Wednesday, November 27, 2013

‘લેડી ઓફ ફૂડ’ની આખરી વિદાય



“જો તમારે તમારી દીકરીને પરણાવવી હોય તો તેને તરલા દલાલના ક્લાસમાં મૂકો.” વર્ષો પહેલાં આ કઠન ભારતના દરેક ઘરમાં ખૂબ પ્રસિદ્ધ થયેલું. લગભગ કોઈપણ ઘર એવું ન હશે જેમાં તરલા દલાલની રેસિપીએ સ્થાન ન લીધું હોય! ‘લેડી ઓફ ફૂડ’, ‘મોસ્ટ પોપ્યુલર કૂકવુક ઓથર’ કે પછી ‘માસ્ટરશેફ’ જેવા શબ્દોથી વારંવાર નવાજાતા તરલા દલાલ સમગ્ર ભારતના પહેલા મહિલા હતા કે જેમણે મહિલાઓના રોજીંદા કાર્યને એક ‘બિઝનેસ’નું સ્વરૂપ આપ્યું અને કૂકિંગ માટેનો લોકોનો આખો દૃષ્ટિકોણ બદલવામાં મોટી સફળતા મેળવી. 

તરલા દલાલ મહારાષ્ટ્રના અલિબાગ નજીક વર્ષ ૧૯૩૬માં થયો હતો અને નવીન દલાલ સાથે લગ્ન થયા બાદ તેઓ વર્ષ ૧૯૬૦માં મુંબઈમાં સ્થાયી થયા હતા. લગ્નના લગભગ ૬ વર્ષ પથી તેમણે મુંબઈના તેમના ઘરમાં જ કૂકરી ક્લાસીસની શરૂઆત કરી અને કૂકિંગના ક્ષેત્રમાં એક અનોખા ઈતિહાસની રચના થઈ. તેમનો આ ક્લાસ એટલો બધો પ્રસિદ્ધ થયો કે એ સમયમાં વિદ્યાર્થીઓના ‘વેઈટિંગ લિસ્ટ’ની નોંધ લેવી પડતી હતી! વળી, જ્યારે તેમણે શેફ અને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું ત્યારે આ ફિલ્ડ હાલ જેટલું ગ્લેમરસ પણ નહોતું. તેમણે જે સમયે કૂકિંગ ક્લાસ શરૂ કર્યા એ સમયે સ્થાનિક કરિયાણાની દુકાનમાં ઓલિવ ઓઈલ મળવું પણ મુશ્કેલ હતું અને સફેદ તથા રેડ ગ્રેવીમાં બનાવેલા પાસ્તા પણ વિદેશી ફૂડ ગણવામાં આવતા અને એવા સમયે તેમણે કૂકિંગ ક્લાસ શરૂ કરીને ઘણી સ્ત્રીઓને પોતાના ક્લાસ માટે આકર્ષી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૭૪માં તેમનું પહેલું પુસ્તક ‘ધ પ્લેઝર્સ ઓફ વેજીટેરિયન કૂકિંગ’ પ્રસિદ્ધ થયું હતું અને ખૂબ ઝડપથી તે પુસ્તકે માર્કેટમાં ‘બેસ્ટ સેલર’માં સ્થાન મેળવ્યું હતું. આ પુસ્તક પ્રસિદ્ધ થતાંની સાથે તેની લગભગ ૧,૫૦,૦૦ જેટલી કોપી વેચાઈ હતી. આ ઉપરાંત, તેમણે અન્ય ૧૦૦ કરતાં પણ વધુ પુસ્તકો લખ્યા છે અને હજી સુધી આશરે ૩ કરોડ કરતાં પણ વધુ કોપી વેચાઈ ચૂકી છે. આ જ કારણોસર તેમને વિશ્વના સૌથી વધુ વંચાતા પાંચ કૂકરી લેખકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું તથા તેમના પુસ્તકો ગુજરાતી, મરાથી, બંગાળી અને ડચ તથા રશિયન જેવી ભાષાઓમાં અનુવાદિત થયાં હતા. 

૯૦ના દાયકામાં જ્યારે ટેલિવિઝનનો એક નવો યુગ શરૂ થયો હતો ત્યારે તરલા દલાલના કૂકરી શોએ આ નવા માધ્યમ દ્વારા પણ ધૂમ મચાવી હતી. ટીવીની એક પ્રાઈવેટ ચેનલ પર ‘તરલા દલાલ શો’ તથા ‘કૂક ઈટ અપ વિથ તરલા દલાલ’ના નામે તેમણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. આ શો લગભગ ત્રણ વર્ષ સુધી એશિયા, ગલ્ફ, બ્રિટન અને અમેરિકામાં ટેલિકાસ્ટ થયો હતો. આ ઉપરાંત, તેમણે દ્વિમાસિક મેગેઝિન ‘કૂકિંગ એન્ડ મોર’ પણ શરૂ કર્યું હતું. તેમણે ઘણા બધા ક્યુઝિન્સ(રાંધણશૌલી)માં પોતાનો હાથ અજમાવ્યો છે, પરંતુ તેમાં ઈન્ડિયન ક્યુઝિનમાં તે સૌથી વધુ નિષ્ણાત હતા અને ખાસ કરીને ગુજરાતી ક્યુઝિનમાં તે અદ્વિતીય હતા.

આ ઉપરાતં, તેમણે ‘ટોટલ હેલ્થ સીરિઝ’ના નામથી એક આખી કૂકબુક સીરિઝની શરૂઆત પણ કરી હતી. આજે જ્યારે જમાનો ઝડપી બન્યો છે ત્યારે રેડી-ટુ-કૂકના નવા પર્યાયની શરૂઆત તેમણે કરી હતી. ‘તરલા દલાલ મિક્સીસ’ના આશરે ૧૮ જેટલા જુદા જુદા પ્રકારો તેમણે રેડી-ટુ-કૂક પેકેટ્સ દ્વારા બજારમાં મૂક્યા હતા. વળી, ઈ-યુગની શરૂઆત થતાં તેમણે ત્યાં પણ પોતાની કાર્યક્ષમતા દાખવી અને તરલા દલાલના નામથી એક વેબસાઈટ શરૂ કરી, જે ખૂબ જ ઝડપથી પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, મહારાષ્ટ્રીયન, સાઉથ ઈન્ડિયન, ચાઈનીઝ તથા ઈટાલિયન ક્યુઝિન ધરાવતી ભારતની સૌથી મોટી ફૂડ વેબસાઈટ બની રહી. 

વર્ષ ૨૦૦૫માં ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરે તેમને ‘વિમેન ઓફ ધ યર’ના ટાઈટલથી નવાજ્યા હતા. ચેમ્બરે તરલાની કૂકિંગના ક્ષેત્રમાં અસામાન્ય પ્રગતિ તથા તેમના સાહસને બિરદાવવા આ બિરુદ તેમને આપ્યું હતું. આ ઉપરાંત, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ તેમને પૂર્વરાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલના હાથે પદ્મશ્રીનો માનવંતો એવાર્ડ પણ આપવામાં આવ્યો હતો. વળી, આ ક્ષેત્રમાં એવોર્ડ મેળવનાર તેઓ સૌથી પહેલા ભારતીય હતા.

તરલા દલાલે સ્ત્રીઓના સામાન્ય કાર્ય કઈ રીતે એક પ્રોફેશનમાં ફેરવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ ખૂબ જ સફળતાપૂર્વક આપ્યું છે. ઘણી ગૃહિણીઓ તેમની અંદરના પેશનને ઓળખઈ શકતી નથી અને જો ઓળખી લે તો તેને પ્રોફેશનમાં કઈ રીતે ઢાળવું તે જાણી શકતી નથી. જ્યારે તરલા દલાલે સમય સાથે તાલ મિલાવી દરેક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની કળાને વધુ ને વધુ નિખારી હતી અને આથી જ દરેક ગૃહિણીઓ માટે તે એક આદર્શ પુરવાર થયા છે. તેમને ‘વુમન એમ્પાવરમેમેન્ટ’ના સંકેત તરીકે ઓળખવામાં પણ કોઈ જ અતિશયોક્તિ નથી. 

તેમની કારકિર્દી જેટલી સમૃદ્ધ છે, તેટલું જ તેમનું પારિવારિક જીવન પણ સમૃદ્ધ હતું. તેમના પતિનું વર્ષ ૨૦૦૫માં મૃત્યુ થયા બાદ તેઓ મુંબઈમાં તેમના દીકરા સાથે સ્થાયી થયા હતા, પરંતુ હાલમાં જ૭૭ વર્ષની વયે ૬ નવેમ્બર, ૨૦૧૩ના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું અને આખા દેશમાં એક ગમગીન માહોલ છવાય ગયો હતો. તેમના મૃત્યુના થોડા દિવસ પહેલા જ તેઓ પુણે તેમના પુત્ર દીપકના ઘરે રોકાય હતા અને તેમની યાદોને વાગોળતા દીપકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “પોતાની કારકિર્દીમાં અનેક શિખરો સર કરવાની સાથે તેમણે કદી પરિવારને અન્યાય નથી કર્યો. તેમણે ઘરના કાર્યોને ક્યારેય અવગણ્યા નથી.”

તરલા દલાલના જીવનના અંતિમ દિવસો તેમના પૌત્રો સાથે સમય વીતાવવાનું વધુ પસંદ કરતા હતા.

Wednesday, November 20, 2013

‘ધ એમ્પરર ઓફ સોન્ગ’ નૌશાદની અનકહી વાતો



હાલમાં જ ભારતીય સિનેમાએ તેના સફળતાપૂર્વકના ૧૦૦ વર્ષ પૂરા કર્યા અને આ સો વર્ષો દરમિયાન ભારતીય સિનેમાની ઘણી ‘ઈન્સાઈટ્સ’આપણે માણીપણ છે. ફિલ્મોના મુખ્ય કલાકારો, તેની કથાવસ્તુ, સંવાદો કે પછી ગીતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતા અનેક પુસ્તકો હજી સુધી પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કેટલાય હીરોને ‘લેજન્ડ’ બનાવતા પુસ્તકો એક સમયે બેસ્ટ સેલરની હરોળમાં સ્થાન પામ્યા હતા, પરંતુ આ સૌમાં મ્યુઝિક ડાયરેક્ટર્સ વિશે ખૂબ જૂજ પ્રમાણમાં લખાયું છે, જેમણે સંગીતના માધ્યમથી ફિલ્મોને એક અલગ જ સ્તરની નામના અપાવી છે. સંગીતના મહાન કલાકારોએ ફિલ્મી ગીતોમાં પોતાનો આત્મા અર્પી દઈ અનેક ઉત્કૃષ્ટ ગીતો રચ્યા છે અને તેથી જ તેફિલ્મોય અમર ભારતીય સિનેમાના ઈતિહાસમાં અમર બની ગઈ છે. આવા જ એક ‘લેજેન્ડ’ ગણાવી શકાય એવા મ્યુઝિક ડાયરેક્ટર નૌશાદ અલીના જીવન આધારિક હાલમાં એક પુસ્તક‘નૌશાદનામાઃ ધ લાઈફ એન્ડ મ્યુઝિક ઓફ નૌશાદ’લખાયું, જેના લેખક રાજુ ભરતન છે. વાસ્તવમાં રાજુ એ હિંદી સિનેમાજગતના ગીતોના પ્રખ્યાત ઈતિહાસકાર તથા ‘ઈલ્યુસ્ટ્રેટેડ વિકલી’ના પૂર્વ પત્રકાર છે.

રાજુએ આ પુસ્તકમાં નૌશાદના જીવનના અને ખાસ કરીને તેમની કારકિર્દીના લગભગ દરેક પાસાંઓને આવરી લીધા છે. તેમની સાથે ગાળેલા વર્ષોની સ્મૃતિઓ અને અંગત કિસ્સાઓને હળવી શૈલીમાં છતાં ખૂબ રસપ્રદ રીતે રાજુએ આલેખ્યા છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે તે પરંપરાગત શૈલીમાં લખાતા જીવનચરિત્રના અન્ય પુસ્તકો જેવું નથી, જેમાં નૌશાદના જુદા જુદા તબક્કાઓનું વિસ્તૃત રીતે વર્ણન કરાયું હોય. બલ્કે આ પુસ્તકમાં તેમના જીવનના શરૂઆતના વર્ષો અને ફિલ્મમાં તેમના પદાર્પણ વિશેની વાતોનો માત્ર પરિશિષ્ટમાં જ સમાવેશ કરાયો છે. વળી, ૫ મે, ૨૦૦૬ના રોજ થયેલા એમના મૃત્યુ વિશેની આખી ઘટનાને પણ માત્ર ત્રણ ફકરામાં જ આવરી લેવામાં આવી છે. રાજુએ નૌશાદના અંગત જીવનમાં ખાંખાખોળા કરવા કરતાં તેમના કાર્યકાળને વધુ પ્રાધાન્ય આપ્યું. વળી, બંધબેસતા ઉદાહરણો સાથે તેમની વાતોને સાંકળવાપુસ્તકમાં ઘણીવાર તેમણે સમયને આગળ-પાછળ પણ કર્યો છે.આ પુસ્તકમાં વિશેષ ધ્યાન તેમની શાસ્ત્રીય સંગીતના રાગોની ઉમદા આવડત પરત્વે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમના ખાસ માનવંતા કુશળ વાદકો માટે પણ એક આખું પ્રકરણ ફાળવવામાં આવ્યું છે. ગીતકાર શકીલ બાદયુની, મજરૂહ સુલતાનપુરી તથા મોહમ્મદ રફી, શમશાદ બેગમ અને લતા મંગેશકર જેવા ગાયકો સાથેના તેમના સંબંધો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે. નૌશાદની કવિતાઓ વિશેના લગાવને લઈએ રાજુ લખે છે કે, “નૌશાદ માટે હંમેશાં કવિતા પહેલાં આવતી અને ત્યારબાદ સંગીત આવતું. તેઓ કવિતાઓમાં સંગીત અને સંગીતમાં કવિતાઓ એ પ્રમાણે સાંકળીલેતાં કે એ બંને ક્યાં ભેગા થાય છે એ કોઈ શોધી જ ન શકે અને એ જ તેમના સંગીતને વધુ મધુર બનાવતુંહતું. આ ઉપરાંત, શકીલની કવિતાઓ અને નૌશાદનાં સંગીત એકબાજાના પરસ્પર કહી શકાય.”

જો કે આ પુસ્તકના કેટલાક અંશો દરમિયાન લેખક વાંચકોને જકડી રાખવામાં નિષ્ફળ થતાં હોવાનું અનુભવાય, છતાં તેની માહિતી અને હકીકતો ખૂબ જ રસપ્રદ છે. એક કિસ્સો ટાંકતા રામુ લખે છે કેજ્યારે એક પુસ્તકના મુખપૃષ્ઠ પર નૌશાદે લતા મંગેશકરનો ફોટો જોયો ત્યારે તેમનો ચહેરો પડી ગયો હતો અને તેથી તેમણે લતા મંગેશકરને કઈ રીતે ઉર્દુ ભાષાના વિવિધ શબ્દોના સચોટ ઉચ્ચારો, પ્રયોગો અને લયમાં બેસાડવાની રીતો સમજાવી હતી તે વિશે રાજુ સાથે વાતો કરી હતી અને ત્યારબાદ ખૂબ જ સહજતાથી તેમણે રાજુને પૂછ્યું હતું કે, “સંગીતની સમગ્ર રચના કરનારને સ્થાને માત્ર તેના એક ઈન્ટરપ્રિટરને શા માટે મુખપૃષ્ઠ પર સ્થાન આપવામાં આવ્યું?” આમ આવા અનેક સંવાદો અને કિસ્સાઓ રાજુએ ખૂબ જ સુંદરતાથી પુસ્તકમાં વીણી લીધા છે. 

નૌશાદની એ સમયના સંગીતકાર સી રામચંદ્ર સાથે બરાબરની હરીફાઈ જામી હતી અને આ વિશે પણપુસ્તકમાં ખાસી એવી માહિતી આપવામાં આવી છે. રાજુએ વર્ષ ૧૯૫૦ના પાછળના કેટલાક વર્ષોમાં શંકર-જયકિશને નૌશાદને આપેલી ચુનોતી વિશે પણ પુસ્તકમાં લખ્યું છે. વળી, શરૂઆતના વર્ષોમાં નૌશાદની પ્રિય ગાયિકા રહી ચૂકેલી શમશાદ બેગમની તેમણે લતા મંગેશકરના ઉદય સાથે તેમની પત્ની આલિયાના સૂચનને માન આપીને કઈ રીતે અવગણના કરી એ વિશે પણ રાજુએ વિસ્તૃત વર્ણન કર્યું છે. આ ઉપરાતં, સુરૈયા-દેવાનંદના પ્રેમપ્રકરણના તેઓ કેટલા તીવ્ર વિરોધી હતા તેની પણવિસ્તૃત વાતો આ પુસ્તકમાં આવરી લેવાય છે. નૌશાદ બોલિવૂડમાં તેમના સ્ટ્રગલિંગના દિવસો ક્યારેક ભૂલ્યા નહોતા. કામ માટે એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો સુધી રખડવું તથા આવકની અનિશ્ચિતતા વિશેની સતત ચિંતા એમની સ્મૃતિમાં હંમેશાં અકબંધ રહી હતી અને એટલે જ તેઓ તેમના પુત્રોને ફિલ્મી દુનિયાથી દૂર રાખવા ઈચ્છતા હતા.

આ ઉપરાંત રાજુએ નૌશાદના તલત મહમૂદ સાથે કામ નહીં કરવાના વાસ્તવિક કારણને પણ પુસ્તકમાં વર્ણવ્યું છે. વાસ્તવમાં ઘણાં લોકો એવું માને છે કે તલત મેહમૂદે એકવાર નૌશાદની હાજરીમાં સ્મોકિંગ કર્યું હતું અને તેના કારણે નૌશાદ નારાજ થયાં હતા અને તેમની સાથે કાર્ય કરવાનું બંધ કર્યું હતું, પરંતુ હકીકત કંઈક અલગ હતી. નૌશાદ જ્યારે મુકેશ અને તલત મેહબૂબની ગાયિકી દરમિયાન કમ્પોઝિશન કરતાં ત્યારે તેઓને તેમનું સંગીત એક સીમા પૂરતું મર્યાદિત થઈ જતું હોય એવો અનુભવ થતો, પરંતુ જ્યારે તેઓ મોહમ્મ્દ રફી સાથે કામ કરતાં ત્યારેતેમને કમ્પોઝિશન માટે પૂરતી સ્વતંત્રતાનો અનુભવ થતો. આથી પોતાનું સંગીત એક સીમામાં ન બંધાય જાય એ માટે તેમણે તલત સાથે કામ કરવાનું બંધ કર્યું હતું. આમ આવી અનેક હકીકતોને, નૌશાદ સાથે થયેલા વાસ્તવિક સંવાદોને આધારે રાજુએ આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે, જે પુસ્તકને વધુ લોકપ્રિય બનાવી રહ્યું છે. 

નૌશાદ જેવા મહાન કલાકારના જીવનચરિત્ર વિશે વાંચવું એમ પણ એક રસપ્રદ વાત છે અને જ્યારે પાંચ દાયકા સુધી તેમની સાથે સમય ગાળી ચૂકેલા કોઈ લેખકે તેમની યાદોના નિચોડને પુસ્તકમાં કંડાર્યો હોય તો તે પુસ્તક વધુ રસાળ અને જીવંત બની જાય છે. રાજુ ભરતનના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને નાની નાની વાતોની રસપ્રદ રીતે રજૂઆતને કારણે સંગીતપ્રેમીઓ તથા ખાસ કરીને નૌશાદ જેવા મહાન કલાકારના હાર્ડકોર ફેન માટે આ પુસ્તક વાંચવા માટે બિલકુલ યોગ્ય છે.

૮૨ વર્ષની વયે આપ્યું સંગીત

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં નૌશાદ અલી બેનમૂન સંગીતકારોની હરોળમાં સ્થાન પામે છે. તેમનો જન્મ અને ઉછેર ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં થયો હતો. રૂઢિચુસ્ત ઈસ્લામિક પરિવારમાં જન્મ થયો હોવા છતાં સંગીત માટેના તેમના અનહદ લગાવને કારણે તેઓ વર્ષ ૧૯૩૭માં મુંબઈ પોતાનું નસીબ અજમાવવા આવી ગયા. તેમણે વર્ષ ૧૯૪૦માં સૌપ્રથમ ફિલ્મ ‘પ્રેમ નગર’માં પોતાનું સંગીત આપ્યું, પણ ખરી સફળતા એમને વર્ષ ૧૯૪૪માં આવેલી ‘રતન’ નામની ફિલ્મથીમળઈ હતી અને ત્યારબાદ થોડાં જ વર્ષોમાં નૌશાદે હિંદી સિનેમાના સંગીતજગતમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી, જે લગભગ વર્ષો સુધી કાયમ રહી હતી. તેમની ઘણી ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી અને ડાયમંડ જ્યુબિલીનો પણ સ્વાદ ચાખ્યો હતો. અનેક ઉત્કૃષ્ટ ફિલ્મો જેવી કે ‘અંદાઝ (૧૯૪૯)’, ‘બૈજુ બાવરા (૧૯૫૨)’, ‘મધર ઈન્ડિયા (૧૯૫૭)’ તથા ‘મુઘલ-એ-આઝમ’ આજે પણ તેના બેજોડ સંગીત માટે લોકપ્રિય છે. તેમણે વર્ષ ૨૦૦૫માં ‘તાજ મહલઃ એન એટરનલ લવ સ્ટોરી’ નામની ફિલ્મમાં ૮૬ વર્ષની ઉંમરે પોતાનું સંગીત આપ્યું હતું, જે તેમની અંતિમ ફિલ્મ પુરવાર થઈ હતી. તેના એક વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૦૬માં તેમણે પોતાનો દેહત્યાગ કર્યો હતો. નિરંતર સારું સંગીત આપવા માટે નૌશાદની હઠ તથા જાહેરમાં લોકો સામે પોતાની એક આગવી છબી જાળવી રાખવા માટેની તેમની સલૂકાઈ અવર્ણનીય હતી અને એથી જ નૌશાદ સાથે આશરે ૫૦ વર્ષ સુધી સંપર્કમાં રહેલા રાજુ ભરતને સંગીતના આ ઉસ્તાદ વિશે કેટલીક અકથિત વાતો વર્ણવવાનું બીડું ઝડપ્યું હતું. નૌશાદને વર્ષ ૧૯૮૨માં ‘દાદાસાહેબ ફાડકે એવોર્ડ’ તથા વર્ષ ૧૯૯૨માં ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Saturday, November 16, 2013

સૈનિકોના સન્માન માટે કાર્યરતઃ અનુરાધા પ્રભુદેસાઈ


‘મને એકમાત્ર અફસોસ એ છે કે દેશની સેવા માટે મારી પાસે માત્ર આ એક જ જન્મ છે.’ લડાખના એડવેન્ચરસ માહોલમાં જ્યારે તમે ટ્રાવેલ કરતાં હો અને દેશના જવાનો માટે લખાયેલું આ વાક્ય તમારી આંખે ચડે ત્યારે શેર લોહી ચડી ગયાનો અનુભવ ચોક્કસ થાય, પણ થોડા જ દિવસોમાં આપણે પોતાની રૂટિન લાઈફમાં એવા ગોઠવાઈ જતા હોઈએ છીએ કે દેશભક્તિનો બધો જ નશો પળવારમાં ઓસરી જતો હોય છે. આપણા સૌ પાસે જિંદગી જીવવા અંગત ધ્યેયો તો અનેક હોય છે, જ્યારે કેટલાક લોકો એવા છે જે અન્યના હૃદયને સ્પર્શતા હોય છે અને એ જ તેમનો ધ્યેય પણ બની જાય છે. 

આ વાત ઓગસ્ટ, ૨૦૦૪ની છે. અનુરાધા પ્રભુદેસાઈ નામની એક મહિલા મુંબઈની એક બેન્કમાં નોકરી કરીપોતાના પતિ અને બાળકો સાથે દેશની અન્ય સ્ત્રીઓની જેમ જ સામાન્ય જિંદગી પસાર કરી રહી હોય છે. એવામાં અનુરાધા, તેમના પતિ અને અન્ય એક દંપતી સાથે લડાખની સફરે ઉપડ્યા અને ત્યાંથી અનુરાધાના જીવનની નવી શરૂઆત થાય છે. લાખો ટુરિસ્ટોની જેમ અનુરાધાએ પણ કારગીલનીએ ઐતિહાસિક જગ્યાની મુલાકાત લીધી, પણ દેશભક્તિનું જે તોફાન એમના મનમાં ઊઠ્યું એ બાકી ટુરિસ્ટો કરતાં કંઈક અલગ હતું.કારગીલની સ્મૃતિને યાદ કરતાં ત્યાંના ગાઈડે તેમને એક સ્થળ બતાવ્યું જ્યાં યુદ્ધના સમયે દેશના જવાનોની લાશોનો ઢગલો પડ્યો હતો. આ ઉપરાંત, લેહના વાતાવરણની વિષમ પરિસ્થિતિ, કાળજું ઠરી જાય એટલી તીવ્ર ઠંડી અને વારંવાર થતા હિમપ્રપાતની સ્થિતિમાં અડીખમ ઊભાં રહી દેશ માટે લડતાં જવાનોના જીવનને આટલા નજીકથી અનુભવી અનુરાધા સમસમી ઊઠ્યા. તેમને મનમાં વારંવાર એક પ્રશ્ન ઊઠવા લાગ્યો કે શું દેશના આ સૈનિકોને તેમના આટલા મોટા બલિદાન માટે આપણે પૂરતું સન્માન આપીએ છીએ? અને આ એક પ્રશ્ને અનુરાધા અને તેના મિત્ર વિક્રમ જોશીને હચમચાવી દીધા અને તેઓએકારગીલ યુદ્ધની યાદગીરી સમા વિજયસ્તંભ પાસે આપણા દેશોના જવાનોના બલિદાનને લોકો સુધી પહોંચાડવાની તથા પાંચ વર્ષ સુધી કારગીલ આવવાની પ્રતિજ્ઞા લીધી. 

લેહથી ફરી આવ્યા બાદ અનુરાધાના જીવનનું ધ્યેય અને દિશા નક્કી હતા અને તેણે દેશના જવાનો માટે કામગીરી શરૂ કરી. તેમણે વર્ષ ૨૦૦૫ની રક્ષાબંધનમાં દેશના જવાનોને મળવા માટે આર્મીના ઉચ્ચ અધિકારોને અનેક પત્રો લખ્યા. શરૂઆતમાં આર્મીના અધિકારીઓ નકારાત્મક પ્રતિસાદ આપ્યો પણ અનુરાધાના અથાક પ્રયત્નોથી અંતે આર્મીએ તેને પોતાના જવાનોને મળવાની પરવાનગી આપી અને એ સાથે અનુરાધા અને અન્ય ૩૬ યુવતીઓએત્યાંના જવાનોને રાખડી બાંધી હતી. 

ત્યારબાદ તો કારગીલના જવાનોને મળવા જવાના એક અલગ જ દોરની શરૂઆત થઈ. છેલ્લા દસ વર્ષોમાં તેઓ લગભગ ૧૪ વખત કારગીલની મુલાકાત લઈ ચુક્યા છે અને દરેક વખતે તેમણે સૈનિકોને લડવા માટે અનોખી પ્રેરણા આપી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, “આજે દેશના યુવાનોને નવા જન્મેલા સેલિબ્રિટીઝના સંતાનો અને ફિલ્મ એવોર્ડ્ઝના વિજેતાઓના નામ બખૂબી યાદ રહેતા હોય છે, પણ પરમવીર એવોર્ડ્ઝ વિશે પૂછવામાં આવે તો તેમની પાસે કોઈ જવાબ નથી હોતો.” અને એટલા જ માટે તેમણે કારગીલ શહીદોની ગાથા વર્ણવતી અનેક બુકલેટ અને તે માટે તેમણે લખેલી કવિતાઓની ૪૦૦થી વધુ કોપી પબ્લિશ કરી છે. અનુરાધા શાળા અને કોલેજોના નવયુવાનો તથા મલ્ટીનેશનલ કંપનીના બિઝનેસ ટાયકૂનો સમક્ષ પણ આ જવાનોની અભૂતપૂર્વ કામગીરીને બિરદાવવા ૧૫૦થી પણ વધુ પ્રેઝન્ટેશન અને ૧૦૫ જેટલા લેક્ચર્સ આપી ચૂકી છે. આ પ્રેઝન્ટેશનથી મદદથી સામાન્ય નાગરિકોમાં દેશના જવાનોની કપરીજીવનશૈલી વર્ણવવામાં આવી છે. 

વર્ષ ૨૦૦૯માં જ્યારે તેમની પ્રતિજ્ઞા પૂરી થઈ ત્યાં સુધીમાં તેમણે સૈન્યના ઉચ્ચ અધિકારીઓને પણ પોતાની અદભુત કામગીરીથી પ્રસન્ન કરી દીધા હતા અને તેથી જજ બ્રિગેડિયર પાલે તેમને આ કામ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું. આથી અનુરાધાએ તેના આ કામને વધુ શિસ્તબદ્ધ કરવા ‘લક્ષ્ય ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. તેનો એકમાત્ર હેતુ યુવાનોમાં દેશભક્તિ જગાવી જવાનો માટે સન્માનની ભાવના જન્માવવાનો હતો. અનુરાધાએ સ્થાપેલી આ સંસ્થાએ સૌપ્રથમ ‘દિવાલી વિથ સોલ્જર’ નામનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં દરિયાની સપાટીથી આશરે ૧૮,૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈએ દેશની સીમા પર ફરજ બજાવતા આ જવાનોને મીઠાઈઓ અને ઘરનું ખાવાનું આપી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. 

દર વર્ષે આ સંસ્થા ૪૦ લોકોની સાથે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં લડાખની મુસાફરી કરે છે. જોકે આ કોઈ ટુર કે કેમ્પ નથી, પણ જવાનોને પ્રોત્સાહન પૂરું પાડવાના આશયથી સામાન્ય નાગરિકોને ત્યાં લઈ જવામાં આવે છે. આપણા દેશના સામાન્ય નાગરિકોને જવાનો સાથે વાતો કરવાનો એક અવસર આપવામાં આવે છે તથા તેમના પરિવારોનીસ્મૃતિને એકબીજા સાથે વાગોળવામાં આવે છે. હજી સુધી આશરે ૪૫૦ જેટલા નાગરિકોએ કારગીલના આ જવાનોની મુલાકાત લીધી છે.જાન્યુઆરી, ૨૦૧૨માં અનુરાધાએ તેની બેન્કની નોકરી છોડી દીધી અને સંપૂર્ણ ધ્યાન દેશની સેવામાં આપવાનું શરૂ કર્યું. તેમની જવાનો સાથેની આત્મીયતા એટલી ઊંડી બની કે ૫૭ વર્ષીય અનુરાધાને હવે કારગીલ રેજિમેન્ટમાં જવાનો ‘મા’, ‘માસી’,‘મેમ’ જેવા નામોથી યાદ કરે છે. જ્યારે અનુરાધાને હવે પછીના વર્ષોના ધ્યેય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “ હું એક ‘વીર ભવન’ સ્થાપવાનું સ્વપ્ન જોઉં છું, જે એક વિશાળ ઓડિટોરિયમ હશે અને તેની દીવાલો પર આપણા સૈનિકોના ચિત્રો અને તેમની યશગાથા વર્ણવવામાં આવી હશે.”

Thursday, November 14, 2013

પ્રાચીન ભારતનો અનોખો ક્વીઝ કાર્યક્રમઃ‘અવધાનમ્’


 હાલમાં ન્યુઝ ચેનલો પર પ્રાઈમ ટાઈમના શોમાં એક નાનકડાં બાળક કૌટિલ્ય પંડિતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નાનકડી ઉંમરમાં જ તેના મગજના થયેલા અદભુત વિકાસથી માત્ર તેના માતા-પિતા જ નહીં, પણ દેશના મનોચિકિત્સક પણ આશ્ચર્યમાં ડૂબી ગયા છે. કૌટિલ્યના ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજકારણ અને આના જેવા બીજા અનેક ઊંડાણપૂર્વક અભ્યાસ માગી લેતા વિષયો માટેના ‘સહજ’ જ્ઞાન માટે તેને હવે આખા દેશમાં ‘ગૂગલ બોય’ તરીકે ઓળખવામાં આવે છે. પાંચ વર્ષની નાની ઉંમરમાં જ્યાં સામાન્ય રીતે બાળકો ‘એબીસી’ના પાઠો ભણતાં હોય છે, ત્યાં કૌટિલ્ય આખા દેશની નદીઓના નામોને આવરી લેતી કવિતા ઠાઠથી ગાતો નજરે ચડે છે. કૌટિલ્યના જ્ઞાન અને યાદશક્તિને જ્યારે આજે આખા દેશમાં પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે શું તમે જાણો છો કે મુઘલોના સમયથી આપણા દેશમાં કળા, સાહિત્ય, મેમોરી (યાદશક્તિ) અને એકાગ્રતાને બિરદાવતો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવે છે?

વાસ્તવમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં ‘અવધાનમ્’ના નામથી એક પ્રચલિત કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. ‘અવધાનમ્’ એ એક એવી પ્રક્રિયા છે, જેમાં તમારી યાદશક્તિની સાથે સાહિત્ય અને તેના વિશેની સમજની પણ કસોટી કરવામાં આવે છે. સામાન્ય રીતે યાદશક્તિને મેથેમેટિકલ ગણતરીઓ સાથે જોડવામાં આવતી હોય છે અને સાહિત્યને કળા સાથે સાંકળવામાં આવે છે, પણ વ્યક્તિની યાદશક્તિ, એકાગ્રતા અને સાહિત્ય વિશેની ઊંડાણપૂર્વકના જ્ઞાનને એકસાથે સાંકળી આ અનોખી પ્રક્રિયા ‘અવધાનમ્’ રૂપે વર્ષોથી આપણા દેશમાં ચાલતી આવી છે. ‘અવધાનમ્’ની આખી પ્રક્રિયા દરમિયાન તમારું જ્ઞાન અને એકાગ્રતા એ જ એકમાત્ર સાધન હોય છે, જે તમને આ આખી પ્રક્રિયામાં સફળ બનાવે છે. આ ઉપરાંત અન્ય કોઈ બાહ્ય સાધનો આપવામાં આવતા નથી. વળી, તેમાં એકસાથે એક કરતાં વધુ કાર્યો કરવાના હોવાથી તમારા સંયમ, એકાગ્રતા અને ધ્યાનની ખૂબ જ ચીવટાઈપૂર્વક કસોટી કરવામાં આવે છે. આમ ‘અવધાનમ્’ની આખી પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ હોય છે. 

જે વ્યક્તિ ‘અવધાનમ્’ ની પ્રક્રિયામાં સંપૂર્ણપણે સફળ થાય છે તેને ‘અવધાની’ કહે છે. ‘અવધાનમ્’માં એક સ્પર્ધક હોય છે અને તેને કેટલાક પ્રશ્નો પૂછીને તેની કસોટી કરવામાં આવતી હોય છે. આ પ્રશ્નો પૂછવા માટે સાહિત્યનો ઊંડો અભ્યાસ ધરાવતી સિદ્ધહસ્ત વ્યક્તિઓ કે પછી અગાઉ આ પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયેલા અવધાનીઓને નીમવામાં આવતા હોય છે, જેમને ‘પૃચ્છક’ કહેવામાં આવે છે. જે પૃચ્છક પહેલો પ્રશ્ન પૂછે તેને ‘પ્રધાન પૃચ્છક’ કહેવામાં આવે છે. જોકે તેનું મહત્ત્વ અન્ય પૃચ્છક જેટલું જ હોય છે. પૃચ્છક સ્પર્ધકને એક પ્રશ્ન પૂછે છે અને તેના આધારે સ્પર્ધક એક પંક્તિ રચે છે અને તેનું ગાન કરે છે. ત્યારબાદ અન્ય પૃચ્છક ફરી એને એક પ્રશ્ન કરે છે, જેને આધારે તે સ્પર્ધક બીજી પંક્તિ રચે છે અને તેનું ગાન કરે છે. આમ છેલ્લા પ્રશ્ન સુધી સ્પર્ધક પંક્તિની રચના કરે છે અને તેનું ગાન કરે છે. પૃચ્છક સામાન્ય રીતે કોઈ એક શબ્દને આધારે આખી પંક્તિ રચવા અથવા તો કોઈ એક શબ્દના ઉપયોગ વિના આખી પંક્તિ રચવા કે પછી કોઈ એક નિશ્ચિત બંધારણમાં કવિતા રચવા માટે સ્પર્ધકને પ્રશ્ન પૂછી શકે છે.

અહીં પડકાર એ છે કે તેણે રચેલી પંક્તિ અને તેનો પ્રશ્ન અનુસાર ક્રમ યાદ રાખી અંતમાં આખી કવિતા રજૂ કરવાની હોય છે, જેને ‘ધારણા’ કહે છે. વળી, આ આખી પ્રક્રિયા દરમિયાન કેટલાક પૃચ્છકો એવા પણ નીમવામાં આવ્યા હોય છે જે સ્પર્ધકનું ધ્યાનભંગ કરવા માટે કેટલાક અપ્રસ્તુત પ્રશ્નો પૂછતા હોય છે. આ પ્રશ્નોના સ્પર્ધક કેટલી કુશળતા અને ચતુરાઈથી ઉત્તર આપે છે તેના પર તેની બુદ્ધિમત્તાને આંકવામાં આવતી હોય છે અને આ સાથે જ એક પૃચ્છક ઘંટ પણ વગાડતો હોય છે. આ તમામ પ્રક્રિયાની સાથે સ્પર્ધકે કેટલી વાર આ ઘંટ વગાડવામાં આવ્યો હતો તેની પણ ગણતરી મનમાં રાખવાની હોય છે. આમ, એકસાથે તમારું મન જુદા જુદા કામો કેટલું એકાગ્ર છે તેની ખરી કસોટી ‘અવધાનમ્’માં કરવામાં આવે છે. 

‘અવધાનમ્’ની પ્રક્રિયા અનેક દિવસો સુધી પણ ચાલી શકે છે.પૃચ્છકોની સંખ્યા જેમ વધુ તેમ ‘અવધાનમ્’ વધુ કઠિન બને છે. જો પૃચ્છકોની સંખ્યા આઠ હોય તો તેને ‘અષ્ટવધનમ્’, સો હોય તો ‘શતવધનમ્’ અને હજાર હોય તો ‘સહસ્રવધનમ્’ તરીકે ઓળખવામાં આવે છે. દરેક પૃચ્છકનું કામ નિશ્ચિત હોય છે અને એ પ્રમાણે આખા ‘અવધાનમ્’ની રચના કરવામાં આવી હોય છે. આ ઉપરાંત, કેટલાક ઓછા જાણીતા પણ રસપ્રદ ‘અવધાનમ્’ના પ્રકાર પણ જાણવા જેવા છે, જેમાં ‘ચિત્રવધનામ્’(ચિત્રોના ઉપયોગથી પ્રશ્નોત્તરી), ‘નૃત્યવધનામ્’(નૃત્યના માધ્યમથી પ્રશ્નોત્તરી), ‘ગણિતવધનમ્’(ગણિત આધારિત પ્રશ્નોત્તરી) અને ‘નેત્રવધનમ્’(આંખોથી પ્રશ્નોત્તરી)નો સમાવેશ થાય છે. 

અકબરના સમયમાં શરૂઆત

વાસ્તવમાં કળા અને જ્ઞાનના ફેલાવા માટે પ્રખ્યાત એવા અકબરના સમયથી સંસ્કૃત ભાષાના સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવવા માટે ‘અવધાનમ્’ની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કન્નડ અને તેલુગુ ભાષા સાથે સંકળાયેલા કવિઓએ આજ સુધી ‘અવધાનમ્’ને જીવંતરાખ્યું છે. સૌપ્રથમ ‘અવધાનમ્’ વર્ષ ૧૮૫૦માં માદાભુશી વેંકટાચાર્યના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યું હતું.લેખક આર. એકમ્બરાચાર્યાલુ પ્રમાણે વર્ષ ૧૮૩૫માં વેંકટાચાર્યએ ‘અષ્ટવધનમ્’(આઠ પૃચ્છક)અને ‘શતવધનમ્’(સો પૃચ્છક) માટેના નિયમો ઘડ્યા હતા. વેંકટાચાર્ય ફ્રેન્ચ અને લેટિન ઉપરાંત બીજી અન્ય આઠ ભાષાઓના પણ જાણકાર હતા અને તેમણે આ બધી જ ભાષાઓમાં ‘અવધાનમ્’ રજૂ કર્યું હતું. ત્યારબાદ ચેલૈલા વેંકટ શાસ્ત્રી અને દિવકાર્લા તિરૂપથી શાસ્ત્રીની જુગલબંધીએ ‘અવધાનમ્’ને ફરી જીવંત કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. તેમણે આંધ્રપ્રદેશમાં ફરી ‘અવધાનમ્’નો પુનરોદ્ધાર કર્યો. ૨૦મી સદીની શરૂઆતમાં આંધ્રપ્રદેશની શાળા અને કોલેજોમાં ‘અવધાનમ્’ને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અલબત્ત, તેના પદ્ધતિસરના અભ્યાસના અભાવે ‘અવધાનમ્’માં રસ લેતા લોકોનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું. આજે આંધ્રપ્રદેશમાં લગભગ ૪૦ જેટલા અવધાનીઓ છે, જેમણે આ વર્ષો જૂનો વારસો જાળવી રાખ્યો છે. 

સૌથી નાનો અવધાની

સૌથી નાની વય ધરાવતો અવધાની શ્રીકાંત
અન્ય બાળકોની જેમ જ શ્રીકાંત પણ એની શાળાના પહેલા દિવસે રડતો હતો અને ત્યારપછીના દિવસો દરમિયાન પણ તે રડતો જ રહ્યો. શાળાના આચાર્યએ જ્યારે આ વાત નોંધી ત્યારે એમણે શ્રીકાંતનેઆ માટેનું કારણ પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે તેણે ઘરે જવું છે, કારણ કે અહીં શાળામાં તે કશું જ નવું નથી શીખતો. આચાર્ય થોડાં અચકાયા અને તેમણે શ્રીકાંતને એક કાવ્ય પઠન કરવા કહ્યું અને તેમના આશ્ચર્યની વચ્ચે એકપણ ભૂલ વગર શ્રીકાંતે એ કવિતા ખૂબ સારી રીતે ગાઈ. આચાર્યને સમજાયું કે શ્રીકાંત એની ઉંમરના બાળકો કરતાં વધુ જિજ્ઞાસુ અને હોંશિયાર છે. આજે આ જ બાળકે માત્ર ૧૫ વર્ષની ઉંમરે સૌથી યુવાન ‘અવધાની’નું બિરૂદ મેળવીને તેના માતા-પિતા અને શિક્ષકોને ગર્વ અપાવ્યું છે. જ્યારે બીજી બાજુ આશરે જિંદગીના છ દાયકા પસાર કરી ચૂકેલા ડો. મેદસાની મોહન સૌથી લાંબી ‘અવધાનમ્’ની કસોટીમાંથી પસાર થયા હતા. તેઓ૧૮મી ફેબ્રુઆરીથી ૨૦મી માર્ચ સુધી ‘અવધાનમ્’ની આખી પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા અને તેથી જ તેમને ‘અપૂર્વ પંચ સહસ્રવધનમ્ સર્વભૌમા’ના બિરૂદથી નવાજવામાં આવ્યા હતા. ડો. મોહનની આ અનોખી સિદ્ધિને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ્માં સમાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત સૌથી વૃદ્ધ જીવીત અવધાની સી.વી. સુબન્ના છે, જેમની ઉંમર લગભગ ૮૪ વર્ષની છે અને હાલમાં આંધ્રપ્રદેશના પ્રોદુત્તુર શહેરમાં જીવનના અંતિમ દિવસો ગાળી રહ્યા છે.

12મી નવેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "કલ્ચર ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.

Monday, November 11, 2013

વિશ્વની દમદાર મહિલાઓના અવાજોનો પડઘો ઝીલાયો



સમયઃ ડિસેમ્બર, ૨૦૧૨, સ્થળઃ દિલ્હી

અંધારી રાતે એક બસમાં એક મેડિકલ સ્ટુડન્ટ સાથે ક્રૂરતાપૂર્વક અમાનવીય વર્તન આચરવામાં આવે છે અને તેના મિત્રને પણ ઢોર માર મારવામાં આવે છે. છોકરીની સ્થિતિ એટલી ગંભીર થાય છે કે આ ઘટનાના થોડા દિવસ સુધી તો તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હોય છે અને અંતે તેનું કરૂણ મોત થાય છે. આ વાત હવે લગભગ એક વર્ષ જેટલી ‘જૂની’ થઈ ગઈ છે અને આપણે પણ આવી ઘટનાઓથી ઘણાંખરાં અંશે ટેવાઈ ચૂક્યા છીએ, પણ ત્યારે જ પ્રશ્ન થાય કે આપણા જીવનમાં ક્યારેક આ સ્થિતિ સર્જાશે ત્યારે પણ શું આપણો આ સમાજ મીણબત્તીકૂચ કરીને તથા ન્યૂઝ ચેનલો એક બે ડિબેટનું સંચાલન કરીને નવી ‘મેટર’ની શોધમાં પડી જશે કે પછી આપણને ન્યાય આપવા કોઈ ‘કૃષ્ણ’ અવતારની રાહ જોવી પડશે?

અને આ સ્થિતિ ભારત જેવા એશિયાના માત્ર પછાત દેશોની નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ કંઈક અંશે અસલામતી અનુભવતી હોય છે. આજે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી મહિલાઓ અવકાશ સુધી પહોંચી ગઈ છે, ત્યારે હજીય સ્ત્રીની ક્ષમતા અને બુદ્ધિશક્તિને પુરુષો સાથે સરખાવવામાં આવે છે અને તેની સાથે જ જાતીય ભેદભાવોનું પ્રમાણ વધે છે. આથી જ બ્રિટનના સૌથી મોટા બ્રોડકાસ્ટિંગ હાઉસ ‘બીબીસી’એ એક અનોખા પ્રોગ્રામની શરૂઆત કરી, જે ‘૧૦૦ વુમન સિઝન’ના નામથી ઓળખાયો. આ પ્રોગ્રામનો હેતુ સ્ત્રીઓને એકબીજાના વિચારો અને સમજની આપ-લે કરવા પૂરતો સમય અને અવકાશ આપવાનો હતો. વાસ્તવમાં બીબીસીએ ૭ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ ‘૧૦૦ વુમન સિઝન’ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો અને તેની પૂર્ણાહુતિના ભાગરૂપે ૨૫મી ઓક્ટોબરે બીબીસીના લંડન હેડક્વોટર્સ ખાતે એક કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં દુનિયાની ૭૦ દેશોની ૧૦૦ સર્વશ્રેષ્ઠ મહિલાઓએ ડિબેટ તથા ઓપન ડિસ્કસન કર્યું હતું. 

આ મહિલાઓની પસંદગી તેમની લોકપ્રિયતાને આધારે ન કરતાં જીવનમાં વાસ્તવિક અનુભવોને વધુ પ્રાધાન્ય આપીને કરવામાં આવી હતી, જેમાંરાજકરણી, વકીલ, બિઝનેસવુમન, સામાજિક કાર્યકરો, લેખિકાઓ, સંગીતકાર, એક્ટર્સ, સ્પોર્ટ્સપર્સન અને કોમેડિયનોનો પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. વળી, આ કોન્ફરન્સમાં કેનિયાની ૨૦ વર્ષની એક યુવાન મહિલા જોઈસ ઓકા અરુગા જેવા તદ્દન નવા ચહેરાને પણ સ્થાન અપાયું હતું. વાસ્તવમાં જોઈસે તેના પિતાના મૃત્યુ બાદ તેના ભાઈ-બહેનોને ઉછેરવા માટે ઘરકામ કરવા જવું પડતું હતું અને તેને લીધે તેણે અભ્યાસ પણ છોડવો પડ્યો હતો. જોકે બીબીસીની આ પહેલથી તેને શૈક્ષણિક તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રકારની અનેક મહિલાઓ પોતાના સ્વનિરીક્ષણ માટે તથા દુનિયાભરના કેટલાક ચિંતાજનક મુદ્દાઓ વિશે વાતચીત કરવા બીબીસીના આ મંચ પર હાજર થઈ હતી. 

કોન્ફરન્સની શરૂઆત મલાલા યુસુફઝાઈ પર ફિલ્માવાયેલી એક ડોક્યુમેન્ટરીથી કરવામાં આવી હતી. કોન્ફરન્સને શરૂ કરતાં ફિયોના ક્રેકે જણાવ્યું હતું કે, “આ આખા પ્રોજેક્ટનું મૂળ ભારતમાં છે. નવી દિલ્હીની ઘટના પછી સ્ત્રીઓના હકોને લઈને એક નવી ડિબેટની શરૂઆત થઈ.”આ આખી કોન્ફરન્સ મુખ્ય ચાર ડિબેટની એક થીમ પર યોજવામાં આવી હતી. પહેલી ડિબેટ આપણી આસપાસ રોજિંદા જીવનમાં ઘટી રહેલી ઘટનાઓ તથા મુખ્ય સમાચારોને આધારિત રાખવામાં આવી હતી, જેને ‘ન્યુઝ ઓફ ધ ડે’નામ આપવામાં આવ્યું હતું. આ ડિબેટમાં ૧૦૦ મહિલાઓએ ત્રણ વિષયો જેવા કે, ફોન ટેપિંગ, સીરિયાની કટોકટી અને તેની મહિલાઓ પર અસર તથાવણઝારા સમાજ પ્રત્યે દાખવાતા ભેદભાવને પ્રાધાન્ય આપ્યું હતું. બીજી ડિબેટનું ‘ધ બિગ આઈડિયા’ તરીકે સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં છ મહિલાઓએ સ્ત્રીઓ કઈ રીતે પોતાના જીવનધોરણને સુધારી શકે એ વિશે કેટલાક મહત્ત્વના મુદ્દાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું. આ ડિબેટમાં સેન્ટ્રલ અમેરિકાના ગૌટમાલા શહેરની એટર્ની જનરલ ક્લોડિયા પેઝ-ઈ-પેઝ એ ઘરેલું હિંસા આચરનારાઓ માટે કાયદાકીય પ્રક્રિયા વધુ સખત કરવાની ભલામણ કરી હતી અને ત્યાં ઉપસ્થિત ૨૪ ટકા જેટલી સ્ત્રીઓએ આ વાત માટે સમર્થન આપ્યું હતું. આ ડિબેટમાં બ્રિટનની એક વકીલ, અફઘાનિસ્તાનની ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર, ઓપન સોસાયટી ફાઉન્ડેશનની સિનિયર એડવાયઝર, ટીવી પ્રેઝન્ટેટર તથા લેખિકા અને સામાજિક કાર્યકરે પણ અલગ અલગ વિષયોને આવરી લઈ અર્થપૂર્ણ ડિબેટ કરી હતી. 

કોન્ફરન્સની ત્રીજી ડિબેટ થીમમાં મહિલાઓને એક રસપ્રદ વિષય આપવામાં આવ્યો હતો, જે પૈકી ચાર મહિલાઓ જુદા જુદા ધર્મ સાથે સંકળાયેલી હતી, જ્યારે એક મહિલા સ્ટેન્ડ અપ કોમેડિયન કે જે નાસ્તિકવાદમાં માનનારી હતી તેમની વચ્ચે એક દમદાર ડિબેટ યોજવામાં આવી હતી. બ્રિટનની સ્ટેન્ડ અપ કોમેડિયન કેટ સ્મુર્થવાઈટનું માનવું છે કેદરેક ધર્મના ઈતિહાસમાં ક્યાંક ને ક્યાંકસ્ત્રીઓ પ્રત્યે ઊંડો દ્વેષભાવ સીધી કે આડકતરી રીતે રાખવામાં આવ્યો છે. સ્ત્રીનું માન સન્માન દુભાયુ હોય એવા ઘણાં કિસ્સાઓ દુનિયાના વિવિધ ધર્મના પવિત્ર ગ્રંથોમાં પણ પંકાયેલા છે અને તેને આધારે કેટ સ્મુર્થવાઈટે ‘શું વિશ્વાસ અને નારીવાદ સહઅસ્તિત્વ ધરાવે છે?’ના વિષય આધારિત કેટલાક મહત્ત્વના મુદ્દા લોકો સમક્ષ મૂક્યા હતા. તેની સામે રોઝ નામની મહિલા પાદરીએ પોતાના અનુભવોને આધારે જ કેટના ચર્ચાયેલા મુદ્દાઓનો જવાબ આપવા કહ્યું હતું કે, “આત્મવિશ્વાસ એ કોઈપણ સ્ત્રીને સ્વતંત્રતા અપાવે છે. અલબત્ત, તેના વિશ્વાસમાં ક્યારેક અન્ય સ્ત્રી પ્રત્યેની દ્વેષ ભાવના આડે આવી જતી હોય છે, પણ એ સમગ્ર રીતે સ્ત્રીને વ્યાખ્યાયિત કરતી નથી.” રોઝ ઈશ્વરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને તેમના કહેવા પ્રમાણે તેમણે ઈશ્વરને અનુભવ્યા છે અને આજે તેમનું અસ્તિત્વને તેમને જ આભારી છે. આથી દુનિયામાં પુરુષોનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ સ્ત્રીઓનું પણ છે અને તેથી જ આત્મવિશ્વાસ અને નારીવાદ સહઅસ્તિત્વ ધરાવે છે. રોઝના આ વિચારોને ત્યાં બેઠેલી મહિલાઓ પૈકી ૭૮ ટકા મહિલાઓએ સહકાર આપ્યો હતો. આ ઉપરાંત અન્ય એક મહિલા પાદરીએ ચર્ચમાં ચાલતી પેઢી દર પેઢીની શાસન વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટેના પોતાના પ્રયત્નો વિશે પણ લોકોને જણાવ્યું હતું. આ કોન્ફરન્સની ડિબેટનો ચોથો થીમ સ્ત્રીના માતૃત્વને આધારે રાખવામાં આવ્યો હતો. માતૃત્વ એ કોઈપણ સ્ત્રી માટે એક આશીર્વાદ સમાન બાબત છે, પણ શું એ જ આશીર્વાદ સ્ત્રીને પુરુષ સમોવડી થવામાં અવરોધરૂપ બને છે? આ વિષય આધારિત પણ એક ખાસ ડિબેટ યોજવામાં આવી હતી. આ સમગ્ર ડિબેટમાં કોલમ્બિયન રાજકરણી ઈન્ગ્રીડ બેટનકોર્ટે પોતાના અનુભવોને વાગોળીને ત્યાં ઉપસ્થિત સૌને લાગણીશીલ કરી મૂક્યા હતા. ઈન્ગ્રીડ તેના બાળકોના બાળપણના ઘણાં વર્ષો સુધી એમનાથી દૂર રહી હતી. જંગલમાં ગેરિલાઓ (નાનાં નાનાં અલગ અલગ જૂથોએ છૂપાઈને અનિયમિતપણે ચલાવેલા યુદ્ધનો સિપાઇઓ)એ તેમનું અપહરણ કરી વર્ષો સુધી પોતાના ઘર-પરિવારથી દૂર રાખ્યા હતા અને તેને કારણે જ ઈન્ગ્રીડ પોતાના બાળકોના મહત્ત્વના દિવસોમાં તેમની સાથે રહી શક્યા નહોતા. ઈન્ગ્રીડના મત પ્રમાણે માતૃત્વ એ દરેક સ્ત્રીના સર્વશ્રેષ્ઠ પાસાંઓને બહાર લાવે છે અને તેથી જ તેનું મહત્ત્વ ઘણું વધારે આંકવામાં આવે છે. વળી, બ્રિટનની પોલિટિકલ એક્ટિવિસ્ટે ડેબોરાહ હોપકિન્સે માતૃત્વની ડિબેટમાં સિંગલ પેરેન્ટના મુદ્દાને મહત્ત્વ આપ્યું હતું. 

આ ઉપરાંત, ‘યુરોપિયન બેન્ક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવેલોપમેન્ટ’ના ચીફ કાઉન્સેલર મિશેલા બર્ગમેને આજની મહિલાઓને કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ દ્વારા થતી સમસ્યાઓને વર્ણવતાં કહ્યું હતું કે, “આજની મહિલાઓ માટે માત્ર ‘ગ્લાસ સિલિંગ’ જ નહીં, પણ આજુબાજુ ગ્લાસ વોલ પણ બની રહી છે.” વાસ્તવમાં ‘ગ્લાસ સિલિંગ’એ એક રાજકીય શબ્દ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ અને અનેક અલ્પસંખ્યકો માટે કોર્પોરેટ વિશ્વમાં તેમના ભણતર અને અનુભવોની અવગણના કરીને આગળ પ્રગતિ સાધવા માટે કેટલાક અવરોધ ઊભા કરવામાં આવતા હોય છે, જેને ‘ગ્લાસ સિલિંગ’ તરીકે ઓળખાય છે, પરંતુ મિશેલા પ્રમાણે તો આ અવરોધકો હવે એટલા વધી ગયા છે કે તેઓ લગભગ બધી જ બાજુએથી ઘેરાઈ ચુક્યા છે. આથી સ્ત્રીઓ પોતાની કારકિર્દીમાં ઊંચાઈઓ સર કરી શકતી નથી.

આ આખી કોન્ફરન્સનો હેતુ વિશ્વભરની મહિલાઓને રોજીંદા જીવનમાં ભોગવવી પડતી યાતનાઓથી મુક્ત કરવા તથા કેટલાક વાસ્તવિક કિસ્સાઓના આધારે પોતાના જીવનની નવી શરૂઆત કરવા પ્રેરક બળ પૂરું પાડવાનો હતો અને તેથી જ બહુ જાણીતી અને ચર્ચિત મહિલાઓને આ કોન્ફરન્સમાં સ્થાન આપવાને બદલે સામાન્ય હોદ્દાઓ પર વર્ષોથી કામગીરી બજાવતી કે પછી જીવનના કપરા સમયમાં પોતાની મર્યાદા કરતાં વધુ સંયમ અને હિંમત દાખવનારી મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી.

 બીબીસીની સિનિયર એડિટર રૂપા અને હોસ્ટ રૂપા ઝા
ભારતની મહિલાઓનો પણ સમાવેશ કરાયો

બીબીસીની આ ‘૧૦૦ વુમન સિઝન’ કોન્ફરન્સમાં ભારતની ત્રણ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રસિદ્ધ કોમેડિયન અદિતી મિત્તલ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર દિવ્યા શર્મા તથા અન્ય એક એન્જિનિયર આઈરિના ચક્રબોર્તીનો પણ સમાવેશ કરવામાં આવ્યોહતો. આઈરિના ચક્રબોર્તીએ આ કોન્ફરન્સમાં મહિલાઓની સ્થિતિ વર્ણવતા કહ્યું હતું કે, “ભારતમાં યુવતીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવું ઘણું મુશ્કેલ છે, કારણ કે તેમના જ્ઞાનને પ્રેક્ટિકલ ફિલ્ડમાં ઉપયોગમાં લેવાને બદલે બાળકોના હોમવર્કમાં ઉપયોગ કરવામાં આવે છે.” સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે આ આખા કાર્યક્રમનુંસંચાલન કરનાર બીબીસીની સિનિયર એડિટર રૂપા ઝા પણ એક ભારતીય મહિલા જ છે અને તેમણે કોન્ફરન્સમાં આવેલી મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે “અમે દુનિયાની ખૂબ શક્તિશાળી ૧૦૦ મહિલાઓને ભેગી કરવા ઈચ્છતા નહોતા. અહીં ઉપસ્થિત મહિલાઓ એવી છે, જેમણે તેમની મર્યાદાની સીમાને વિસ્તારીને દુનિયાભરની મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું છે.”


12 નવેમ્બર, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.