Monday, June 23, 2014

વિશ્વનું હાથેથી લખાતું એકમાત્ર ન્યૂઝપેપર

સંપાદક સૈયદ આરિફુલ્લાહ 'ધ મુસલમાન' સાથે 
આજે ટેકનોલોજીના સહારે માનવીની વૈચારિક પ્રગતિ તો સારા પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ એ સાથે જ તેની લાગણીશીલતા તથા ભાવનાત્મક પ્રગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ન્યૂઝપેપરમાં છપાતા બળાત્કાર, મૃત્યુ, લૂંટફાટ યુદ્ધોના કિસ્સા સામાન્ય બનતા જાય છે, કારણે કે એ વાંચનાર આ તમામ સમાચારોથી ટેવાઈ ગયો છે અને સાથે જ જ્યાંથી તે આ માહિતી મેળવે છે તે ન્યૂઝપેપરના કાળા અક્ષરોમાં કોઈ લાગણી કે દેખીતો ભાવ તે અનુભવી શકતો નથી. ન્યૂઝ પેપરોના આ કાળા અક્ષરોએ નિષ્ઠુરતા તો લાવી જ છે, પણ સાથે ન્યૂઝપેપરની મહત્તા પણ મહદ અંશે ઘટાડી દીધી છે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે ભારતના એક ખૂણામાં આજે પણ હાથેથી લખાયેલું એક ન્યૂઝપેપર પ્રિન્ટેડ ન્યૂઝપેપરની આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા વર્ષોથી પ્રયત્નો કરી રહ્યું છે!

‘ધ મુસલમાન’ને કદાચ દુનિયાનું એકમાત્ર અને છેલ્લું દૈનિક સમાચારપત્ર ગણાવી શકાય, જે હાથેથી લખાય છે! વળી, રસપ્રદ વાત તો એ છે કે તે ઉર્દૂ ભાષામાં લખાય છે અને તેના માટે ખાસ કેલિગ્રાફર્સ(સુંદર અક્ષરે લખનાર) રોકવામાં આવ્યા છે. આ કેલિગ્રાફર્સ ‘કાતિબ’ તરીકે જાણીતા છે. આજે જ્યારે કમ્પ્યુટરે આપણું તમામ કાર્ય તદ્દન સરળ બનાવી દીધું છે ત્યારે હાથેથી લખાતા આ ન્યૂઝપેપરને ચલાવવું પણ એક હિંમતનું કામ છે અને આ કાર્ય તેના સંપાદક સૈયદ આરિફુલ્લાહ કરી રહ્યા છે. વાસ્તવમાં વર્ષ ૧૯૨૭માં આરિફુલ્લાહના દાદા સૈયદ અઝમાતુલ્લાહ એ આ દૈનિક સમાચારપત્રકની શરૂઆત કરી હતી. તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ સેશનના પ્રેસિડન્ટ ડો. મુખ્તાર અહેમદ અંસારીએ આ સમાચારપત્રકનું લોકાર્પણ કર્યું હતું. ચેન્નઈમાં શરૂ થયેલું આ ઉર્દૂભાષી ન્યૂઝપેપર તેના કાતિબોના હાથેથી લખાયેલા લેખો માટે ઘણું જાણીતું હતું. સૈયદ અઝમાતુલ્લાના મૃત્યુ બાદ તેમના પુત્ર સૈયદ ફૈઝુલ્લાહે આ જવાબદારી સંભાળી અને ઉર્દૂ હસ્તાક્ષરી(કેલિગ્રાફી) માટે જાણીતા તેમના સમાચારપત્રની પ્રથા જાળવી રાખવાની કામગીરીમાં પોતાનું સમગ્ર જીવન લગાવ્યું. 

‘ધ મુસલમાન’ ચાર પાનાનું દૈનિક અખબાર છે, જે સાંજે પ્રસિદ્ધ થાય છે. તેના પહેલાં પાના પર સ્થાનિક અને રાષ્ટ્રીય સમાચારો, બીજા પાના પર આંતરરાષ્ટ્રીય સમાચારની સાથે એડિટોરિયલ લેખો, ત્રીજા પાના પર હદીથ (ધાર્મિક પરંપરાને લગતી માહિતી), કુરાનમાંથી કેટલાક અવતરણો તથા રમતગમતના સમાચારો અને ચોથા પાના પર જુદા-જુદા ક્ષેત્રને આવરી લેતા નાના-મોટા લેખોની સાથે સ્થાનિક સમાચારોનો પણ સમાવેશ કરવામાં આવતો. સમગ્ર પેપર તૈયાર થતું હોય ત્યારે તેના પહેલાં પાના પર થોડીક જગ્યા બાકી રાખવામાં આવતી, જેથી ક્યારેક કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવે તો તરત તેમાં સમાવી શકાય. શરૂઆતથી લઈને આજ સુધી આ સમાચારપત્રક ૮૦૦ સ્ક્વેર ફૂટની એક નાનકડી ઓફિસમાં એ.સી. વગેરે જેવી કોઈ પણ આધુનિક સુવિધા વિના ચલાવવામાં આવે છે. ‘ધ મુસલમાન’ વિશે માહિતી આપતાં આરિફુલ્લાહ જણાવે છે કે, “અમે છેલ્લા ૮૭ વર્ષથી આ પરંપરાને જાળવી રહ્યા છીએ. મારી કારકિર્દીના શરૂઆતના ત્રણ વર્ષ અહીં કામ કર્યા પછી જ મેં નિશ્ચય કરી દીધો હતો કે હું મારું સમગ્ર જીવન ‘ધ મુસલમાન’ને આપીશ.”

'ધ મુસલમાન'માં હાથેથી ઉર્દૂ કેલિગ્રાફી લખતાં કાતિબો
આ દૈનિક સમાચારપત્રકમાં કાર્ય કરતાં કર્મચારીઓ માને છે કે આ સમાચારપત્રક તેમની વર્ષો જૂની કળાને જીવંત રાખવામાં ઘણો મહત્ત્વનો ફાળો ભજવી રહ્યું છે અને તેમનું આ દૈનિકપત્ર માટેનું યોગદાન માત્ર એ પરંપરાની જ જાળવણી નહીં, પરંતુ ઉર્દૂ ભાષાની પણ જાળવણી કરી રહ્યું છે. આ સમાચારપત્રની ઓફિસમાં એક પુરુષ અને બે મહિલાઓ કેલિગ્રાફર્સ એટલે કાતિબ તરીકે કાર્ય કરે છે. આ દરેક કાતિબને એક-એક પાનું હાથેથી લખતાં ત્રણ કલાક જેટલો સમય લાગતો હોય છે. આ માટે ખાસ તાલીમબદ્ધ કાતિબોની જરૂર હોય છે, કારણ સમગ્ર પેપર હાથેથી લખાતું હોવાથી કોઈ પણ પ્રકારની ભૂલ જે-તે પાનાને ફરીથી લખવા આમંત્રણ નોતરે છે. જ્યારે આ આખું પેપર લખાઈને તૈયાર થઈ જાય ત્યારે તેની ફોટો નેગેટિવ તૈયાર કરી પ્રિન્ટિંગમાં મોકલવામાં આવે છે. 

આ સમાચારપત્રકમાં મુખ્ય કાતિબ(કોપીરાઈટર) તરીકે કાર્ય કરતાં રહેમાન હુસૈની વર્ષોથી તેની સાથે સંકળાયેલા છે. જોકે, તેમણે એકાઉન્ટન્ટ તરીકે ‘ધ મુસલમાન’માં પોતાની નોકરીની શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે ઉર્દૂ હસ્તાક્ષરી શીખી, તેમાં નિપુણતા કેળવી આજે મુખ્ય કેલિગ્રાફર તરીકે મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યા છે. તેઓ કહે છે કે, “અમારી ઉર્દૂ ભાષાની જાણકારીને કારણે આજે અમારું લોકો સન્માન કરે છે અને એટલે જ હું જીવનપર્યંત આ દૈનિક સાથે સંકળાયેલો રહીશ.” આ સિવાય તેમના રિપોટર્સ દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ જેવા રાજ્યોમાં પણ ફેલાયેલા છે. આ તમામ રિપોટર્સ તેમના લેખો ફેક્સની મદદથી કે પછી ફોન દ્વારા અહીંના કેલિગ્રાફર્સને મોકલી આપતા હોય છે. 

આ પેપરનો નફો જોવા જઈએ તો તદ્દન નજીવો છે. કાતિબો કંઈ ખાસ કમાઈ શકતા નથી. વર્ષ ૨૦૦૮ સુધી તો મુખ્ય કાતિબ રહેમાનને મહિને માત્ર રૂપિયા ૨,૫૦૦ મળતા હતા તથા અન્ય બે મહિલા કાતિબ શબાના અને ખુર્શીદને એક દિવસના રૂ. ૬૦ લેખે પગાર ચૂકવવામાં આવતો હતો. જોકે, તમામ કાતિબો માટે વળતર કરતાં વધુ મહત્ત્વનો તેમના હાથેથી લખાતા કેલિગ્રાફીનો આનંદ છે. તેઓ સમાચારપત્રક માટે આવતી જાહેરાતમાં પણ ઉર્દૂ કેલિગ્રાફીનો જ ઉપયોગ કરે છે. સામાન્ય રીતે અખબારમાં જાહેરાત માટે સરકાર તરફથી કેટલીક જાહેરખબરો આપવામાં આવતી હોય છે, પંરતુ સંપાદક આરિફુલ્લાહ જણાવે છે કે, રાજ્ય સરકાર તરફથી તેમના આ દૈનિક માટે ખાસ કોઈ જાહેરખબર પૂરી પાડવામાં આવતી નથી. અલબત્ત, ઘણીવાર જાણીતા કવિ, ધાર્મિક વડા કે નેતાઓ પેપરની ઓફિસે આવી તેમાં પોતાનું યોગદાન આપી જતાં હોય છે, જેથી તેની મહત્તામાં વધારો થાય છે. ૭૫ પૈસામાં વેચાતા આ ન્યૂઝપેપરના લગભગ ૨૨,૦૦૦ જેટલા ગ્રાહકો છે. 

સામાન્ય રીતે આપણે દેશની સંસ્કૃતિ અને ભવ્ય ઈતિહાસને વાગોળીને તેના ભૂતકાળના દિવસોમાં રાચતા હોઈએ છીએ. ભવ્ય ભૂતકાળથી આંખોને આંજી તેનું ગૌરવ લેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે તેની જ જાળવણી અને સંરક્ષણ વિશે પોતાના યોગદાન તરફ નજર કરીએ ત્યારે આપણી વ્યવહારુતા તે માર્ગ આડે આવતી હોય છે. આજના સમયમાં જૂની પ્રથાને વળગી નવી ટેકનોલોજીનો શ્વાસ રૂંધવો એ તદ્દન રૂઢિવાદી વિચારસરણી છે, પરંતુ નવી ટેકનોલોજીના સહારે વર્ષો જૂની પરંપરાની અવગણના કરવી તેને નિશ્ચિતપણે ગેરવાજબી વલણ ગણાવી શકાય. ભૂતકાળની સંસ્કૃતિ અને વર્તમાનની ટેકનોલોજીના પલ્લાનું સમતોલન સાધીશું તો જ પ્રગતિ સ્થિર અને કાયમી રહી શકશે. 


કેલિગ્રાફીની પરંપરા

‘ધ મુસલમાન’ દૈનિકની ખાસિયત તેનું હાથેથી લખાતું લખાણ છે, પણ એક વધુ વિશેષતા ગણાવીએ તો આ સમગ્ર સમાચારપત્રક ઉર્દૂ હસ્તાક્ષરી(કેલિગ્રાફી)માં લખાય છે. ભારતમાં ઉર્દૂ કેલિગ્રાફીની શરૂઆત વર્ષ ૧૮૩૬માં થઈ હતી અને આ જ વર્ષે સૌપ્રથમ ઉર્દૂ પણ ન્યૂઝપેપર બહાર પડ્યું હતું. આ પહેલા પર્શિયન હસ્તાક્ષરી પ્રસિદ્ધ હતી. જોકે, વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં ઉર્દૂ હસ્તાક્ષરીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો હતો. તે સમયે કુરાન લખવા માટે પણ આ જ હસ્તાક્ષરીનો ઉપયોગ થતો. પરંતુ સમય સાથે, ટેકનોલોજીના વિકાસથી હસ્તાક્ષરીની પ્રથા ઘટતી ગઈ. એક સમયે ઉર્દૂ કેલિગ્રાફી લખતાં કલાકારોના જૂથ એટલે કે કાતિબો પાસે આમંત્રણ પત્રિકા અથવા તો નોંધ લખાવવા માટે લોકોની લાંબી કતાર લાગતી હતી અને આ આજે આ હસ્તાક્ષરીમાં નિપુણ એવા કાતિબોની સંખ્યા જ જૂજ માત્રામાં મળી આવે છે! જોકે, ‘ધ મુસલમાન’ દૈનિકના સંપાદક આરિફુલ્લાહ માટે ઉર્દૂ હસ્તાક્ષરીનું મહત્ત્વ ઘણું વધારે છે. આજના ડિજીટલ યુગમાં પણ હાથેથી લખાતાં પેપરને પ્રસિદ્ધ કરવા પાછળનો તેમનો હેતુ જણાવતા તેઓ કહે છે કે, “ ‘ધ મુસલમાન’એ સંપૂર્ણપણે ઉર્દૂ હસ્તાક્ષરી પર નિર્ભર કરતું દૈનિક છે અને પ્રત્યેક વ્યક્તિ એની હસ્તાક્ષરીથી આકર્ષિત થાય છે. જો અમે પણ કમ્પ્યુટરનો જ ઉપયોગ શરૂ કરી દઈશું, તો પછી અમારા અને બીજા પેપરમાં તફાવત શું રહેશે?” આ સાથે જ તેઓ ઉમેરે છે કે, “કેલિગ્રાફી એ અમારા દૈનિકનું હાર્દ છે. જો તમે અમારા હૃદયને જ બહાર કાઢવા કહેશો તો પછી ‘ધ મુસલમાન’માં બીજું કશું જ બાકી નહીં રહે.”

Tuesday, June 3, 2014

પરંપરા સામે જીવદયાની મહત્તા કેટલી?

 
તમને એક ગોળાકાર સીમામાં છૂટા મૂકીને ‘બાંધી’ દેવામાં આવે છે અને આજુબાજુ હજારોની સંખ્યામાં લોકોની ચિચિયારી તમને સંભળાઈ રહી છે. તમને માન, પ્રતિષ્ઠાના દબાણ હેઠળ એ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બપોરની ગરમી અસહ્ય થઈ રહી છે અને એવામાં તમને હરાવવા એક સ્પર્ધકને મેદાનમાં ઉતારવામાં આવે છે. તમારો ડર, ગભરાટ અને અસંમજસ કોઈ જોઈ શકતું નથી, પરંતુ હવે માહોલ એવો જામી ચૂક્યો છે કે જો તમે સ્વબચાવ ન કરો તો તમારો જ સ્પર્ધક તમને હાનિ પહોંચાડી શકે એટલો હિંસક બની શકે છે અને માટે તમે લડાઈ શરૂ કરો છો. હાર-જીત કરતાં તમને થયેલી શારીરિક અને માનસિક યાતના અશાબ્દિક થઈ રહે છે અને તમારી હાર-જીતને આધારે ઈનામોના વિતરણને મૂંગે મોઢે તમે નિહાળી રહ્યા છો. શું તમે દયનીય અને નિઃસહાયની લાગણી અનુભવી રહ્યા છો? જો હા, તો આ જ દૃષ્ટાંતમાં પોતાની જગ્યાએ એક મૂંગા પ્રાણીને કલ્પી જુઓ, સ્થિતિ કદાચ વધુ દયનીય અને કરૂણ લાગશે!

આ વાત છે હાલમાં જ પ્રતિબંધિત થયેલી તમિલનાડુની ‘જલ્લીકટ્ટુ’ રમતની, જે સામાન્ય રીતે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ તહેવાર પોંગલમાં જોરશોરથી ઉજવવામાં આવે છે. જલ્લીકટ્ટુ શબ્દ તમિલ શબ્દ ‘સલ્લી કાસુ’(સિક્કા) અને ‘કટ્ટુ’(પેકેજ) પરથી ઉપજાવવામાં આવ્યો છે. પહેલાના સમયમાં આખલાના શિંગડા પર સોના કે ચાંદીના સિક્કા બાંધવામાં આવતા હતા. જે સ્પર્ધક પોતાના બળથી આ સિક્કા મેળવવામાં સફળ રહેતું તેને આ સિક્કા ઈનામરૂપે મળતા. ‘જલ્લીકટ્ટુ’ રમતમાં એક નિશ્ચિત, સીમિત વિસ્તારમાં આખલાને વળગીને પુરુષ કેટલો સમય તેની સામે બાથ ભીડી શકે અથવા તો તેના પર લટકીને અંતિમ સીમા સુધી પહોંચી શકે એ વાત મુખ્ય હોય છે. પહેલાના સમયમાં આ રમત ખાસ કરીને મહિલાઓ પોતાના જીવનસાથીની પસંદગી કરી શકે એ માટે રમાવામાં આવતી. આખલા પર પોતાનું સંતુલન જાળવી રાખવું એ જાણે પૌરુષત્વનું શ્રેષ્ઠ પ્રમાણ હોય એમ મહિલાઓ માટે પુરુષની પસંદગી થતી! અને તેથી જે પુરુષ સફળતાપૂર્વક આખલા પર પોતાનું સંતુલન જાળવી શકે એ મહિલાનો જીવનસાથી બને એવી પરંપરા હતી. જોકે, હવે સમય બદલાયો છે અને સાથે લોકોના વિચારો પણ બદલાયા છે, પણ આ રમતને પરંપરાનું નામ આપી હજુ સુધી તમિલનાડુમાં તેને બમણા ઉત્સાહથી રમવામાં આવી રહી હતી, જેના પર હવે તમિલનાડુની વડી અદાલતે પ્રતિબંધ મૂક્યો છે.

જલ્લીકટ્ટુની પરંપરા સાથે પોતાના પૂર્વજોની કથાઓને સાંકળી અહીંના લોકો આ રમતને શ્રદ્ધાની દૃષ્ટિથી જોતા આવ્યા છે. આખલાની આ રમત માટે ખાસ પુલીકુલમ અથવા જેલ્લીકુટ જાતિના આખલાનો ઉછેર કરવામાં આવે છે. આખલાઓને તંદુરસ્ત રાખવા માટેની તમામ કાળજી તેના માલિકે રાખવાની હોય છે. લગભગ એક દિવસના ૧૦૦ રૂપિયા લેખે તેનો ખર્ચ આવતો હોય છે, છતાં ‘જલ્લીકટ્ટુ’ની ઉત્સુકતાને કારણે લોકો હોંશેહોંશે આખલાની કાળજી લેતા હોય છે. જલ્લીકટ્ટુની તૈયારી ૬૦ દિવસ અગાઉથી શરૂ થઈ જાય છે અને આ માટે જે-તે વિસ્તારના પ્રત્યેક પરિવાર પાસેથી લગભગ હજાર રૂપિયા લેવામાં આવે છે. આખલા, તેની કાળજી રાખનાર વ્યક્તિ અને સ્પર્ધક માટે એક અઠવાડિયા સુધી દરરોજ ૪૦૦ કિલોગ્રામ જેટલો ભાત રાંધવામાં આવે છે, જેના કારણે એ રમત બરાબરીની થઈ શકે!


અમુક સેકન્ડના આ ખેલમાં આખલા અને માણસોના માથે ટોળાતા જીવના જોખમને હજારોની સંખ્યામાં લોકો ‘માણતા’ હોય છે. અલબત્ત, આ રમતમાં લોકો ગંભીર રીતે ઘવાતા હોય છે તો ક્યારેક જાનહાનિ પણ થતી હોય છે, છતાં દર વર્ષે તેની આતુરતાથી રાહ પણ જોવાતી હોય છે, પરંતુ જ્યારે તમિલનાડુની વડી અદાલતે આ રમત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો ત્યારે અહીંના લોકોએ તેનો ઘણો વિરોધ કરવાનો શરૂ કર્યો. કોર્ટે રજૂ કરેલા સંશોધન અનુસાર જલ્લીકટ્ટુની રમત દરમિયાન આખલાઓ ભય અને પીડાને કારણે ત્યાંથી બહાર નીકળવા માટે બેબાકળા બની જતાં હોય છે, પરંતુ તે વિસ્તાર ચારે બાજુથી ઘેરાયેલો હોવાથી આખલાઓએ ફરજિયાતપણે આ રમતનો હિસ્સો બનવું પડતું હોય છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી આ રમત આજના સમયમાં ખરેખર તો આખલાના ભય, તકલીફ અને પીડાની સામે મનુષ્યની પ્રતિક્રિયા દર્શાવતી એક રમત બની ચૂકી છે. જ્યારે કોર્ટના આ ચુકાદા સામે સ્થાનિક લોકોનું માનવું છે કે, આ દલીલો તદ્દન પાયા વિનાની છે. જો જલ્લીકટ્ટુની પ્રથા ના હોય તો આખલાની કેટલીક ખાસ જાતિનું અસ્તિત્વ જ ના રહે! તેઓનું માનવું છે કે જલ્લીકટ્ટુ માટે તૈયાર કરવામાં આવતા આખલાઓને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. આ રમત થકી તેમને હેરાનગતિ નહીં, પરંતુ સન્માનવામાં આવે છે.

અહીંના લોકો માટે આ રમતનું મહત્ત્વ એટલું છે કે તેઓ આખલાની પૂજા કરતાં હોય છે. આ વિશે તમિલનાડુના તિરુચિરાપલ્લી તાલુકાના એક ગામમાં ૫૩ વર્ષીય ચિન્ના કહે છે કે, “આ આખલાઓને કશું મેળવવા માટે તૈયાર કરવામાં આવતા નથી. તેઓ અમારા માટે દેવ સમાન છે અને જલ્લીકટ્ટુ માટે કુમકુમ તથા હળદરથી તેમનો ખાસ અભિષેક કરવામાં આવે છે.” આ બુઝુર્ગના ઘર પાસે ‘રામુ’ નામની એક પવિત્ર જગ્યા બનાવવામાં આવી છે. ચિન્નાના પિતા પાસે રામુ નામનો એક આખલા હતો અને તે તેની સમગ્ર ‘કારકિર્દી’ દરમિયાન હંમેશાં જલ્લીકટ્ટુની રમતમાં જીત્યો હતો. આથી તેને સન્માનપૂર્વક તેમના ઘર પાસે જ દાટવામાં આવ્યો હતો અને હવે તે એક પવિત્રધામ તરીકે પૂજાય છે! ચિન્ના ઉમેરે છે કે, “અમે આજે પણ રામુના એ જુસ્સાને પૂજીએ છીએ. અમે જે રીતે આ આખલાઓ સાથે સંકળાયેલા છે તે રીતે પ્રાણીઓના હકો માટે લડતાં કાર્યકર્તાઓ ક્યારેય પણ સંકળાઈ શકે એમ નથી.” તો બીજી બાજુ કેટલાક સ્થાનિકો એમ પણ માને છે કે જલ્લીકટ્ટુ તેમની છેલ્લી કેટલીક પેઢીઓથી ચાલી આવતી ગૌરવશાળી પ્રથા છે. આથી જો આ રમતને પ્રતિબંધિત કરવામાં આવે તો આખલાઓનો ઉછેર કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે કોર્ટના ચુકાદા બાદ જ કેટલાક લોકોએ તો પોતાના આખલાઓને ‘ઠેકાણે’ કરવાની કામગીરી પણ શરૂ કરવા માંડી છે. 

જ્યારે જલ્લીકટ્ટુ પર કોર્ટનો કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો ત્યારે આ આખલાઓની કિંમત લાખોમાં રહેતી હતી અને હવે એ જ આખલાઓને(મોટા ભાગના) કતલખાનામાં મોકલવામાં આવી રહ્યા છે! વર્ષો પહેલા પરંપરાગત રીતે આ રમત બે જાતિના લોકો વચ્ચે એક સેતુ પ્રસ્થાપિત કરવા માટે રમાતી હતી, પરંતુ હવે સમાજ બદલાઈ રહ્યો છે. આથી હજી પણ સંસ્કૃતિ, પરંપરા અને ધર્મના નામે કેટલીક બિનજરૂરી રમતો, ઉજવણી કરવી એ માત્ર અતાર્કિક જ નહીં, પરંતુ અનુચિત પણ છે. આશ્ચર્ય એ વાતનું પણ છે કે એકવીસમી સદીમાં સ્માર્ટ ફોન પર ‘ટેમ્પલ રન’ રમતું યુવાધન પણ વર્ષો જૂની કેટલીક બિનજરૂરી પરંપરાઓમાં રચ્યુંપચ્યું રહે છે. આ યુવાનોના સાથ અને સહકારથી જ હવે અહીંના લોકોએ તમિલનાડુની વડી અદાલતે આપેલા આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં લઈ જવાની તૈયારી શરૂ કરી છે.