Thursday, March 6, 2014

...તો રુક્મિણી પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા હોત



બે દિવસ પછી આવી રહેલા ‘વિશ્વ મહિલા દિન’ નિમિત્તે સ્ત્રીઓની ગરિમા જાળવવા અને દુનિયાભરમાં થતા મહિલાઓના શોષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દુનિયાભરના મહિલા સંગઠનોએ કમર કસી છે. વિવધ કાર્યક્રમ, વર્કશોપથી માંડીને પ્રવચનો અને સંમેલનોનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રસ્તાઓ પર, મોટા મોટા હોલમાં તથા ટીવી અને રેડિયોની વિવિધ ચેનલો પર કેટલીક ‘વીરાંગના’ઓનેય આમંત્રિત કરવામાં આવશે, જેથી આ દિવસે મહિલાઓ તેઓની સ્થિતિ અને અધિકારો અંગે જાગૃત થાય. અલબત્ત, આ તમામ માધ્યમો સંદેશો ફેલાવવા માટે ખૂબ જ અસરકારક છે, આમ છતાં ધીમી ‘ક્રાંતિ’ સર્જવા પુસ્તકો હંમેશાં એક મહત્ત્વનું માધ્યમબની રહે છે અને તેથી જ કોંગ્રેસના નેતા કરણ સિંઘે મહિલાઓને સંદેશો પહોંચાડવા પુસ્તકનું માધ્યમ પસંદ કર્યું છે. સિંઘે તેમના જીવન પર ઊંડી અસર છોડી જનાર કેટલીક મહિલાઓ વિશેનું સુંદર નિરૂપણ તેમના પુસ્તકમાં કર્યું છે.

મહિલા દિન નિમિત્તે આ પુસ્તક તમને કેટલીક ઉત્તમ સ્ત્રીઓની લેખક સાથેની મુલાકાતનો નિચોડ તો આપશે જ, પણ એ સાથે એક સ્ત્રીની હિંમત અને પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠાને પણ ઘણી સરળતાથી રજૂ કરે છે. કરણ સિંઘનેસામાન્ય રીતે આપણે રાજ્યસભાના સાંસદ તથા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેમના નવા પુસ્તક ‘મિટિંગ્સ વિથ રિમાર્કેબલ વિમેન’થી તેમની રાજકીય ઓળખ સિવાયની એક લેખક તરીકેની નવી જ છબી આપણી સમક્ષ ઉપસે છે. વાસ્તવમાં કરણ સિંઘ જમ્મુ અને કશ્મીરના છેલ્લા શાસક મહારાજા હરિસિંઘના પુત્ર છે. આથી તેઓબાળપણથી જ અનેક મહાન હસ્તીઓના પરિચયમાં આવ્યા હતા, જે પૈકી કેટલાક ઉત્તમ શાસક હતા, તો કેટલાક ઉત્તમ નેતા કે પછી ક્રાંતિકારી હતા. સાથે જે-તે ક્ષેત્રમાં અનેક શિખરો સર કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ તેમાં સામેલ હતી. આથી તેમની દીકરી જ્યોત્સનાની સલાહથી તેમણે પોતાના જીવનને સ્પર્શનાર કેટલીક મહિલાઓ પૈકીની ૨૭ જેટલી મહિલાઓ સાથેની પોતાની મુલાકાતને આ પુસ્તકમાં વર્ણવી છે. 

કરણ સિંઘે ઈન્દિરા ગાંધી, ગાયત્રી દેવી, રુક્મિણી દેવી અરૂંડેલ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, વિજયા લક્ષ્મી પંડિત, હેલન કેલર તથા તેમની(કરણ સિંઘ) માતા મહારાણી તારા દેવીનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. રાજઘરાનામાં જન્મ થયો હોવાથી ભાષાનીશુદ્ધિઅને સરળ લેખનશૈલી પુસ્તકને વધુ રોચક બનાવે છે. આ સાથે જ તેઓ સંસ્કૃત ભાષાના પણ વિદ્વાન છે. ૮૨ વર્ષના કરણ સિંઘ પ્રાચીન ભારતના રંગે જેટલા રંગાયા છે તેટલા જ આધુનિકતાનેય વરેલા છે. વળી, તેઓપરંપરા અને આધ્યાત્મિક સ્તરે ખૂબ જ વિસ્તૃત સમજ પણ ધરાવે છે. આથી જ તેમણે કરેલા મહિલાઓના આ આલેખનમાં મહિલાઓના વ્યવસાયિક ધોરણોને બદલે આધ્યાત્મિક દૃષ્ટિકોણને કેન્દ્રસ્થાનેરાખવામાં આવ્યો છે અને તેથી જ પુસ્તક એક રાજકીય મુદ્દો ન બનતા આ મહિલાઓની જીવનકથાને સરળ શબ્દોમાં રજૂ કરતું એક ઉત્તમ પ્રેરણાદાયી માધ્યમ બની રહે છે. તેમણે આ મહિલાઓ સાથેના પોતાના અનુભવોને અને તે સમયની ભારતની સ્થિતિને પુસ્તકમાં ખૂબ જ કુશળતાપૂર્વક સમાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી આ મહિલાઓની હજી સુધી અકથિત વાતોની સાથે ભારતના ઈતિહાસની થોડી ઝલક પણ આ પુસ્તકમાં મળે છે. 

કરણ સિંઘ પર તેમની માતાનો ઘણો પ્રભાવ રહ્યો હતો. આથી આ પુસ્તકના શરૂઆતના પ્રકરણોમાં તેમણે તેમની માતા મહારાણી તારા દેવી વિશે આલેખન કર્યું છે. તારા દેવી તેમના પતિ હરિ સિંઘ કરતાં ૨૫ જેટલા વર્ષ નાના હતા. કરણ સિંઘ પુસ્તકમાં લખે છે કે, “નાનકડાં ગામડામાંથી આવેલી એક સામાન્ય યુવતીએ કઈ રીતે ભારતના એક મોટા પ્રદેશની મહારાણી તરીકેની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી એ ખરેખર એક રોમાંચક સફર કહી શકાય. મારી માતાએ મહેલની રીતભાત અને ભવ્યતાને પોતાના વ્યક્તિત્વમાં ખૂબ જ સાહજિકતાથી સમાવી લીધા હતા. આમ છતાં પોતાના વ્યક્તિત્વને મજબૂત અને પ્રતિભાશાળી બનાવવાના થોડાં વર્ષો દરમિયાન મારી માતા અને પિતા વચ્ચે અનેક મતભેદો થતા હતા.”

કરણ સિંઘના ઘડતરમાં તેમની માતાનો ઘણો મોટો ફાળો છે. તારા દેવી ડોંગરી અને હિંદી ભાષાના જાણકાર હતા. આ સાથે જ અંગ્રેજી પણ થોડું ઘણું જાણતા હતા. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ તથા અન્ય નેતાઓ સાથે લાંબી લાંબી ચર્ચામાં પણ ભાગ લેવાનું તેઓ પસંદ કરતા હતા.કરણ સિંઘ લખે છે કે, “રામાયણ, મહાભારત તથા કલ્યાણ મેગેઝિનમાં આવતી પ્રેરણાદાયક કથાઓ સાથે તે મને ડોંગરા પહાડી ગીતો અને ભજનો પણ શીખવાડતી. તે મને દરેક વર્ગની વ્યક્તિ સાથે સમાન વર્તન કરી નમ્ર રહેવાની શીખ આપતી હતી.”આ સાથે જ તેમણે આઝાદી બાદ તેમના પિતા અને શેખ અબ્દુલ્લા વચ્ચે થયેલા અણબનાવો અને તેના માતા અને પિતાએ કઈ રીતે જમ્મુ કશ્મીર છોડવું પડ્યું હતું એ વિશેની વાતોનું પુસ્તકમાં રસપ્રદ વર્ણન કર્યું છે.

કરણ સિંઘે આલેખેલી તમામ સ્ત્રીઓને તેઓ જીવનના જુદા જુદા તબક્કામાં મળ્યા હતા અને તે તમામ મહિલાઓના જીવનને નજીકથી અનુભવવાથી સિંઘના મગજ પર તેઓની ઘણી ઊંડી છાપ પડી હતી. અલબત્ત, કેટલીક મહિલાઓને તો તેઓ કેટલાક મર્યાદિત સમય માટે જ મળ્યા હતા અને છતાં તેઓની શક્તિ, સમજ અને જીવન પ્રત્યેના અભિગમે સિંઘને ખૂબ પ્રેરણા આપી હતી અને તેથી જ એ મુલાકાત તેમના માટે જીવનભરનું એક સંભારણું બની ગઈ હતી. કરણ સિંઘે સમાવેલી મહિલાઓમાં કેટલીક મહિલાઓ દુનિયાભરમાં જાણીતી છે જ્યારે કેટલીક મહિલાઓ ઈતિહાસના પાનાઓમાં ક્યાંય વિસરાઈ ગઈ છે. આથી આ મહિલાઓની અદભુત પ્રતિભાને એક આધારસ્તંભ ગણી આજે થઈ રહેલા મહિલાઓ પરના વિવિધ અત્યાચારો સામે મહિલાઓને શક્તિ પૂરી પાડવા તેમણે આ પુસ્તકમાં વિવિધ મહિલાઓને સ્થાન આપ્યું છે. સિંઘેઆ તમામ મહિલાઓનાઆખા જીવન વિશેપુસ્તકમાં સંક્ષિપ્તમાં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે તેમની આ મહિલાઓ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અને કેટલાક દુર્લભ ફોટોગ્રાફ પણ પુસ્તકને વધુ વાંચવા યોગ્ય બનાવે છે. 

આઝાદ ભારતમાં વર્ષ ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી સૌથી મહત્ત્વની અને રાજકીય રીતે સૌથી વિવાદાસ્પદ ઘટના હતી. કરણ સિંઘે ઈન્દિરા ગાંધી અંગેના પ્રકરણમાં આ કટોકટીના સમયને પણ આવરી લેતા લખ્યું છે કે, “એક સાંજે મારી ડેસ્ક પર બેઠાં બેઠાં મેં એક પત્ર લખ્યો હતો, જેમાં એક કેબિનેટના મંત્રી તરીકે એ પત્ર લખવાની મારી કોઈ લાયકાત નથી, છતાં એક અંગત સંબંધને આધારે એ પત્ર લખવાની મારી ક્ષમતા વિશે મેં ઉલ્લેખ કર્યો હતો. મેં ઈન્દિરા ગાંધીને રાજીનામુ આપવાનું સૂચવ્યું હતું...”હકીકતમાં કરણ સિંઘે લખેલા આ પત્ર પાછળનો હેતુ સ્પષ્ટ હતો. તેમના અનુસાર ઈન્દિરા ગાંધી રાજીનામું આપત તો રાષ્ટ્રપતિ એમ કહીને તેનો અસ્વીકાર કરી શક્યા હોત કે આ અંગેનો અંતિમ નિર્ણય સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધારે લેવામાં આવશે. આથી સિંઘ અનુસાર એ સમયે ઈન્દિરા ગાંધીની જે આકરી ટીકા થઈ હતી તે થોડાં અંશે ટાળી શકાઈ હોત. 

પોતાના અંગત સંબંધ તથા સળગતા રાજકીય કિસ્સાઓ સાથે કરણ સિંઘે દેશમાં કળાને માનવંતુ સ્થાન આપનાર રુક્મિણી અરૂંડેલ વિશે પણ ઘણી રસપ્રદ વાતો રજૂ કરી છે. દેવદાસીના નૃત્ય તરીકે જાણીતા ભરતનાટ્યમ(નૃત્યનો એક પ્રકાર)ને રુક્મિણી અરુંડેલે આખા દેશમાં લોકપ્રિય કર્યું હતું. તેમના આ પ્રદાનને ધ્યાનમાં લઈને જ્યારે મોરારજી દેસાઈએ તેમને રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારી નોંધાવવા સૂચવ્યું ત્યારે પોતે તેમનું આખું જીવન માત્ર કળાને સમર્પિત કર્યું છે એમ કહી રુક્મિણીએ એ સૂચનનો ખૂબ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો. બીજી બાજુ હેલન કેલર જેવી વિશ્વ વિખ્યાત મહિલાના પ્રકરણમાં તેમની સાથે ગાળેલી અમુક મિનિટોને આધારે સિંઘે મહિલાઓની શક્તિને તદ્દન નવી રીતે વ્યાખ્યાહિત કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાના વર્ણનને આધારે સિંઘ આપણી સમક્ષ પ્રશ્ન મૂકે છે કે એક મહિલા, જે જોઈ નથી શકતી કે સાંભળી નથી શકતી, તે જ્યારે તેની શારીરિક નબળાઈઓથી ઉપર ઉઠીને જીવનમાં અન્ય માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બની શકતી હોય તો એક ભારતીય મહિલા કેમ આવી સિદ્ધિ હાંસલ ન કરી શકે!

આપણા દેશમાં, અલબત્ત, વિશ્વભરમાં ‘વેચાતા’ સાહિત્યમાં આત્મકથા અને મુલાકાતના સંકલનથી બનેલા પુસ્તકોની સંખ્યા હવે જ્યારે દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે પ્રસિદ્ધ અભિનેત્રી શર્મિલા ટાગોર અનુસાર કરણ સિંઘના આ પુસ્તકને પણ પોતાના બુકશેલ્ફમાં સમાવવા યોગ્ય ગણી શકાય એમ છે. મહિલા દિનની ઉજવણીમાં સફળ સ્ત્રીઓની સંઘર્ષ કથા સાંભળીને ક્ષણિક જોમ અને ઉત્સાહ મહિલાઓ અનુભવે એ સ્વાભાવિક છે, પણ જ્યારે વિવિધ ક્ષેત્રોની મહિલાઓના જીવનની સામાન્ય વાતોને આધારે કરણ સિંઘે કાઢેલા નિષ્કર્ષને જો મહિલાઓ ઘૂંટડે ઘૂંટડે પણ પીશે તો ચોક્કસ મહિલા દિનની ઉજવણીને સાર્થક બનાવી શકાશે. 

‘મિટિંગ્સ વિથ રિમાર્કેબલ વિમેન’
લેખક- કરણ સિંઘ
પ્રકાશક- પેલિમ્પસેસ્ટ પબ્લિકેશન
કિંમત- રૂ. ૧,૫૦૦
પૃષ્ઠ- ૧૦૮

૪ માર્ચ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'કલ્ચર ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment