‘યેન બદ્ધો બલી રાજા
દાનવેન્દ્રો મહાબલ:,
તેન
ત્વામનુબધ્નામિ રક્ષે મા ચલ મા ચલ’
હિંદુ શાસ્ત્રના આ પ્રચલિત મંત્રનો અર્થ “હું
તમને શક્તિશાળી રાજા મહાબલિની જેમ હાથ પર રાખડી બાંધુ છું. હે રાખડી, સદા મજબૂતાઈથી
બંધાયેલી રહેજે. અસ્થિર ન થતી.” એવો થાય છે. રક્ષાબંધનના પર્વનું સમગ્ર દેશમાં
એક આગવું મહત્ત્વ છે. ભાઈ-બહેનના પ્રેમને સાર્થક કરતો આ તહેવાર લાગણીઓનો એક અદભુત
પ્રવાહ લઈ આવે છે. રક્ષાબંધનના તહેવાર પાછળ રહેલી પૌરાણિક ગાથાઓ અને દંતકથાઓ ઘણી
પ્રચલિત છે, પરંતુ ભારતના એક મહાન પુરૂષ રવિન્દ્રનાથ ટાગોરે આ પર્વને એક નવી જ
વ્યાખ્યા આપીહતી.
વર્ષ ૧૯૧૩માંસમગ્ર એશિયામાંથી સૌ પ્રથમ નોબેલ પ્રાઈઝના
પુરસ્કારથી નવાજાયેલા રવિન્દ્રનાથ ટાગોર વિશે અનેક વાતો પ્રસિદ્ધ થઈ ચુકી છે,
પરંતુ તેમની દરેક બાબતનું અર્થઘટન કરવાની લાક્ષણિકતા અલૌકિક હતી.તેમની દૂરંદેશી,
બુદ્ધિમત્તા અને કલ્પનાશક્તિ અદભુત હતી. તેમણે જાતિ, ધર્મ, રાજકારણ અને ભૌગોલિક પ્રાંત
જેવા અનેક મુદ્દાઓ પર ઘણું કામ કર્યું હતું. વર્ષ ૧૯૦૫માં ભારત જ્યારે અંગ્રેજોના
તાબા હેઠળ હતું ત્યારે અંગ્રેજોએ બંગાળને જાતિ અને ધર્મના આધારે વિભાજીત કરવાનુ
કાવતરુ ઘડ્યું. આથી રવિન્દ્રનાથ ટાગોરે હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે
ઉષ્માભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે પ્રયત્નો શરૂ કર્યાં. તેમણે તદ્દન નવી ઢબે રક્ષાબંધનના
તહેવારની ઉજવણી શરૂ કરી. તેમના મત અનુસાર રાખડી એ માત્ર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ કે
આત્મીયતાનુ ચિહ્ન નથી, પરંતુ એ સમગ્ર માનવજાતિના હિતની નિશાની છે. તેમણે આ
તહેવારની ઉજવણી સમાજના લોકો સાથે હળીમળીને તથા એકબીજાને રક્ષણ આપી સામાજીક જીવનને
વધુ મધુર બનાવવાની પ્રેરણા આપી.
આજના સમયમાં પણ
રવિન્દ્રનાથ ટાગોરનું આ સ્વપ્ન અને સંદેશો આપણને સૌને બંધબેસે છે. તેમણે
રક્ષાબંધનને સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદ અને ભાઈચારાની લાગણી ફેલાવવા માટેનું એક
માધ્યમ ગણી આ તહેવારની મહત્તામાં ઘણો વધારો કર્યો હતો. જાતિ અને ધર્મના બંધનોમાંથી
ઉપર ઉઠીને માનવતાવાદ વિશે તેમણે સમજૂતી આપી હતી. આથી ભાઈ બહેનના આ તહેવારને તેમણે
માનવતાના સંદેશાઓ ફેલાવવાનું માધ્યમ બનાવ્યું. તેમણે સ્થાપેલા શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ
ટાગોરે લોકોને સંબોધન કર્યું, જેથી લોકોમાં પ્રેમ અને વિશ્વાસની
ભાવના જન્મી. લોકોએ તેમના પાડોશી, મિત્રો અને પરિવારના સભ્યોને રાખડી
બાંધી અને રક્ષાબંધના આ તહેવારની સીમા અનંત સુધી વિસ્તરી. આજે પણ શાંતિના એક
પ્રતીક તરીકે રાખડીએ આપણી વચ્ચે એ જ સુમેળતા સાધી છે. ભાઈ બહેનના સંબંધોને જોડતો આ
તહેવાર અનન્ય છે અને રવિન્દ્રનાથ ટાગોરે તેને ભાઈચારા સાથે જોડી એક નવી જ પ્રથાની
શરૂઆત કરી હતી. ગરીબ હોય કે અમીર દરેક દરજ્જાના લોકોએ તેમના આ વિચારને વધાવી લીધો
અને આછા પીળા રંગના દોરાને હાથના કાંડા પર બાંધવાની શરૂઆત થઇ. રાખીના આ તહેવાર પર
રવિન્દ્રનાથ ટાગોરની બહેન બર્નાકુમારીએ તેમને રાખડી મોકલી હતી અને તેના આધારે
તેમણે 'બંગ્લાર માટી બંગ્લાર જલ' નામનું પ્રસિદ્ધ ગીત લખ્યું હતું જેનો અર્થ 'બંગાળની ધરતી અને બંગાળનું પાણી સદા સુખી રહે' એવો થાય છે.
૨૦મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આ લેખ ગુજરાત ગાર્ડિયનની પૂર્તિ "વુમન ગાર્ડિયન"માં પ્રસિદ્ધ થયો છે.
No comments:
Post a Comment