વપ્ન વિશે જણાવતા તેઓ કહે છે કે,"તમિલનાડુથી દહેરાદૂન સુધીની મારી સફર ખૂબ લાંબી હતી. હું પહેલા દિલ્હીમાં રોકાયો અને ત્યાં ડાઈરેક્ટોરેટ ઓફ ટેકનિકલ ડેવલોપમેન્ટ એન્ડ પ્રોડક્શનમાં ઈન્ટરવ્યુ આપ્યો. મારામાં પૂરતો આત્મવિશ્વાસ હતો અને ઈન્ટરવ્યુ પણ સરળ હતો. મારે મારા જ્ઞાન માટેની સીમાઓને વધુ ઊંડાઈએ લઈ જવાની જરૂર ન પડી હતી. એક અઠવાડિયા માટે દિલ્હીમાં રોકાઈને હું દહેરાદૂન ગયો અને ત્યાં એર ફોર્સ સિલેકશન બોર્ડમાં ઈન્ટરવ્યુ આપ્યો. ઈન્ટરવ્યુ આપીને આવ્યા બાદ મને ખ્યાલ આવ્યો કે ડિગ્રી અને એન્જિનિયરિંગના જ્ઞાનની સાથે એર ફોર્સમાં તેઓ એક ખાસ પ્રકારની 'સ્માર્ટનેસ' પણ ઝંખતા હોય છે. મેં મારો સર્વશ્રેષ્ઠ દેખાવ આપ્યો હતો. હું ખૂબ લાંબા સમય અને અંતરમનથી આ નોકરી કરવા ઈચ્છતો હતો. અલબત્ત, હું થોડો આતુર, કોન્ફિડન્ટ અને ચિંતાતુર પણ હતો. આખરે પરિણામ જાહેર થયું અને હું ૨૫ જણની બેચમાં ૯મા સ્થાને આવ્યો હતો, જ્યારે માત્ર આઠ વ્યક્તિઓ માટે જ જગ્યા ઉપલબ્ધ હતી. એર ફોર્સ પાયલોટ બનવાના મારા સ્વપ્નમાં હું નિષ્ફળ નીવડ્યો હતો." વર્ષોથી સેવેલા સપનાને આમ તૂટતા જોઈ તેઓ ખૂબ જ ભાંગી ગયા હતા અને તેથી જ તેમણે ઋષિકેશ જવાનો નિશ્ચય કર્યો. ઋષિકેશ જઈ તેમણે અનુભવેલી નવી તાજગી અને પોતાની નિષ્ફળતાને કઈ રીતે સફળતામાં રૂપાંતર કરી દેશ અને દુનિયામાં ખ્યાતિ મેળવી એનું વર્ણન વાંચવા તો આ પુસ્તક અચૂકપણે વાંચવું જ જોઈએ.
 
પુસ્તકના સારાંશ રૂપે કલામ કહે છે કે "એક બાળક પર પ્રેમની વર્ષા કરવામાં આવી, સ્ટ્રગલ, વધુ સ્ટ્રગલ, કડવા આંસુઓ, પછી મીઠા આંસુઓ અને અંતે પૂર્ણ ચંદ્રની જેમ જીવનને પણ સુંદર અને સાર્થક થતા જોવાનો આનંદ! હું આશા રાખું કે આ કિસ્સાઓ મારા વાચકોને તેમના સ્વપ્નાઓને સમજવા અને આ સ્વપ્નોને સાર્થક કરવા હંમેશાં જાગ્રત રાખી શકે."

હંમેશાં જીવનમાં સપનાઓને મહત્ત્વ આપનાર ડો.એ.પી.જે. અબ્દુલ કલામે આ પુસ્તકમાં પણ સ્વપ્નોને જ મહત્ત્વ આપ્યું છે. જીવનમાં સપનાઓને જોવાથી માંડીને કઈ રીતે સાર્થક કરવા એને પોતાના જ અંગત અનુભવો સાથે સાંકળી, તેમણે એક અદભુત સફરનું વર્ણન કર્યું છે. આજના યુવાનોમાં કરિયરને લગતી જે ગૂંચવણ હોય છે, તેને ઉકેલવા તથા જીવનમાં ધ્યેય બનાવવા પણ આ પુસ્તક એક પ્રેરણા પુરવાર થઈ શકે છે. 

ડો.કલામનાપ્રિય પુસ્તકો: 


  • લાઈટ ફ્રોમ મેની લેમ્પ્સ: આ પુસ્તકમાં ઘણા લેખકોની પ્રેરણાત્મક કથાઓ આલેખાયેલી છે.  
  • થિરૂક્કુરલ: ૨૦૦૦ વર્ષ પહેલા થિરૂવલ્લુવરે લખેલા આ પુસ્તકમાં ૧,૩૩૦ જેટલી રિધમિક                     કાવ્યકણિકાનો સમાવેશ થાય છે.
  • એલેક્સિસ કેરેલનું  ‘મેન ધ અનનોન: આ પુસ્તકમાં માનવશરીરના બંધારણને ખૂબ જ                       બૃદ્ધિમત્તાથી વર્ણવવામાં આવ્યુ છે.  
  • ગીતા 
  • કુરાન 


    17મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.



No comments:

Post a Comment