Monday, July 22, 2013

...જ્યારે બિરજુ મહારાજ કુલીને ભેટી પડ્યાં!





"દરેક કથક નૃત્યમાં એક વાર્તા રહેલી છે અને આ નૃત્યની શૈલી એ મારી જીવનગાથા છે. ઘૂંઘરુંની લયબદ્ધતા એ મારા હૃદયનો ધબકાર છે અને નૃત્યમાં અભિનય તથા મુદ્રાઓ થકી હલનચલન એ મારો શ્વાસ છે." એક ઇન્ટરવ્યુમાં જ્યારે પત્રકારે એક નૃત્યકાર તરીકે પોતાને વ્યાખ્યાયિત કરવા જણાવ્યું ત્યારે બિરજુ મહારાજે એક અનોખી શૈલીમાં આ પ્રકારનો ઉત્તર આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પંડિત બિરજુ મહારાજ ઈશ્વરી પ્રસાદજીના સીધા વંશજ છે. ઈશ્વરી પ્રસાદજી એ સૌપ્રથમ જાણીતા થયેલા કથક ગુરુ હતા. એમના વિશે એવું કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણ એમના સ્વપ્નમાં આવ્યા હતા અને એમણે ઈશ્વરી પ્રસાદજીને કથક નૃત્યનું પુનઃસ્થાપન કરવા જણાવ્યું હતું. ઈશ્વરી પ્રસાદજી ૧૦૦ વર્ષની દીર્ઘ આયુ સુધી કથક નૃત્યને એમના પુત્રો તથા અનુયાયીઓ સુધી પહોંચાડતા રહ્યા હતા. આવા કુળમાં જન્મેલા અને પરિવારની પરંપરાગત નૃત્યની શૈલીને આગળ વધારનારબિરજુ મહારાજનો જન્મ ૪ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ લખનૌમાં થયો હતો. તેમના પિતા તથા ગુરુ લખનૌ ઘરાનાના પ્રસિદ્ધ કથક નૃત્યકાર જગન્નાથ મહારાજ હતા,જેઓ અછ્છન મહારાજ તરીકે પણ ઓળખાતા હતા. બિરજુ મહારાજનું મૂળ નામ 'દુખહરણ' હતું, પરંતુ પાછળથી કૃષ્ણ ભગવાનના પર્યાય એવું 'બ્રિજમોહન' નામ રાખવામાં આવ્યું હતું. સમય જતા 'બ્રિજમોહન નાથ મિશ્રા' નામટૂંકાઈને તેમનું નામ 'બિરજુ' તરીકે પ્રસિદ્ધ થયું હતું.

કલાની ઉચ્ચ સમજ અને નૃત્ય તથા સંગીતના બંને ક્ષેત્રોમાં પ્રસિદ્ધિના શિખરો સર કરનાર બિરજુ મહારજની શ્રેષ્ઠ શિષ્યા સાસ્વતી સેને હાલમાં જ પોતાના ગુરુની સ્મરણાંજલિ રૂપે 'બિરજુ મહારાજ: ધ માસ્ટર થ્રુ માય આઈઝ' ('બિરજુ મહારાજ:એક શ્રેષ્ઠ નૃત્યકાર મારી દ્રષ્ટિએ)પુસ્તક પોતાના ગુરૂનેઅર્પણ કર્યું છે. સાસ્વતી સેન સત્યજીત રેની ફિલ્મ 'શતરંજ કે ખિલારી (૧૯૭૭)'માં મનમોહક નૃત્યના કારણે પ્રસિદ્ધ થયા હતા. બિરજુ મહારાજે દિલ્હીના જોરબાઘમાં સ્થાપેલા કલાશ્રામમાં તેઓ કથક ગુરુ તરીકે પણ ફરજ બજાવે છે. સાસ્વતી સેન પુસ્તક અંગે જણાવતા કહે છે કે," એક દસકા પહેલા હું ઠુમરીવિશેનાકેટલાક પુસ્તકો પર કામ કરતી હતી. આ પુસ્તકોનીપ્રક્રિયા દરમિયાન મને બિરજુ મહારાજ વિશે પુસ્તક લખવાનો વિચાર આવ્યો અને જ્યારે આ પ્રકાશન તરફથી મહારાજજી પર પુસ્તક લખવા માટેની મને તક મળી, ત્યારે એમના વિશે લખવા હું મંડી પડી!"મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલા અને ૨૧૬ જેટલા પૃષ્ઠ ધરાવતા આ પુસ્તકમાં કુલ આઠ જેટલા પ્રકરણો સમાવવામાં આવ્યા છે. બિરજુ મહારાજના જન્મથી લઈને તેમના જીવનના દરેક તબક્કાને આ પુસ્તકમાં ખૂબ રસપ્રદ રીતે વર્ણવવામાં આવ્યા છે. બાળપણથી જ લખનૌના કાલકા-બિંદાદિન ઘરાનાના મહાનુભવો વચ્ચે ઉછરેલા બિરજુ મહારાજ આજે કઈ રીતે કથક નૃત્યના પ્રતિનિધિ તરીકે પ્રસ્થાપિત થયા એ આ પુસ્તકમાં ઘણી સુંદર રીતે આલેખાયું છે.

સાસ્વતી સેન બિરજુ મહારાજની મુખ્ય તથા ઉત્તમ શિષ્યા હોવાની સાથે જ એમને વ્યક્તિગત રીતે પણ ખૂબ ઊંડાણપૂર્વક જાણે છે.છેલ્લા ચાર દાયકાથી એક આદર્શ શિષ્યાની ભૂમિકા ભજવનાર સાસ્વતી સેને બિરજુ મહારાજને પરિવારના એક જવાબદાર વડા, એક ઉત્સાહી ગુરુ, એક અદભુત કલાકાર તથા એક દયાળુ વ્યક્તિત્વ ધરાવતા ઉમદા વ્યક્તિ તરીકે પણ અનુભવ્યા છે. તેમણે બિરજુ મહારાજસાથેની કેટલીક પળોના જીવંત કિસ્સાઓ પણ આલેખ્યા છે. એક વાર દિલ્હીના સ્ટેશન પર મહારાજજીનો સામાન ઊંચકતો કુલી એમનો બાળપણનો મિત્ર નીકળ્યો. બિરજુ મહારાજ તરત જ એને ભેટી પડ્યા અને ભગ્નહૃદયેઆંસુ સારવા લાગ્યા હતા. વળી, દિલ્હીના મિન્ટો રોડ પર વધુ પડતા ભારથી લાદેલી હાથલારી ચલાવતા એક મજદૂરને પણ તેમણે લારી ખેંચવામાં મદદ કરી હતી.

સંગીત અને સાધના વ્યક્તિને જેટલા ઊંચા સ્તર પર લઇ જાય છે એટલા જ ઊંડે સુધી જમીનમાં એના પગ પણ રાખે છે.ખરા અર્થમાં એક ઉચ્ચ નૃત્યકાર તરીકે પ્રતિષ્ઠિત થયેલા બિરજુ મહારાજની આ અનુયાયી એમની સાથેના ઘણા કિસ્સાઓને વાગોળે છે. તેઓ કહે છે કે બિરજુ મહારાજની પોતાના ગુરુ તરીકેની અસંખ્ય સ્મૃતિઓ અને એક તટસ્થ લેખક તરીકે એમની આત્મકથા લખવા વચ્ચે સંતુલન સાધવુ એ ખૂબ મુશ્કેલ હતું. આ પુસ્તકમાં મેં વારાણસી અને લંડન, બ્રિટન, ન્યુ યોર્ક તથા અમેરિકામાં બિરજુ મહારાજે કરેલા કથક નૃત્યના કેટલાક જવલ્લે જ જોવા મળતા નૃત્યોની ઝાંખી એક અલગ જ અંદાજમાં વર્ણવવાના પ્રયત્નો કર્યા છે. પહેલા કથક વ્યક્તિગત રીતે થતુંદરબારી નૃત્યઅને નિશ્ચિત વિષય અનુરૂપ સંગીત પર થતું નૃત્ય હતું. ત્યારબાદ વર્ષ ૧૯૬૦થી સમૂહમાં કથક નૃત્ય કરવાનો પ્રારંભ થયો. કથક નૃત્યમાં મુખ્યત્વે ચક્કર(ગોળ ફરવું) અને તત્કાર(પગ વડે કરવામાં આવતા સ્ટેપ્સ) મુખ્ય હતા, પરંતુ બિરજુ મહારાજે આ નૃત્યમાં થોડી છૂટછાટ લઈને કથક નૃત્યશૈલીને વધુ સમૃદ્ધ બનાવ્યું. તેઓ સંગીતનીરચના ઉપરાંત નૃત્યનાટિકાના ગીતો માટે પણ શબ્દોની રચના કરતા હતા. તેઓ હંમેશાં કોઈ નવા વિચારો સાથે બહાર આવતા અને પોતાના શિષ્યોને નૃત્યમાં કઈ રીતે વધુ ઓતપ્રોત કરી શકાય એ માટેના પ્રયત્નો કરતા હતા. નૃત્યકારોને હાથ અને મોઢાના અભિનય શિખવાડવામાં એક નવીનતા દાખવતા બિરજુ મહારાજ પ્રેક્ષકોને પણ મનોરંજનની ચરમસીમાએ લઇ જતા.નૃત્ય અને સંગીતને અનુભવવાની એમની ઢબ અદભુત હતી. માલકૌંસ રાગ દરમિયાન એમણે પ્રેક્ષકોને રાગનો સાચો મહિમા અનુભવાય એ માટે કેટલાક દ્રશ્યો તાદ્રશ કરવા જણાવ્યું હતા. તેમણે રાગને સ્નાન કર્યા પછી અનુભવાતી શરીરની તાજગી, નિઃવસ્ત્ર શરીર પર વસ્ત્રોનું આચ્છાદન, મજબૂત ખભા અને મોહક અદાની ચાલ સાથે સાંકળી એક અનોખું ચિત્ર પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યું હતું. તેઓ રાગને ભવ્ય વસ્ત્રો, આભૂષણો, માથાના પહેરવેશ અને અત્તરોથી સજાવતા હતા.

નૃત્ય ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ મહારથ હાંસલ કરનાર બિરજુ મહારાજ તબલા અને નાલ વગાડવાના શોખીન છે. આ ઉપરાંત,તેઓ સિતાર, સરોદ, વાયોલિન, સારંગી જેવા વાજિંત્રો કોઈ પણ જાતની વિશિષ્ટ તાલીમ વિના ખૂબ જ સરળતાથી વગાડી શકવા માટે સક્ષમ છે. તેમણે કેટલીક ફિલ્મોમાં સંગીત આધારિત નૃત્યોનું પણ નિરૂપણ કર્યું છે. વર્ષ ૧૯૯૭માં આવેલી ફિલ્મ 'દિલ તો પાગલ હે'માં માધુરી દિક્ષિતની કથક શૈલીમાં જુગલબંધી અને 'ગદર' ફિલ્મમાં 'આન મિલો સજના' ગીતની કથક નૃત્યશૈલી તેમણે જ નિર્દેશિત કરી હતી. વળી, દેવદાસ (૨૦૦૨)માં માધુરી દિક્ષિત પર ફિલ્માવાયેલા 'કાહે છેડે મોહે'માં તેઓ મુખ્ય ગાયક હતા અને તેમણે જ ગીતનું સંગીત અને નૃત્ય તૈયાર કર્યું હતું.

બંગાળમાં થતા મન્મથનાથ ઘોષ ઉત્સવની ઉજવણી દરમિયાન બિરજુ મહારાજે સંગીત ક્ષેત્રના ધુરંધરો સામે સૌ પ્રથમવાર એમની વ્યક્તિગત કૃતિ રજૂ કરી હતી. બધા લોકોએ એક યુવાન નૃત્યકાર તરીકે એમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી એમણે પાછા વળીને જોયું નથી. એમની કારકિર્દીનો આલેખ હંમેશાં ઉપર તરફ જ વધ્યો છે.એમની આ અભૂતપૂર્વ કારકિર્દી માટે તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. ૨૮ વર્ષની નાની વયથી જ તેમણે સંગીત નાટક એકેડમી એવોર્ડ, આંધ્ર રત્ન, નૃત્ય વિલાસ, આધારશીલા શિખર સમ્માન, નૃત્ય ચૂદામણિ, શિરોમણિ સમ્માન, રાજીવ ગાંધી પીસ એવોર્ડ જેવા મોટા દરજ્જાના પુરસ્કારો પોતાને નામ કર્યા હતા. તેમને બનારસની હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગર્હ યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનનીય પદવી પણ મળી છે.

ભારતની પરંપરાને જાળવી, નૃત્યને આજના યુગની શૈલીમાં ઢાળનાર બિરજુ મહારાજ આપણા સમયની જીવંત પ્રતિભા ગણાવી શકાય. ભારતની વર્ષો જૂની નૃત્યશૈલી અને સંગીતના રાગોને નવીનતાથી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરનાર આ મહાનુભવ હંમેશાં આપણા માટે સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા રહે એવી અભ્યર્થના!

23મી જુલાઈ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment