Monday, March 17, 2014

સાધ્વીઓ શીખે છે કુંગ ફુ



કાઠમંડુ વેલીનો સુંદર નજારો જોઈ શકાય એટલી ઊંચાઈ પર ડ્રુક અમિતાભ પર્વત પર અમિતાભમઠઆવેલો છે. અહીં રોજ વહેલી પરોઢ ૩ વાગ્યે ૩૦૦ જેટલી સાધ્વીઅમિતાભ ડ્રુક્પા મઠમાં નવા દિવસને આવકારે છે. ત્યારબાદ સવારના ૫ વાગ્યે ધ્યાન અને પવિત્ર શબ્દોનું રટણ શરૂ થાય છે. ઘણી વાર કલાકોના કલાકો સુધી આ સાધ્વી ધ્યાનમાં તલ્લીન થઈ જતીહોય છે. પ્રાર્થના બાદ સાધ્વી પોતપોતાના રોજિંદા કામોમાં ગૂંથાઈજાય છે. વર્ષોથી આ પ્રમાણેની જીવનશૈલી જીવતી સાધ્વીના નિત્યક્રમમાં છેલ્લા બે વર્ષથી એક અનોખો બદલાવ લાવવામાં આવ્યો છે. મઠના સ્થાપક એવા ગ્યાલવાન્ગ ડ્રુક્પાએઅહીં કુંગ ફુની તાલીમ પણ શરૂ કરાવી છે. આથી સાંજના સમયે રોજ જ આ તમામ સાધ્વી કુંગ ફુની પ્રેક્ટિસ કરતી હોય છે. કાઠમંડુ વેલીના બહારના ભાગમાં એક નાનકડી ટેકરી પર આવેલો આ મઠ હવે ઘણીસાધ્વીનું રહેઠાણ બની ગયો છે.

પોતાના સમગ્ર જીવનને ધર્મ માટે સમર્પિત કરનાર સ્ત્રી સામાન્ય રીતે સાધ્વી તરીકે ઓળખાય છે. અલબત્ત, આપણે ઘણીવાર ‘સિસ્ટર’(સેવિકા) અને ‘નન’(સાધ્વી)ની ભેદરેખા પારખી શકતા નથી. સાધ્વી એ તેના જીવનકાળ દરમિયાન સમાજથી અલગ રહી પોતાના ઈશ્વરની પ્રાર્થના, ધ્યાનમાં તેનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતી હોય છે, જ્યારે ‘સિસ્ટર’ એ ઈશ્વરની સ્તુતિની સાથે જરૂરિયાતમંદો, ગરીબો, અસ્વસ્થ તથા નિરક્ષર લોકોની સેવા માટે પણ સમય ફાળવતી હોય છે. દુનિયાથી અલગ રહી ધર્મની રાહે ચાલનારી આ સાધ્વીના ઉદાર કાર્યો, જીવન શૈલી અને જીવન પ્રત્યેના તેમના અભિગમ વિશે સામાન્ય રીતે ઘણી વાતો થતી રહે છે, પરંતુ લગભગ બે વર્ષ પહેલા અમિતાભ મઠમાં ૧૯૭૦ના દાયકામાં બ્રુસ લીની ફિલ્મોથી દુનિયાભરમાં જાણીતા થયેલા કુંગ ફુને સાધ્વીના નિત્યક્રમમાં સામેલ કરીને આ સ્ત્રીઓને એક નવી ઓળખ આપવામાં આવી છે, જેને હવે ૩૮ વર્ષીય પ્રસિદ્ધ ફોટોગ્રાફર શોમ બાસુએ કેમેરામાં કેદ કરી છે.

વર્ષ ૨૦૧૧માં સાધ્વી વિશે છપાયેલા એક આર્ટિકલમાં બાસુને અમિતાભ મઠમાં રહેતી સાધ્વી વિશે માહિતી મળી અને કુંગ ફુની તાલીમ લેતી આ સાધ્વી વિશે વધુ જાણવાની તેને તીવ્ર ઈચ્છા થઈઆવી. બાસુએસાધ્વીના કેટલાક ફોટોગ્રાફ્સ અને તેમની જીવનશૈલી વિશે જાણવા મઠના અધિકારીઓ પાસે મઠમાં રહેવાનીપરવાનગી માગી, પરંતુ આ માટે તેઓ તૈયાર નહોતા. આમ છતાં બાસુએ સતત બે વર્ષ સુધી પરવાનગી મેળવવા પ્રયત્ન કર્યા.અંતે માત્ર માત્ર કુંગ ફુ સેશનના ફોટોગ્રાફ્સ લેવાની શરતે બાસુને મઠમાં પ્રવેશ મળ્યો, પરંતુ ત્યારબાદ તેમણે સાધ્વીની દિનચર્યાને વર્ણવતા ફોટો લેવાની પણ મંજૂરી આપી હતી. બાસુ માટે આઅનુભવ તદ્દન નવો અને અનેક પ્રકારના અનુભવોથી ભરેલો હતો. તે કહે છે કે, “મારા માટે સાધ્વી સાથે વાતચીત કરવી તથા તેમની આસપાસ એક પુરુષની હાજરી હોવા છતાં તેમને અનુકૂળતા રહે એ પ્રમાણે વર્તવું મારા માટે થોડું પડકારરૂપ હતું.”જોકે તેમણે સાધ્વીના ઉત્તમ ફોટોગ્રાફ્સ લઈને હિમાલયમાં વસતાં આ ધાર્મિક મહિલાઓને ખૂબ સુંદર રીતે રજૂ કરી હતી. 

વાસ્તવમાં આ મઠના ધાર્મિક વડા ગ્યાલવાન્ગ ડ્રુક્પા વિયેતનામની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે સાધ્વીને વિયેત કોન્ગના કેટલાક લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી યુદ્ધની તાલીમ લેતાં જોઈ. તેઓ આ તાલીમથી એટલા પ્રભવિત થયા કે તેમણે ચાર વિયેતનામીને અમિતાભ મઠમાં આવવા આમંત્રણ આપ્યું, જેથી ત્યાં રહેતી સાધ્વીને તેમના યોગાભ્યાસમાં કુંગ ફુની તાલીમ આપી શકાય અને સાથે જ સાચા અને ખોટા કાર્યો વચ્ચેનો સૂક્ષ્મ તફાવત પણ સમજાવી શકાય. ગ્યાવાન્ગ કહે છે કે, “અમારા મઠમાં રહેતી સાધ્વીનો આધુનિક દુનિયા સાથેનો સંપર્ક ઘણો ઓછો છે અને તેથી જ તેઓમાં આત્મવિશ્વાસનો અભાવ ઘણીવાર હું અનુભવું છું. હું એવું નથી માનતો કે હું શ્રેષ્ઠ શિક્ષક કે પથદર્શક છું, પણ જાતીય સમાનતાના માનું છું. આથીઅમિતાભ મઠની સાધ્વીને પણ આ પ્રકારની તાલીમ મળવી જોઈએ એવો વિચાર મારા મનમાં ઝબક્યો અને એટલે જ મને સતત ખંતપૂર્વક કામ કરવાની પ્રેરણા મળતી રહે છે.”

૮૦૦ વર્ષ જૂના આ ડ્રુક્પામાં ધ્યાનની સાથે માર્શલ આર્ટના પાઠોને ઉમેરીને ગ્યાવાન્ગે અહીંની સાધ્વીને સ્ત્રી સશક્તિકરણનો એક હિસ્સો બનાવી દીધી છે. આ તમામ સાધ્વી દિવસની ૯૦ મિનિટ કુંગ ફુના પાઠો શીખે છે. અહીં આ સ્ત્રીઓને રાંધવાના અને ઘરના અન્ય કામોની સાથેબિઝનેસ કરવા માટેની આવડતો, ૨૭ રૂમ ધરાવતા ગેસ્ટ હાઉસ તથા કોફી શોપની જવાબદારી વગેરે જેવા અનેક કામો પણ સોંપવામાં આવે છે, જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બને અને આત્મસન્માનથી પોતાનું જીવન જીવી શકે. અહીં નવ વર્ષથી લઈ ૫૨ વર્ષની સાધ્વીનો સમાવેશ થાય છે. આ મઠમાં લડાખ, લાહોલ, ભુતાન અને સિક્કિમથી પણ મહિલાઓ આવતી હોય છે. હિમાલયમાં સામાન્ય રીતે બૌદ્ધસાધ્વીને સાધુ-સંતોથી ઉતરતી કક્ષાનો દરજ્જો આપવામાં આવતો હતો. આથી શારીરિક શ્રમથી તેમને દૂર રાખી સાફ-સફાઈ અને રાંધવાના કામોમાં વ્યસ્ત રાખવામાં આવતી, પરંતુ ગ્યાવાન્ગના પ્રયત્નોથી હવે અહીંના સાધ્વીની સ્થિતિમાં સુધારો આવ્યો છે. ચાર વર્ષ પહેલા ભુતાનથી અમિતાભ મઠમાં પ્રવેશ મેળવનાર જિગ્મ વાન્ગચુક લિહામો કહે છે કે, “કુંગ ફુના પાઠો શીખવવાનો મુખ્ય હેતુ સારા સ્વાસ્થ્ય અને ફીટનેસનો છે, પણ આ સાથે જ તે અમને આત્મરક્ષણ અને ધ્યાનમાં પણ ઘણા મદદરૂપ થાય છે. કુંગ ફુથી અમને માત્ર શારીરિક સ્વસ્થતા નહીં, પણ માનસિક સ્વસ્થતા પણ મળે છે.”


કાઠમંડુના આ મઠમાં ચાલતી કુંગ ફુની તાલીમમાંથી પ્રેરણા લઈને બૌદ્ધ સાધ્વી જેત્સુન્મા તેન્ઝિન પાલ્મો હિમાચલ પ્રદેશમાં આવેલા તેના મઠમાં પણ આ પ્રકારની તાલીમ આપવાની યોજના કરી રહી છે. જેત્સુન્મા કહે છે કે, “કુંગ ફુ જેવી માર્શલ આર્ટને સાધ્વીના નિત્યક્રમમાં ઉમેરવાના ઘણા ફાયદા છે. સૌથી પહેલા તો આ પ્રકારની કસરતથી શરીર સ્વસ્થ રહે છે. બીજુ, તેના કારણે આપણામાં એકાગ્રતા અને શિસ્તતા પણ આવે છે. ત્રીજો ફાયદો એ કે સાધ્વીમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ કેળવાય છે અને ચોથો તથા મહત્ત્વનો મુદ્દો એ કે મઠની આસપાસ રહેતા યુવાનોને જો ખબર પડે કે સાધ્વી પણ હવે કુંગ ફુથી પરિચિત છે તો તેઓ સાધ્વીથી એક અંતર જરૂરથી રાખતા થાય છે.” વળી જેત્સુન્મા અનુસાર તો મઠમાં હવે સાધ્વીને આપવામાં આવતા શિક્ષણ અને આ પ્રકારની ઉત્કૃષ્ટ તાલીમને કારણે વધુ ને વધુ યુવતીઓ સાધ્વી બનવા માટે પ્રેરાઈ રહી છે!

સામાન્ય રીતે સાધ્વીના મઠોમાં પુરુષોનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે. આમ છતાં બે મહિના અહીં રહી સાધ્વીના જીવનને નજીકથી પારખી શોમ બાસુએ આ મહિલાઓની શક્તિ અને અભિગમને ફોટોગ્રાફ્સમાં કંડારીઅલગ જ રીતે વ્યાખ્યાયિત કર્યાં છે. હવે તેઓ પોતાના આ રોમાંચક અનુભવને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે જ તેમણે લીધેલા સાધ્વીના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજવાની તૈયારી થઈ રહી છે. 

સાધ્વીનઓનું પવિત્ર ધામ

વર્ષ ૧૯૮૯માં ડ્રુક્પા વંશના ધાર્મિક વડા ગ્યાલવાન્ગ ડ્રુક્પાએ કાઠમંડુમાં ડ્રુક અમિતાભ મઠની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેમની માતાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને ગ્યાલવાન્ગે અમિતાભની વિશાળ મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ એ જમીન પર રહેવા માટે ઘરના બાંધકામની પણ યોજના હતી. પણ જ્યારે ગ્યાલવાન્ગની માતાએ ખોદકામ દરમિયાન અનેક જીવજંતુઓને મૃત્યુ પામતા જોયા ત્યારે તેમણે આ જમીન અન્ય લોકોના ઉદ્ધાર માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું અને ત્યારબાદ અહીં અમિતાભ મઠની સ્થાપના કરવામાં આવી હતી. નાના પાયા પર શરૂ થયેલો આ મઠ આજે ૩૦૦ જેટલી સાધ્વી માટેનુ નિવાસસ્થાન બની રહ્યું છે. આ આખા મઠનું સંચાલન મહિલાઓ જ કરે છે. જાતીય સમાનતા માટે મહિલાઓનું સશક્તિકરણ તથા મઠના ક્રમશઃ થયેલા વિકાસને કારણે અમિતાભ મઠ હિમાલયની તળેટીનું એક પવિત્ર ધામ બની ગયું છે.

25 ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ 'વુમન ગાર્ડિયન'માં પ્રસિદ્ધ થયો છે.

No comments:

Post a Comment